Good News: મુંબઈમાં 50-60 માળની બિલ્ડિંગનું નિર્માણ કરવાનો માર્ગ મોકળો
180 મીટર ઊંચા મકાન બાંધવા સુધરાઈની ટેક્નિકલ સમિતિની પરવાનગી લેવી પડશે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સુધરાઈની ઈમારતોની મહત્તમ ઊંચાઈ 120 મીટરથી વધારીને 180 મીટર કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ આને માટે મુંબઈ સુધરાઈની ટેક્નિકલ સમિતિની મંજૂરી આવશ્યક રહેશે.
120 મીટર ઊંચા માળખામાં આશરે 40 માળ સમાવી શકાય છે. જો 180 મીટરનો પ્રસ્તાવ પસાર થાય છે, તો ગગનચુંબી ઇમારતોમાં લગભગ 50 થી 60 માળનું બાંધકામ થઈ શકે છે.
રાજ્ય સરકારના નગર વિકાસ વિભાગ દ્વારા મંગળવારે જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ‘સુધરાઈ કમિશનર 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી બહુમાળી ઇમારતો અથવા તો ઈમારતની ઊંચાઈના પ્રમાણમાં પહોળાઈનો રેશિયો 9 કે તેથી વધુ હોય એવી કોઈપણ ઇમારત સંબંધિત મુદ્દાઓ પર સલાહ આપવા માટે એક ટેકનિકલ સમિતિની રચના કરશે.’
પાતળાપણું ગુણોત્તર એ ઇમારતની ઊંચાઈ અને તેની પહોળાઈનો ગુણોત્તર છે. પ્રસ્તાવિત સુધારામાં, આ પાતળાપણું ગુણોત્તર 9 પર યથાવત્ રાખવામાં આવ્યો છે.
આપણ વાંચો: પ્રદૂષણ નિયંત્રણઃ શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા મહારાષ્ટ્ર સરકારે ભર્યું મોટું પગલું
આ જાહેર નોટિસમાં એક નવી જોગવાઈ સામેલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ડીસીપીઆર-2034ના વિવિધ નિયમો હેઠળ વિકાસ/પુન:વિકાસની દરખાસ્તોમાં 120 મીટરથી વધુ અને 180 મીટર સુધીની ઊંચાઈ ધરાવતી બહુમાળી ઇમારત માટે, 180 મીટર સુધીની ઊંચાઈને મંજૂરી આપવા માટે આવા પ્રસ્તાવ પર નિર્ણય લેવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને છે.
આવા કિસ્સાઓમાં, પ્રોજેક્ટ પ્રસ્તાવકે અન્ય જરૂરી દસ્તાવેજો સાથે સ્ટ્રક્ચરલ ડિઝાઇન, જીઓટેકનિકલ રિપોર્ટ બે સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા પ્રમાણિત કરવવા પડશે એટલે કે નિષ્ણાત સ્ટ્રક્ચરલ એન્જિનિયર / પ્રોફેસર, આઈઆઈટી-મુંબઈના જીઓ-ટેકનિકલ નિષ્ણાત, એસપી કોલેજ, અંધેરી, વીજેટીઆઈ, માટુંગા.’ શહેરની મોટાભાગના ગગનચુંબી ઇમારતો દક્ષિણ મુંબઈ, મધ્ય મુંબઈ અને પૂર્વના ઉપનગરોમાં બંધાઈ રહી છે.