
ઇલાહી કિતાબ; ઇશ્વરીય ગ્રંથ કુરાનમાં જગતકર્તા કહે છે કે, હું અલ્લાહ છું અને બધા જ બાદશાહોનો બાદશાહ છું.'
બધા દુન્યવી સમ્રાટોના દિલ મારા કબ્જામાં છે, તેથી યાદ રાખો કે,’
`જયારે મારા બંદા મારી ફરમાબરદારી, આજ્ઞાઓનું પાલન કરે છે ત્યારે હું દુન્યવી બાદશાહોનું દિલ દયા-મહોબ્બતથી ભરી દઉં છું. જેથી તે પોતાની પ્રજા સાથે મહોબ્બત કરે અને જયારે મારા બંદા મારી નાફરમાની, આજ્ઞાઓના પાલનનું ઉલંઘન કરવા પર કમર બાંધે છે, તો હું તે બાદશાહોનાં દિલોમાં ક્રોધ અને નારાજગી, સખતી અને વેરવૃત્તિ નાખી દઉં છું. તે પછી તે બાદશાહ, હુકૂમતકર્તા સત્તાધીશ તેઓને મોટી મોટી તથા અસહ્ય મુસીબતોમાં ફસાવે છે. માટે તમે પોતાના હાકેમો, સત્તાધીશો વિરુદ્ધ માત્ર બદદુઆ કરવાની વ્યર્થ પ્રવૃત્તિમાં લાગેલા રહો નહીં, બલ્કે પોતાની હાલત પહેલાં સુધારો, તમારા અમલ, કર્મને સુધારવા તરફ લક્ષ આપો. જેથી બાદશાહની અત્યાચારી હરકતો, વૃત્તિ વિરુદ્ધ હું પોતે તમારા માટે કાફી, પૂરતો થઇ જાઉં…!’
સુજ્ઞવાચક બિરાદરો! ઇન્સાનની પ્રકૃતિજ એવી છે કે હંમેશાં ઝુલ્મ કરનારને જ લક્ષ બનાવે છે, તેથી બદદુઆ કરવા લાગી જાય છે. પોતાના અમલ તરફ બંદો જોતો નથી. દરેક ભલાઇ અને દરેક બુરાઇમા બંદાએ પોતાના ખાલીક (રોજી આપનાર-પાલનહાર) તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. યકીન (વિશ્વાસ) રાખવું જોઇએ કે, બાહ્ય સબબ તો રબની મરજીનું અક્સ (પ્રતિબિંબ) છે. આપણે અકસ'થી હઠીને
અસલ’ (હકીકત) તરફ ધ્યાન લગાવવું જોઇએ. જો સુન્ની અને શીઆના તમામ મુસ્લિમ મોમીન બંદાઓ પોતાની સુધારણા કરી લેશે. અલ્લાહના કલામોને સાચા અર્થમાં લઇ, ફરમાનોને માથે ચઢાવશે, તો તેમની દુઆઓ કબૂલ થઇ જશે.’
ઉપરોક્ત હદીસ શરીફમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, બંદો જયારે અલ્લાહની નાફરમાની કરવા કમર કસે છે ત્યારે બાદશાહો (હાકિમો અથવા પ્રધાનો અથવા પોલીસ)ની સખ્તી (અલ્લાહની મરજીથીજ) શરૂ થાય છે. આ હદીસે પાકમાં આજના દુ:ખી, પરેશાન અને ગમઝદા મુસલમાનો માટે હિદાયત (બોધ)નો દરિયો ભરેલો છે. આ અણમોલ હદીસમાં બતાવ્યા મુજબ દરેક મુસલમાન પોતાની સુધારણામાં લાગી જાય, તો જગતકર્તા પોતે જ ઝાલિમ લોકોના ઝુલ્મમાંથી મુસલમાનોને બચાવશે. વલ્લાહુ ગાલિબુન અલા અમ્રીહી' અર્થાત્
અલ્લાહ ગાલીબ (વિજેતા) રહે છે. પોતાના કાર્યમા.’
કુરાને કરીમની સુરા નિસાની આયત પલ્મા સૃષ્ટિનો મહાન સર્જનહાર ફરમાવે છે કે – હે લોકો જે ઇમાન લાવ્યા છે તે અલ્લાહ અને તેના રસુલે પાકનું આજ્ઞા પાલન કરે અને તેવા લોકોનું જે તમારા પૈકી સત્તા ધરાવતા હોય, પછી કોઇ પરિસ્થિતિમાં તમારી વચ્ચે મતભેદ પડે, તો તેને અલ્લાહ અને રસુલે પાકની તરફ રજૂ કરો, જો તમે અલ્લાહ પર અને કયામત પર ખરેખર ઇમાન ધરાવતા હોવ: આજ એક સાચી કાર્ય રીતિ છે અને તે પરિણામની દૃષ્ટિએ પણ સારી છે. જયારે કોઇ કોમ બતાવેલા માર્ગથી ચલિત થઇ જાય છે, માર્ગદર્શનને ઠોકરે ચઢાવી દે છે અને એવા નેતાઓ પાછળ લાગી જાય છે. જેઓ ધર્મનું આજ્ઞાપાલન કરતા ન હોય, તો તેવી કોમ બુરાઇઓના ખાડામાં અવશ્ય પડી જશે. તેથી જ પરવરદિગારે આલમ સ્પષ્ટ રીતે જણાવે છે, કે જો તમે ઇમાનવાળા છો, તો હવે તમારા માટે
સિરાતે મુસ્તકીમ’ (સાચો-સીધો માર્ગ) એ જ છે કે, અલ્લાહના હુકમોનું આજ્ઞાપાલન કરો. તેના દરેક હુકમમાં હિકમત (ચાતુર્ય) અને લાભ છે. દીન પણ સુધરશે, દુનિયા પણ આબાદ બનશે.
