
કેટલાંક લોકો સમી સાંજે રોદણાં રડતા રહે છે. કોઈકને આર્થિક ફરિયાદ હોય તો કેટલાકને તબિયતની…આ લોકોને તમે મળોને તો એમના સ્વાસ્થ્ય વિશે એટલી ફરિયાદ કરશે કે તમે કંટાળી જશો. પોતાને કેટલી અને કેવીક શારીરિક તકલીફ છે, કેટલી દવા- ઈંજેકશન લે છે, કેટલી વાર ડોકટર પાસે જવું પડે છે થી લઈને કેટકેટલી વસ્તુ પોતે ખાતા નથી, ફક્ત સિલેકટેડ ખોરાક જ લે છે… વગેરે… વગેરે..
આ બધા વચ્ચે કેટલીક વયસ્ક વ્યક્તિઓને પોતાનાં સંતાનો-ખાસ કરીને પુત્ર-પુત્રવધૂ માટે ફરિયાદ હોય છે. દીકરો વાત કરતો નથી- દીકરાની વહુ એમનું માન જાળવતી નથી… વગેરે… વગેરે…
જોકે, સિક્કાની આ એક બાજુ છે. સિક્કાની બીજી બાજુ એવી પણ વ્યક્તિઓ છે, જે સમાજને ઉપયોગી થાય છે, સાથે સાથે પોતાની માટે તેમ જ પરિવારની માટે અર્થોપાર્જન પણ કરે છે.
આમાંના એક એટલે હિનાબહેન… આવો, એમને મળીએ… હિનાબહેન મનોજ ભાઈનો મધ્યમ વર્ગીય પરિવાર. આ દંપતીને એક પુત્ર. મનોજ ભાઈ સામાન્ય નોકરી કરે. મહિનાની આખર તારીખમાં તો ખર્ચના બે છેડા મેળવતા હિનાબહેનના નાકે દમ આવે… દીકરો ભણવામાં સામાન્ય. માંડ ગ્રેજ્યુએટ થયો.
આજકાલ બી.એ., બી.કોમ.ની કોઈ કિંમત નથી. દીકરાને પણ નોકરી મળવામાં મુશ્કેલી પડતી હતી. દીકરાને એક જગ્યાએ નોકરી મળી તો ખરી પણ પગાર બહુ જ ઓછો. જોકે બાપ-દીકરા બે જણની આવક થવાથી થોડી રાહત થઈ. સાધારણ ઘરની સાધારણ ભણેલી યુવતી સાથે પુત્રના લગ્ન થયા. સમય જતાં વહુને એક પુત્ર થયો. ખર્ચ ઓર વધ્યો.
હિનાબહેનને થયું આમ ખર્ચને કઈ રીતે પહોંચી વળાશે? કાંઈક તો કરવું પડે. પાડોશી ક્યાંક ખાખરા બનાવવા જતા હતા. એમની સાથે હિનાબહેન પણ જવા માંડ્યા. બે પૈસા મળતા થયા.. હજુ ઘરમાં પૈસાની ખેંચ રહેતી હતી. ખાખરા બનાવવા જતા હિનાબહેનને વિચાર આવ્યો પોતે જ કેમ પોતાનો આવો ગૃહઉદ્યોગ વિકસાવી ન શકે?
પુત્રવધૂને વાત કરી. સાસુ-વહુ બંનેએ વિચાર કરવા માંડ્યો કે કંઈક વિકાસ થાય તેવું કામ કરીએ. હિનાબહેને પોતાના ઘરમાં જ બે- ત્રણ બહેનોને કામે રાખીને ખાખરા બનાવવાનું કામ શરૂ કર્યું.
પુત્રવધૂએ કમ્પ્યુટર કલાસ કર્યા હોવાને કારણે એને ટેક્નોલોજીનું જ્ઞાન હતું. પુત્રવધૂ ચાર્મી ખાખરાના ઓનલાઈન ઓર્ડર લેવા લાગી. લોકો ખાખરાના ઓર્ડરની સાથે બીજા નાસ્તા-પૂરી, સેવ, ચકરી, ચેવડો વિશે પણ પૃચ્છા કરતા. હિનાબહેને આ વાતને વાસ્તવ માં પલટવાની શરૂ કરી દીધી. બીજી બે બહેનોને કામ પર રાખી લીધી અને નાસ્તા તૈયાર કરવા માંડયા. પછી તો ચાર્મીના સહયોગે હિનાબહેનના ‘હીના ગૃહઉદ્યોગ’ની તો નીકળી પડી.
હિનાબહેન ખાખરા અને નાસ્તાનો ભાવ બજાર કરતાં ઘણો ઓછા રાખતા હતા જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો લાભ લઈ શકે અને હિનાબહેન ઉદ્દેશ હતો કે પરિવારનો ખર્ચ સારી રીતે નીકળી જાય અને સમાજને મદદરૂપ થઈ શકાય આમ એ એક કાંકરે ત્રણ પક્ષી મારતા હતા. કામ કરવા આવનાર બહેનોને પણ યોગ્ય પૈસા આપતા હતા.
સમય જતા જગ્યાની સંકડાશનો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો હતો. એમણે થોડી સમાજસેવી સંસ્થાઓને આ વિશે વાત કરી.. જો કોઈ સંસ્થા તેમની જગ્યાનો ઉપયોગ ભાડા વગર અથવા તો ઓછા ભાડાથી કરવા દે તો હિનાબહેનનું કામ થઈ જાય. કહેવાય છે ને કે તમે કોઈનું ભલું કરવા ઈચ્છતા હો તો ઈશ્વર તમારી મદદે આવે છે.
હિનાબહેન સાથે પણ આમ જ થયું. એક સંસ્થાએ હિનાબહેનને મળવા બોલાવ્યા. સંસ્થાના પ્રમુખે એ જાણી લીધું કે હિનાબહેનનો ગૃહઉદ્યોગ નફો રળવા માટે નથી માટે પ્રમુખે હિનાબહેનને સંસ્થાની જગ્યા વગર ભાડે વાપરવા આપી દીધી.
હિનાબહેનને મોટી જગ્યા મળતા કામ વધારી દીધું.. હવ એમના ઉદ્યોગગૃહમાં ત્રીસેક બહેનો કામ કરવા આવતી હતી. બધી બહેનોને યોગ્ય મહેનતાણું મળતું હતું. બધી બહેનો પણ ખુશ હતી. વર્ષને અંતે જે પૈસા બચતા તેમાંથી બહેનોને સોનાની લગડી હિનાબહેન લઈ દેતાં. ભલેને તે ફકત એક કે બે ગ્રામની હોય પણ ટીપે ટીપે સરોવર ભરાય એ દૃષ્ટિએ હિનાબહેન બહેનોને સોનું આપતા..!
હિનાબહેનનો વ્યવસાય વધતો જ ગયો, એમનો નાસ્તો અમેરિકા, ઑસ્ટ્રેલિયા, દુબઈ… વગેરે દેશમાં પણ જવા લાગ્યો.. હિનાબહેનનો પરિવાર તો સમૃદ્ધ થયો જ સાથે-સાથે કામ કરતી બહેનોના પરિવારની પણ પ્રગતિ થઈ હિનાબહેનની દીર્ઘદૃષ્ટિ અને સમાજ પ્રત્યેની નિષ્ઠાને સલામ કરવી જોઈએ…