ઈટલી વૅકેશનના છેલ્લા દિવસે નાગપુરના હોટેલિયર અને પત્નીનાં અકસ્માતમાં મોત

નાગપુર: ઈટલીમાં વૅકેશન ગાળવા ગયેલા નાગપુરના હોટેલિયર અને તેની પત્નીનાં વૅકેશનના છેલ્લા દિવસે જ માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યાં હતાં, જ્યારે સંતાનો ગંભીર રીતે ઘવાયાં હતાં.
નાગપુરના સિવિલ લાઈન્સ ખાતે રહેતા જાવેદ અખ્તર (57), તેની પત્ની નાદરા, દીકરીઓ આરઝૂ (22) અને શિફા (18) તેમ જ દીકરો જાઝેલ (15) ફરવા માટે 10 દિવસની ટૂર પર ઈટલી અને ફ્રાન્સ ગયા હતા, એવું આ પરિવારના સગા તેમ જ નિવૃત્ત ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઈકબાલ આઝમીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: બિહારના પૂર્ણિયામાં વંદે ભારત ટ્રેન અકસ્માતમાં ચાર લોકોના મોત
આઝમીએ જણાવ્યું હતું કે બીજી ઑક્ટોબરની સવારે અખ્તર પરિવારની નવ સીટર ટૅક્સી એક વાહન સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં જાવેદ અને નાદરાએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે આરઝૂની હાલત ગંભીર છે. તેની શસ્ત્રક્રિયા કરવામાં આવી છે અને હાલમાં તે બેભાન છે.
આઝમીએ વીડિયો કૉલથી શિફાનો સંપર્ક સાધ્યો હતો. તેમનાં બે સગાં ઈટલી જવા રવાના થઈ ગયા છે. આ પરિવારની નાગપુરમાં ગુલશન પ્લાઝા નામે હોટેલ છે. ટૂરના છેલ્લા દિવસે તેમને અકસ્માત નડ્યો હોવાનું આઝમીનું કહેવું છે.
(પીટીઆઈ)