ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

પિંપરી-ચિંચવડમાં ગેરકાયદે ફટાકડાં બનાવનારી ફેક્ટરીમાં આગ, છ જણના મૃત્યુ

પુણેઃ મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડ ખાતે ફટાકડાના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાની માહિતી સામે આવી રહી છે. આ આગ એટલી ભીષણ હતી કે જેમાં છ જણના મૃત્યુ થયા હોવાની, અને કેટલાક વધુ લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે

પિંપરી-ચિંચવડના તળવડે ખાતે આવેલા ફટાકડાના ગોડાઉનમાં શુક્રવારે ભીષણ આગ ફાટી નીકળી હતી અને આ ગોડાઉન લાઈસન્સ વિના ચાલી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ફાયરબ્રિગેડના જવાનો આ આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે અને સાતથી આઠ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી છ મૃતદેહો બહાર કાઢવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી હતી. જ્યારે બાકીના મજૂરોની શોધ કરાઈ રહી છે.

આ ગોડાઉનમાં હજી કેટલાક વધુ મજૂરો ફસાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે. તળવડે ખાતે સ્પાર્કલિંગ કેન્ડલ બનાવનારા કારખાનામાં આ આગ લાગી હોવાનું અહેવાલમાં જાણવા મળી રહ્યું છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ કારખાનું લાઈસન્સ વિના ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું હતું.

ફાયરબ્રિગેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી છ મૃતદેહ કાઢવામાં સફળતા મળી છે જ્યારે બે જણને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું ફાયરબ્રિગેડ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button