ફોકસઃ 90 ટકા મુસ્લિમ વસતિ છે એ દેશમાં બુરખા પર પ્રતિબંધ કેમ ?

- દિક્ષિતા મકવાણા
ઇટાલીમાં મેલોની સરકારે ઇસ્લામિક અલગતાવાદને રોકવા માટે બુરખા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ઉલ્લંઘન કરવા પર રૂ. 3 લાખ સુધીનો દંડ થશે. તેવી જ રીતે, તાજિકિસ્તાનમાં 90 ટકા મુસ્લિમ વસતિ હોવા છતાં 2024 માં હિજાબ અને બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એને ‘વિદેશી વસ્ત્રો’ ગણાવીને..,.!
ઇટાલીની મેલોની સરકારે ઇસ્લામિક અલગતાવાદનો અંત લાવવા માટે ત્યાં બુરખા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. એકવાર બિલ સત્તાવાર લાગુ થયા પછી દેશમાં બુરખા ધારણ કરવા પર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આમ છતાં , જો કોઈ શાળા-યુનિવર્સિટી કે પછી દુકાનોથી લઈને ઓફિસો અને જાહેર સ્થળોએ કોઈ પણ વ્યક્તિ બુરખા કે નકાબ પહેરશે તો એને રૂ. 3 લાખનો દંડ ફટકારવામાં આવશે.
એક તરફ, ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે તો 90 ટકા મુસ્લિમ વસતિ ધરાવતા તાજિકિસ્તાનમાં તો ગાયા વર્ષ 2024થી જ બુરખા-હિજાબ પર પ્રતિબંધ અમલમાં છે.
શા માટે બુરખા હિજાબ પર આ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ?
આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો હતો કે બુરખા-હિજાબને અહીં વિદેશી વસ્ત્રો ગણવામાં આવતા હતા. તાજિકિસ્તાનની લગભગ 90 ટકા વસતિ ઈસ્લામ ધર્મનું પાલન કરે છે છતાં ત્યાંના રાષ્ટ્રપતિ રહેમાન માનતા હતા કે હિજાબ તાજિક સંસ્કૃતિનો ભાગ નથી માટે રાષ્ટ્રીય સંસ્કૃતિ માટે આવાં વિદેશી ગણાતા તમામ વસ્ત્રોની આયાત, વેચાણ, પહેરવા ઉપરાંત એના પ્રમોશન પર પણ ત્યાં કડક પ્રતિબંધ છે. આનું ઉલ્લંઘન કરવા પર 7,920 સોમોની (આશરે 747 ડૉલર) થી 39,500 સોમોની (આશરે 3,724 ડોલર) સુધીનો દંડ થઈ શકે છે.
અહીં તાજિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને ઈસ્લામિક ધર્મનું જાહેર પ્રદર્શનને ઘટાડવા માટે લેવામાં આવેલા અનેક પગલાંમાંથી આ એક છે. જે વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે એમાંથી એક આ બુરખા, ઈત્યાદિ પરની બંધી છે.
2018માં સરકારે મહિલાઓ માટે સ્વીકાર્ય વસ્ત્રો ધારણ કરવાનીની વિગતો સાથે 376 પાનાની માર્ગદર્શિકા બહાર પાડી હતી- પરંપરાગત રીતે માથા પાછળ રંગબેરંગી સ્કાર્ફ બાંધવાને સ્વીકાર્ય માનવામાં આવતું હતું, પરંતુ ચહેરો અને ગરદન ઢાંકવા પર પ્રતિબંધ હતો. કાળા કપડાં પણ પ્રતિબંધિત છે અને અંતિમ સંસ્કાર માટે વાદળી પોશાક અને સફેદ સ્કાર્ફની ભલામણ કરવામાં આવે છે.
ઇટાલીમાં પ્રતિબંધ માટે કેવી તૈયારી છે ?
ઇટાલી બુરખા પર પ્રતિબંધ મૂકવાની પણ તૈયારી કરી રહ્યું છે. ઇટાલીની બ્રધર્સ પાર્ટીના સાંસદ ગેલેઝો બિગ્નામીના જણાવ્યા અનુસાર આ બિલ-કાયદાનો હેતુ તમામ પ્રકારના ઉગ્રવાદને દૂર કરવાનો છે. એમની પાર્ટી અનુસાર ઇટાલીમાં કોઈ સમાંતર સમાજ સ્થાપિત થવો જોઈએ નહીં… અમે ફ્રાન્સથી પ્રેરણા લીધી છે. અહીં બધા સમાન રીતે રહેશે. ધાર્મિક સ્વતંત્રતા મહત્ત્વપૂર્ણ છે, પરંતુ ઈસ્લામિક શરિયા કાયદો પણ ઇટાલિયન કાયદાથી ઉપર નથી. ઇટાલિયન રાજ્યના સિદ્ધાંતને અવગણી શકાય નહીં.-
આપણ વાંચો: ફેશનઃ એક જેકેટ હો જાયે