તલવારથી હત્યા કરીને 19 વર્ષનો યુવક પોલીસ સ્ટેશનમાં થયો હાજર

સાતારા: મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના ખંડાલા તાલુકાના શિરવળ ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અગાઉની દુશ્મનીને કારણે 19 વર્ષના યુવકે છરીના ઘા મારી 22 વર્ષના એક યુવકની હત્યા કરી હતી.
આરોપીની ઓળખ તેજસ મહેન્દ્ર નિગડે (19 વર્ષ) તરીકે થઈ છે. મૃતકની ઓળખ અમર ઉર્ફે ચંદુ શાંતારામ કોંઢાળકર (22) તરીકે થઈ છે. હત્યા કર્યા પછી આરોપી તેજસ તલવાર સાથે પોલીસ સ્ટેશન આવ્યો હતો.
આપણ વાંચો: ભાવનગરમાં વિદ્યાર્થિનીના પિતાએ વિદ્યાર્થી પર કર્યો ઘાતક હુમલો, છરીના 5 ઘા ઝીંકી કર્યો લોહીલુહાણ
મળતી માહિતી મુજબ શિરવાળમાં બુધવારે મધરાતે જૂના વિવાદને કારણે એક યુવકની તલવારથી ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવથી ખંડાલા તાલુકામાં હાહાકાર ફેલાઈ ગયો છે. યુવકની હત્યા કર્યા બાદ શંકાસ્પદ વ્યક્તિ લોહીથી લથપથ તલવાર સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. દરમિયાન, હત્યા પાછળના કારણની પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આ ઘટનાને કારણે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
તાજેતરના સમયમાં રાજ્યના કેટલાક ભાગોમાં ગુનાખોરીના કેસમાં વધારો જોવા મળ્યો છે. નાશિકમાં પણ આવા ગુના વધી રહ્યા છે. આ અંગે પોલીસ પ્રશાસનને પણ સાવધ કરી દેવામાં આવ્યું છે. નાગરિકો આવી ઘટનાઓમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.