બેશક ! એ માનવી જ સફળતા પ્રાપ્ત કરી શકયો, જેણે પોતાનો ધર્મ સુધાર્યો, દુનિયા પણ સચ્ચાઇના માર્ગે ભેગી કરી અને આખેરત અર્થાત્ મૃત્યુલોકની પુંજીથી માલામાલ થઇ ગયો.
સૃષ્ટિનો મહાન સર્જનહાર રબ (રોજી આપનાર ઇશ્વર, અલ્લાહ, પ્રભુ) તેની ઇલાહી કિતાબ કુરાન કરીમમાં `સુરા અહઝાબ’ની આયત (શ્લોક, કથન, વાકય)માં કહે છે કે.
-`હે નબી (પયગંબર હઝરત મુહંમ્મદ (સલ.) ! બેશક, હમે આપને સાક્ષી આપનાર તથા ખુશખબરી, વધામણી આપનાર તથા ડરાવનાર બનાવીને સૃષ્ટિ પર મોકલ્યા છે અને અમારા હુકમથી અમારા (અલ્લાહની) તરફ બોલાવવાનું સૌને ઇજન (આમંત્રણ) આપનાર તરીકે અને રોશન ચિરાગ, સર્વત્ર રોશની, પ્રકાશ બનાવીને મોકલ્યા છે.
- સુજ્ઞ વાચક બિરાદરો! કુરાન શરીફની વાણીને અલ્લાહતઆલાના શબ્દો તરીકે જાણો અને તેના પ્રત્યેક શબ્દોને તેના સાચા અર્થમાં સમજી તેના પર અમલ, પાલન કરો. લેભાગુ મુલ્લા-મૌલવીઓના મનઘડત અર્થોથી સાવધાન રહો. દુનિયામાં વપરાતી, બોલાતી એવી ભાગ્યે જ કોઇ ભાષા હશે જેમાં કુરાનનું ટ્રાન્સલેશન થયું નહીં હોય.
- તમારા રોજિંદા ક્રમમાં કુરાનનની હિદાયત-ધર્મજ્ઞાનને વણી લો. સબ્ર કરો. જેણે દાંત આપ્યા છે તે ચાવવા માટે ખાવાનું આપવા માટે બંધાયેલો છે. તેના ઘરમાં દેર છે પણ અંધેર નથી જ. આમીન (ઇશ્વર, અલ્લાહ જીવમાત્રનું ભલું કરે).
- શમીમ એમ. પટેલ (ભરૂચ-ગુજરાત).
સાપ્તાહિક સંદેશ
આ દુનિયામાં ગુના કરી ગર્વભેર ફરનારાઓ નોંધી લે, ખુદાના ડરથી કાપી ઊઠે અને તૌબા (પ્રાયશ્ચિત) કરી લે, એમાં જ તેમની ભલાઇ છે. નહીંતર કિયામત (ન્યાયનો દિવસ)ના રોજ.
- વ્યભિચારીઓના ગુપ્તાંગોમાંથી ભયાનક બદબૂ (દુર્ગંધ) ફેલાતી હશે. જેનાથી તેઓની બેઇજજતી થશે, લોકો જાણી જશે કે આ વ્યભિચારી હતો !
- જહન્નમ (દોઝખ)માં સળગનારા જહન્નમીઓને પણ તેમની બદબૂથી તકલીફ થશે.
- એટલું જ નહીં પણ વ્યભિચારી સ્ત્રી-પુરુષોનાં ગુપ્તાંગોને માઇલો જેટલા લાંબા કરી દેવામાં આવશે.
- પછી તેના પર સાપ તથા વિંછીઓને લગાડી દેવામાં આવશે, જેઓ તેમનાં ગુપ્તાંગોને કરડશે !
- તરસ-પ્યાસની તકલીફથી તેઓ ચીસો પાડશે અને પાણી માગશે.
અય ઇસ્લામના ચાહકો ! હુઝૂરે અનવર (સ.લ.)ના ફરમાનોને જો સારા માનતા હોય, તો આ બદીમાં કદાપી પડશો નહીં.
(રસૂલ' ઇશ્વરનો દૂત, હઝરત મુહમ્મદ સલ.
ઇમાન’: શ્રદ્ધા, સચ્ચાઇ, તાબેદારી).