બીડ સરપંચ હત્યાના આરોપીઓને ફાંસી આપવી જોઈએ: ધનંજય મુંડે

મુંબઈ: મહારાષ્ટ્રના એનસીપીના પ્રધાન ધનંજય મુંડેએ ગુરુવારે કહ્યું હતું કે બીડ જિલ્લાના એક ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કરનારાઓ પર ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ અને ફાંસી આપવી જોઈએ.
રાજ્ય પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ધનંજય મુંડેએ કહ્યું કે રાજ્ય ગુના તપાસ વિભાગ (સીઆઈડી) આ કેસની યોગ્ય રીતે તપાસ કરી રહ્યું છે.
મુંડેના નજીકના સહયોગી વાલ્મિક કરાડે મંગળવારે પુણેમાં ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન વિભાગ (સીઆઈડી) સમક્ષ સરપંચની હત્યા સાથે જોડાયેલા ખંડણીના કેસના સંદર્ભમાં આત્મસમર્પણ કર્યું. વિપક્ષ હત્યા કેસમાં કરાડની ધરપકડની માંગ કરી રહ્યું છે.
‘સરપંચ સંતોષ દેશમુખની હત્યા કરનારાઓ પર ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ અને તેમને ફાંસી આપવી જોઈએ. નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન, ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગણી કરનાર હું જ હતો,’ એમ મુંડેએ કહ્યું હતું.
આપણ વાંચો: બીડમાં સંતોષ દેશમુખની હત્યાના કિસ્સામાં મુખ્ય આરોપીએ કર્યું આત્મ સમર્પણ…
દેશમુખની હત્યાની નિષ્પક્ષ તપાસ માટે વિપક્ષ દ્વારા રાજીનામાની માંગ પર અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાને કહ્યું હતું કે, ‘પ્રધાન તરીકે મારા તરફથી કોઈ પ્રભાવ હોઈ શકે નહીં, તેથી જ તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે.’
મહારાષ્ટ્ર સરકારે બુધવારે દેશમુખની હત્યાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની પણ રચના કરી હતી.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે એસઆઈટીનું નેતૃત્વ સીઆઈડીના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ બસવરાજ તેલી કરશે.
અગાઉ, સરકારે હત્યા અને ખંડણી અને સુરક્ષા ગાર્ડ પર હુમલાના સંબંધિત કેસોની તપાસ સીઆઈડીને સોંપી હતી.