માલેગાંવ બ્લાસ્ટ કેસ: એનઆઈએ, સરકાર અને દોષમુક્ત આરોપીઓને હાઈ કોર્ટની નોટિસ

મુંબઈ: માલેગાંવના 2008ના બ્લાસ્ટમાં જીવ ગુમાવનારાઓના પરિવારના સભ્યોએ કરેલી અપીલને પગલે બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે દોષમુક્ત સાત આરોપીને નોટિસ બજાવી હતી.
ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ આંખડની ખંડપીઠે કેસની તપાસ કરનારી નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) અને મહારાષ્ટ્ર સરકારને પણ નોટિસ મોકલી અપીલની સુનાવણી છ સપ્તાહ પર મોકૂફ રાખી હતી.
આ પણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસ: દોષમુક્તિના આદેશ સામે કોઈ પણ આવીને અપીલ ન કરી શકે: કોર્ટ
ધડાકામાં મૃત્યુ પામેલા છ જણના પરિવારના સભ્યોએ આરોપીઓના દોષમુક્તિના ચુકાદા સામે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસમાં ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત આરોપીને દોષમુક્ત કરતા વિશેષ અદાલતના ચુકાદાને અપીલ દ્વારા પડકારવામાં આવ્યો હતો.
ગયા સપ્તાહે કરાયેલી અપીલમાં દાવો કરાયો હતો કે ભૂલભરેલી તપાસ અથવા તપાસમાં અમુક ખામીઓ આરોપીઓના છુટકારા માટે પૂરતું કારણ ન હોઈ શકે. બ્લાસ્ટનું કાવતરું ગુપ્ત રીતે ઘડાયું હતું અને તેથી તેનો સીધો પુરાવો ન હોઈ શકે.
(પીટીઆઈ)