લાડકી

ભારતની વીરાંગનાઓ : ભારતસુંદરી બની વિશ્વસુંદરી લીલા નાયડૂ

  • ટીના દોશી

આસમાનમાં એક ચંદ્ર પૂર્ણિમાનો અને એક ચંદ્ર અમાસનો….!

પૂનમની રાત્રિએ આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલેલો જોવા મળે છે, પણ બીજા દિવસથી ચંદ્રની ચડતી કળામાં પડતી થવા લાગે છે. અમાસની રાત્રિ આવતાં સુધી તો ચાંદ ડૂબી જાય છે… ક્યારેક ઝળહળતો ચાંદ તો ક્યારેક અમાસનો ડૂબેલો ચાંદ જાણે કહે છે કે જેની પૂનમ છે એની અમાસ પણ છે!

લીલા નાયડૂના જીવનના ઉતારચડાવ જોતાં કહી શકાય કે એણે પોતાના જીવનમાં પૂનમ પણ જોઈ અને અમાસ પણ. મિસ ઇન્ડિયા બનીને એ પૂર્ણિમાના ચંદ્રની જેમ ઝળહળી, ફિલ્મોમાં અભિનય કળાનાં કામણ પાથર્યા અને કારકિર્દીના ચંદ્રની કળા પડતીની થતાં અમાસના ચંદ્રની જેમ ડૂબી ગઈ…

લીલા નાયડૂનો જન્મ મુંબઈમાં 1940માં થયેલો. પિતા ડો. પટ્ટીપતિ રમૈયા નાયડૂ પ્રસિદ્ધ પરમાણુ ભૌતિક વૈજ્ઞાનિક એટલે કે ન્યુક્લિઅર સાયન્ટિસ્ટ હતા. તેઓ આંધ્ર પ્રદેશના ચિતૂર જિલ્લાના મદનપલ્લેના રહેવાસી હતા. તેઓ પેરિસમાં માદામ ક્યુરીની પ્રયોગશાળા ચલાવતા. માતા ડો. માર્થે માંગે નાયડૂ સ્વિસ-ફ્રાન્સીસી મૂળની હતી. તેણે સોરબોનથી પીએચડી કરેલું. માર્થે માંગેના સાત ગર્ભપાત પછી આઠમા ગર્ભધારણમાં લીલાને જન્મ થયેલો. સ્વાભાવિક જ માર્થે અને પટ્ટીપતિ લીલાના જન્મને પગલે ખુશીથી ઝૂમી ઊઠેલાં. ઓળી ઝોળી પીપળ પાન, દીકરીનું રાખ્યું લીલા નામ…

લીલા મુગ્ધાવસ્થામાં પ્રવેશી ત્યારે પટ્ટીપતિ સપરિવાર ફરી એક વાર ભારત પાછા ફર્યા. મુંબઈ પરત આવ્યા બાદ લીલાએ મિસ ઇન્ડિયા પ્રતિયોગિતામાં ભાગ લેવાની તૈયારીઓ શરૂ કરી. વર્ષ 1954માં લીલાએ ફેમિના મિસ ઇન્ડિયા પ્રતિયોગિતામાં ભાગ લીધો. ખિતાબ જીતીને ભારતસુંદરી બની. આ જ વર્ષમાં પ્રતિષ્ઠિત વોગ મેગેઝિને વિશ્વની સૌથી દસ ખૂબસૂરત સ્ત્રીઓમાં મહારાણી ગાયત્રીદેવી સાથે લીલા નાયડૂનો સમાવેશ કર્યો. ભારતસુંદરી લીલા નાયડૂ હવે વિશ્વસુંદરી પણ બની ગયેલી.

India's heroines: Miss India turns Miss World Leela Naidu

દરમિયાન, માત્ર સત્તર વર્ષની વયે લીલા નાયડૂએ ઓબેરોય જૂથના પોતાનાથી ઉંમરમાં સોળ વર્ષ મોટા તિલકરાજ મોહનસિંહ ઓબેરોય સાથે લગ્ન કરી લીધાં. થોડા સમય પછી જોડિયા દીકરીઓ પ્રિયા અને માયાનો જન્મ થયો. જોકે તિલકરાજ અને લીલા વચ્ચે મતભેદ અને પછી મનભેદ થવા લાગ્યાં. છૂટાછેડા થયા. જિંદગીનું એક પ્રકરણ પૂં થયા પછી લીલા નાયડૂએ નવું પ્રકરણ આલેખવાનું શરૂ કર્યું. રાજ કપૂર લીલાને પોતાની ફિલ્મમાં નાયિકાની મુખ્ય ભૂમિકામાં લેવા ઉત્સુક હતા, એમણે એકબે વાર નહીં, ચાર ચાર વાર લીલા નાયડૂ સમક્ષ ફિલ્મનો પ્રસ્તાવ મૂક્યો. પણ ઓક્સફર્ડ જવા ઈચ્છુક લીલાએ ચારેય વાર સવિનય ઇનકાર કરી દીધો.

