લાંચના કેસમાં પકડાયેલા સરકારી અધિકારીના ઘરમાંથી રોકડ સહિત 67 લાખની મતા જપ્ત

છત્રપતિ સંભાજીનગર: પાંચ લાખ રૂપિયાની લાંચ માગવા બદલ પકડાયેલા સરકારી અધિકારીના નિવાસસ્થાનેથી 13 લાખની રોકડ, સોનું અને ચાંદીના દાગીના સહિત 67 લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હોવાનું એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીએ કહ્યું હતું.
રેસિડન્ટ ડેપ્યુટી કલેક્ટર વિનોદ ખિરોલકર અને મહેસૂલ વિભાગના કર્મચારી દિલીપ ત્રિભુવનને મંગળવારે લાંચ લેવા બદલ તાબામાં લેવાયા હતા.
આપણ વાંચો: બિલ્ડર પાસેથી લાંચ માગવા બદલ અહમદનગર મહાપાલિકાના કમિશનર વિરુદ્ધ ગુનો
બંનેએ ફરિયાદી પાસે 18 લાખ રૂપિયાની લાંચ માગી હતી અને પાંચ લાખ રૂપિયાનો પહેલો હપ્તો લેતી વખતે તેઓ રંગેહાથ પકડાયા હતા.
દરમિયાન ખિરોલકરને તાબામાં લીધા બાદ તેની કેબિનમાંથી 75 હજાર રૂપિયા જપ્ત કરાયા હતા. ત્યાર બાદ એસીબીના અધિકારીઓએ તેના નિવાસસ્થાને તપાસ કરી હતી અને ત્યાંથી 13.06 લાખની રોકડ, 589 ગ્રામ સોનું અને 3.5 કિલોગ્રામ ચાંદીના દાગીના મળી આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)