આ રીતે પણ સમાજને ઉપયોગી બની શકીએ…

- નીલા સંઘવી
નિવૃત્તિ કાળે, જીવન સંધ્યાએ પહોંચેલા લોકો સમાજને વિવિધ રીતે ઉપયોગી થઈ શકે છે. સમાજને ઉપયોગી થવા સાથે આવક પણ રળી શકે છે. સુમતિબહેને એવી જ પ્રવૃત્તિ પસંદ કરી હતી, જેનાથી એ સમાજને ઉપયોગી થઈ શક્યાં સાથે સાથે પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે તેટલી કમાણી પણ કરી શકે છે.
આવો, આ વખતે આપણે આ સુમતિબહેનને મળીએ…
સુમતિબહેન અને સુમનભાઈ સુખી દાંપત્ય. એક પુત્ર અને એક પુત્રી બંનેને પરણાવી દીધાં હતા. સુમનભાઈનો પોતાનો વ્યવસાય અને સુમતિબહેન શાળામાં શિક્ષિકા. સાઠ વર્ષે સુમતિબહેન તો રિટાયર્ડ થઈ ગયાં, પરંતુ સુમનભાઈ હજુ પણ કાર્યરત હતા. સુમનભાઈને ઘરમાં બેસવું ગમે નહીં અને વ્યવસાયમાં એમનો બહુ જીવ. વ્યવસાય છોડી દે તો એમને ચેન પડે નહીં. તેથી સુમતિબહેન પણ કાંઈ બોલતાં નહીં. સુમતિબહેન વિચારતાં કે એમને કામ કરવું ગમે છે તો ભલે કરતા. સુમનભાઈની તંદુરસ્તી પણ સારી. પતિ-પત્ની બંનેનું ખાવાનું પણ સત્વશીલ. કોઈને પણ ઈર્ષ્યા જન્માવે એવું આ દંપતી! કોણ જાણે કોની નજર લાગી ગઈ કે સુમતિબહેન ઉપર દુખનો ડુંગર તૂટી પડ્યો.
19 ઓક્ટોબર, 1988નો એ ગોઝારો દિવસ. સુમનભાઈને અમદાવાદ કામ અર્થે જવાનું હતું. સુમનભાઈ ઈન્ડિયન એરલાઈન્સની ફલાઈટમાં મુંબઈથી અમદાવાદ જવા રવાના થયા. અમદાવાદ એરપોર્ટની નજીક પહોંચી જ રહ્યા હતા અને અચાનક 135 પેસેન્જર (ક્રૂ સભ્યો મળીને) સાથેનું પ્લેન ક્રેશ થઈ ગયું અને 135માંથી 133 પેસેન્જર મૃત્યુને ભેટ્યા. આ 133 મુસાફરોમાં સુમનભાઈ પણ હતા. સાવ સાજા-સારા સુમનભાઈ એક ક્ષણમાં કાળનો કોળિયો થઈ ગયા. દીકરો અમદાવાદ – દીકરી બેંગલોર અને સુમતિબહેન મુંબઈ…. એ બધાં સાવ દિગ્મૂઢ બની ગયાં. શું કરવું એની સમજ જ પડતી ન હતી. દીકરા-દીકરીએ માને પોતાની સાથે લઈ જવાની જીદ કરી પણ સુમતિબહેને ના પાડી દીધી. સુમતિબહેને કહ્યું, “જે ઘરમાં તમારા પપ્પાની યાદો છે તે ઘરમાં જ હું રહેવાનું પસંદ કરીશ. હું આ ઘર છોડીને ક્યાંય આવવાની નથી અમે બંનેએ આ ઘરમાં અમારા જીવનની સુંદર પળો વીતાવી છે.
“તું અહીં એકલી શું કરીશ?’ દીકરીએ પૂછ્યું.
`કાંઈક તો કરીશ સુમતિબહેને કહ્યું.’
સુમતિબહેન એકલાં જ રહેતાં હતાં એ દરમિયાન એમની બહેનપણીની દીકરીને મુંબઈમાં છ મહિનાનો કોઈ કોર્સ કરવાનો હતો. એ બહેનપણી વડોદરા રહેતી હતી. બહેનપણીએ પોતાની દીકરીને સુમતિબહેનને ઘેર રાખવાની વિનંતી કરી. સુમતિબહેને એ દીકરીને છ મહિના પોતાની સાથે રાખી. આ સમય દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે ગુજરાતનાં શહેરો કે ગામડાંઓમાંથી ઘણી દીકરીઓ મુંબઈમાં અભ્યાસ અર્થે કે પછી કમાવા માટે આવતી હોય છે. એમને મુંબઈમાં રહેવાની મુશ્કેલી પડે છે. હોસ્ટેલ હોય પણ મોંઘી પડે, વળી ઘણી વાર તો જગ્યા જ ન મળે.