લીલા નાયડૂએ ચાર વાર ફિલ્મનો પ્રસ્તાવ ઠુકરાવ્યો, પણ વિધિના લેખમાં કોણ મેખ મારી શકે! બન્યું એવું કે જાણીતાં સ્વતંત્રતા સેનાની અને તસવીરકાર કમલાદેવી ચટ્ટોપાધ્યાયે લીલા નાયડૂની એક તસવીર ખેંચેલી. કમલાદેવીએ આ તસવીર ફિલ્મમેકર ઋષિકેશ મુખરજીને દેખાડેલી. લીલાની મનમોહક તસવીર જોઈને ઋષિકેશ મુખરજીએ મનોમન એને પોતાની ફિલ્મમાં ચમકાવવાનું નક્કી કરી લીધેલું. એમણે કેટલીયે વાર ફિલ્મની સંપૂર્ણ કથા-પટકથા સાથે લીલા નાયડૂ સમક્ષ ફિલ્મ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. આખરે લીલાએ નમતું મૂકવું પડ્યું. અનુરાધા ફિલ્મ કરવા લીલા રાજી થઈ.

અનુરાધા 1960માં પ્રદર્શિત થયેલી લીલાની પહેલી ફિલ્મ હતી. લીલા નાયડૂને આ ફિલ્મથી દેશભરમાં નવી ઓળખ મળી. બોલિવૂડમાં લીલાની ફિલ્મો ધીમી ગતિએ પ્રદર્શિત થઈ રહેલી. 1962માં ઉમ્મીદ આવી. ત્યાર બાદ એ સમયે ખૂબ ગાજેલા નાણાવટી મર્ડર કેસ પર આધારિત યે રાસ્તે હૈં પ્યાર કે' આવી. આ જ અરસામાં સત્યજીત રે અમેરિકન એક્ટર મર્લન બ્રાંડો, લીલા નાયડૂ અને શશી કપૂરને સાથે લઈને ઇંગ્લિશ ફિલ્મધ જર્ની’ બનાવવા માગતા હતા. પણ આ ફિલ્મ ક્યારેય ન બની શકી. 1964ની `બાગી’ પછી લીલાને ફિલ્મ મળવાનું લગભગ બંધ થઈ ગયેલું.

સિનેજગતની નિષ્ફળતા પછી લીલા નાયડૂએ પોતાનું નિર્માણગૃહ શરૂ કર્યું. પોતાના નિર્માણગૃહ દ્વારા લીલા હાંસિયામાં ધકેલાયેલા લોકો વિશે ડોક્યુમેન્ટરી બનાવવા માગતી હતી. એણે પહેલી ડોક્યુમેન્ટરી ધ સર્ટન ચાઈલ્ડહૂડ બનાવી. બીજી ડોક્યુમેન્ટરી હાઉસલેસ બોમ્બે બનાવી. પણ આર્થિક સંકડામણને કારણે અધૂરી જ રહી. પછી એણે પ્રોડક્શન હાઉસ બંધ કરી દીધું. મુંબઈના એક મેગેઝિનમાં કામ કરવાનું એણે શરૂ કર્યું. દરમિયાન, 1969માં મશહૂર લેખક ડોમ મોરાઈસ સાથે લીલાએ લગ્ન કર્યાં. લીલા અને ડોમ વિશ્વભરમાં પ્રવાસ કરીને કેટલોક સમય દિલ્હીમાં રહ્યાં. પછી મુંબઈમાં સ્થાયી થયાં. જોકે ડોમ સાથેનું લગ્નજીવન પણ લાંબું ન ટક્યું. ડોમ સાથે 1990ના અંત સુધીમાં લીલાનું લગ્નજીવન આટોપાઈ ગયું.

બીજી વાર લગ્નજીવન તૂટવાની સાથે લીલા પણ તૂટી ગઈ. એણે દુનિયા સાથે એક અંતર ઊભું કરી લીધું. કોલાબામાં કાચી ઇંટોથી બનેલા એક વિશાળ ઘરમાં રહેવા લાગી. લીલાના મિત્ર સુનીલ મૂર્તિના કહેવા પ્રમાણે, એ વખતે એની સાથે તમિળ સેવક સેલવમ હતો. સેલવમ લીલા માટે ભોજન બનાવતો, દવાઓ આપતો, ઘરની સાફસફાઈ કરતો અને આખા દિવસની ભરાયેલી એશટે્રમાંથી સિગારેટનાં ઠૂંઠાં ખાલી કરતો. જોતજોતામાં લીલાનાં નાણાં સમાપ્ત થઈ ગયાં. એથી એણે ગુજરાન ચલાવવા પોતાનું ઘર ભાડે આપવું પડ્યું.

આપણ વાંચો:  આ રીતે પણ સમાજને ઉપયોગી બની શકીએ…

એક દિવસ સુનીલ લીલાને મળવા ગયો ત્યારે જોયું કે લીલાના વાળ સફેદ થઈ ગયેલા, ચહેરા પર કરચલીઓ પડી ગયેલી અને વસ્ત્રના નામે એક મામૂલી ગાઉન પહેરેલો. લીલા નશામાં ધૂત રહેતી. ધીમે ધીમે એણે કોઈનેય મળવાનું બંધ કરી દીધું. લીલાને મળવા ગયેલો એક મિત્ર ઘણી વાર રાહ જોયા પછી બહારથી જ ગુડ બાય કહીને ચાલ્યો ગયો. લીલા એકલીઅટૂલી પડી ગયેલી. એવામાં ઇન્ફ્લુએન્ઝાએ ભરડો લીધો. એનાં ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું. 28 જુલાઈ 2009ના લીલાએ જીવનલીલા સંકેલી લીધી…. લીલાનું જીવન સંદેશ આપે છે કે, જીવન ચંદ્ર જેવું છે. એક ચંદ્ર પૂર્ણિમાનો હોય છે અને એક ચંદ્ર અમાસનો પણ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button