ચૂંટણી નજીક છતાં કૉંગ્રેસ હજુ નારાજ નેતાઓને મનાવવામાં બિઝી, સચિન પાયલટને સોંપી જવાબદારી
![Even though the elections are near, the Congress is still busy convincing the angry leaders, Sachin Pilot has been](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/Jignesh-MS-2024-04-12T201525.857.jpg)
રાયપુરઃ લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે છે. આવા સમયે રાજકીય પક્ષોએ પ્રચાર અને રણનીતિથી બેઠકો પોતાને નામ કરવાના કામમં જોતરાવાનું હોય, પરંતુ કૉંગ્રેસ પોતાના જ નારાજ નેતાઓને શાંત પાડવામાં બિઝી હોય તેમ જણાય છે. છત્તીસગઢમાં જે બેઠકો પર નેતાઓની નારાજગી જણાઈ રહી છે ત્યારે કૉંગ્રેસે સચિન પાયલટને જવાબદારી સોંપી છે, જેથી નેતાઓ પક્ષ માટે કામ કરતા થાય.
રાજ્ય કોંગ્રેસના પ્રભારી સચિન પાયલટ શુક્રવારે બે દિવસની મુલાકાતે છત્તીસગઢ આવી રહ્યા છે. આજે તેઓ જગદલપુરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરશે. તેઓ બીજા દિવસે રાહુલની સભામાં પણ હાજર રહેશે.
કોંગ્રેસના નેતાઓની પાર્ટી છોડવાની વૃતિને જોતા, છત્તીસગઢ કોંગ્રેસ હવે મહત્વપૂર્ણ પગલાં લેવા જઈ રહી છે. નારાજ નેતાઓને શાંત કરવા માટે પાર્ટીએ સંવાદ અને સંપર્ક સમિતિની રચના કરી છે. આ સમિતિ રાજ્યની તમામ 11 લોકસભા બેઠકો પર નારાજ નેતાઓને શાંત પાડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમના ઘરે પહોંચીને તેમની સાથે ચર્ચા કરશે. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પ્રભારી સચિન પાયલટ પણ બે દિવસના પ્રવાસે છત્તીસગઢ પહોંચી રહ્યા છે. પાયલોટ સમિતિના સભ્યો સાથે પણ ચર્ચા કરી શકે છે અને તેમની પાસેથી ફીડબેક લઈ શકે છે.
આપણ વાંચો: કૉંગ્રેસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વિરુદ્ધ ચૂંટણી પંચને કરી ફરિયાદ
છત્તીસગઢ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે ડેમેજ કંટ્રોલ માટે ચાર દિવસ પહેલા 8 એપ્રિલે એક કમિટી બનાવવામાં આવી છે, જેથી નેતાઓ સાથે વાત કર્યા બાદ તેમને પાર્ટીમાં રાખી શકાય. બે પૂર્વ પ્રદેશ પ્રમુખ, છ પૂર્વ મંત્રીઓ, પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. પાર્ટીએ સમિતિના સભ્યોને લોકસભા મુજબની જવાબદારીઓ સોંપી છે. તમામ જવાબદાર નેતાઓને તેમના વિસ્તારોમાં તૈનાત રહેવા સૂચના આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ 13 એપ્રિલે બસ્તરની મુલાકાતે જવાના છે. આ માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ જગદલપુરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં જનસભા કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી બીજા તબક્કાની ચૂંટણી માટે છત્તીસગઢની મુલાકાત લે તેવી શક્યતા છે.
રાજનાંદગાંવ લોકસભા મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની તરફેણમાં પ્રિયંકા ગાંધીની સભા નક્કી કરવામાં આવી રહી છે. સંગઠન સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી 20 એપ્રિલે છત્તીસગઢની મુલાકાત લશે, તેવી માહિતી મળી છે. જેમાં જાંજગીર અને રાયગઢ લોકસભા મતવિસ્તારમાં સ્થાનિક સમીકરણોના આધારે રાષ્ટ્રીય અધ્યક્ષની બેઠક યોજવા પર ભાર મૂકવામાં આવ્યો છે.