સુમતિબહેનનું ઘર મોટું હતું તેમાં બંક બેડ મૂકીને 14-15 યુવતીઓનો સમાવેશ થઈ જ જાય અને પોતાને એકલા રહેવામાંથી મુક્તિ મળી જાય. આટલી બધી યુવતીઓનો સહવાસ મળે. પેલી એક દીકરી એમની સાથે રહેતી હતી ત્યારે સુમતિબહેનને બહુ જ ગમતું હતું. એ દીકરી કામ પર જાય એનો તેઓ ડબ્બો ભરી દેતાં, ચા-નાસ્તો કરાવી દેતાં. રાતના એના આવવાની રાહ જોતાં. એ દીકરીને ભાવતી વાનગીઓ બનાવીને બંને સાથે બેસીને જમતાં. જમતાં જમતાં પેલી છોકરી આખો દિવસ શું કર્યું તેની વાતો કરતી. છોકરીની મમ્મી તો રાજીની રેડ થઈ ગઈ અને બસ, સુમતિબહેનને ત્યારથી જીવનની એક નવી દિશા મળી ગઈ. જે દીકરીને પોતાને ઘેર સુમતિબહેને રાખી હતી એની જ એક બે બહેનપણી આવી રીતે પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા આવી. પછી તો માઉથ પબ્લિસિટીથી 12-13 છોકરીઓ આવી ગઈ. સુમતિબહેનનું ઘર કલરવથી ભરાઈ ગયું. સુમતિબહેન બધી જ દીકરીઓને ચા-નાસ્તો, ટિફિન અને રાતનું જમવાનું પણ આપતાં એ પછી પણ કિફાયતી દરે. સુમતિબહેન સૌની મા જેવાં હતાં એટલે અહીં રહેતી છોકરીઓનાં માતા-પિતા નચિંત હતાં. સુમતિબહેને રસોઈ કરવા માટે બે બહેન રાખી લીધાં હતાં. વળી જે છોકરીઓ રસોઈના સમયે ઘેર હોય તેમને પણ સુમતિબહેન રસોઈમાં મદદ કરવા માટે ઉત્સાહિત કરતાં, જેથી એમને રસોઈ બનાવવામાં રસ પડે અને રસોઈ બનાવતા આવડી પણ જાય.
આપણ વાંચો: ડિયર હની, તારો બન્નીઃ કામવાળીને માન-સન્માન કેમ નહીં?
સુમતિબહેન શિક્ષિકા રહી ચૂક્યાં હોવાને કારણે એમને ત્યાં રહેતી દીકરીઓને શિસ્ત શીખવતાં, પોતાનો બેડ, રૂમ, ટોઈલેટ વગેરે સ્વચ્છ રાખવાના, કપડાં જ્યાં ત્યાં ફેંકવાના નહીં, સમયસર ઊઠવાનું અને હા, રાતે મોડામાં મોડું નવ વાગ્યા સુધી પાછાં આવી જવાનું એનાથી મોડું થાય તો સુમતિબહેન ધૂળ કાઢી નાખે તેથી ડરને કારણે કોઈ મોડું આવવાની હિંમત કરે જ નહીં. સુમતિબહેન ક્યારેક ગુસ્સો કરે પણ હંમેશાં પ્રેમ જ કરે. દીકરીઓને અહીં પોતીકું લાગતું, ઘરની યાદ આવતી નહીં. એમનાં માતા-પિતા મળવા આવતાં ત્યારે સુમતિબહેનનો આભાર માનતાં દીકરીની પરીક્ષા હોય ત્યારે રાતે જાગીને છોકરીઓ વાંચતી હોય તો સુમતિબહેન પણ મોડે સુધી જાગે. એક થર્મોસમાં ચા અને બીજા થર્મોસમાં કોફી બનાવીને ભરી રાખે જેથી પોતે સૂઈ જાય પછી વાંચતા વાંચતા છોકરીઓને ઊંઘ આવે તો ચા-કોફી પીઈને ઊંઘ ઉડાડી શકે. તેમનું રિઝલ્ટ આવવાનું હોય ત્યારે છોકરીઓ જેટલી એકસાઈટેડ હોય તેટલા જ ઉત્સાહિત સુમતિબહેન હોય. વર્ષો સુધી સમાજને આ રીતે ઉપયોગી થઈને એ જીવ્યાં. જીવનના નવ દાયકા સ-રસ, અર્થપૂર્ણ જીવન જીવીને સુમતિબહેન સ્વર્ગે સિધાવ્યાં. આજે પણ એમને ત્યાં રહીને ભણેલી દીકરીઓ સુમતિબહેનને યાદ કરે છે.