ઈન્ટરવલ

આ તો સ્કેમ છેઃ ખજાનો લૂંટાયા વિશેના અનેક સવાલ કેમ રહ્યા અનુત્તર?

પ્રફુલ શાહ

અન્ડર સેક્રેટરીમાંથી વિદેશ સચિવ બનેલા આર. ડી. સાઠેએ નેતાજી સુભાષચંદ્ર બોઝની ઈન્ડિયન નેશનલ આર્મીના ખજાનાના ગાયબ થયા વિશે ઘણાં સ્ફોટક નિવેદન કર્યાં. એમાં વધુ એક ચોંકાવનારું નામ આવ્યું લેફટનન્ટ કર્નલ ફિગેસનું. પહેલા વિશ્ર્વ યુદ્ધ વખતે સાઉથ ઈસ્ટ એશિયાના સુપ્રીમ એલી કમાન્ડરના મુખ્યાલયમાં ફરજ બજાવતા બ્રિટનના મિલિટરી કાઉન્ટર – ઈન્ટેલિજન્સ ઑફિસર લેફટનન્ટ કર્નલ જોહન ફિગેસે નેતાજી હવાઈ અકસ્માતમાં માર્યા ગયાના દાવાને સમર્થન આપ્યું હતું.

એક મોટા શકમંદ રામમૂર્તિ અને ફિગેસની નિકટતાએ જાપાનમાં ઘણાંના ભવાં ઊંચા કરાવ્યા હતા. યાદ રહે કે રામમૂર્તિ નેતાજીની આઈ. એન. એ. સાથે જ હતા, જે ફિગેસના દેશ બ્રિટન સામે લડતી હતી. એ તર્કથી આ બે દુશ્મનમાં યારાના શા માટે એવો સવાલ થવો સ્વાભાવિક ગણાય. 1946માં જ્યારે જાપાનમાં બધાં ભારતીયો આર્થિક મુશ્કેલીનો સામનો કરતા હતા, ત્યારે રામમૂર્તિ પ્રમાણમાં ઘણાં સધ્ધર હતા. એટલું જ નહિ, અચાનક રામમૂર્તિને બ્રિટનમાં કાયમ માટે સ્થાયી થવાનું આમંત્રણ અપાયું હતું. નેતાજીના સાથી પ્રત્યે બ્રિટનનો આટલો પ્રેમ-અહોભાવ શા માટે?

આ લખાણ સાથેની નોંધ સાઠેએ 1951ની પાંચમી નવેમ્બરે વડા પ્રધાન જવાહરલાલ નહેરુને મોકલાવી હતી, જે તેમણે જોઈને સંબંધિત ફાઈલમાં મૂકી દેવાની સૂચના આપી હતી. એ સમય ચૂંટણીનો હતો. કૉંગ્રેસ ભવ્ય વિજય મેળવે એમ સૌ માનતા હતા.
વિપક્ષી નેતાને નામે કોઈ મોટું કે લોકપ્રિય માથું નહોતું. આ બધા વચ્ચે નેતાજી સુભાષચંદ્ર બોઝના મોત અંગે શંકા હતી. તેઓ ગમે ત્યારે દેખાદે એવી શકયતા વચ્ચે ભારત સરકારે એમના કુટુંબીજનો પર નજર રાખવાની વ્યવસ્થા કરી હતી.

આ અગાઉ 1951ની 26મી સપ્ટેમ્બરે નહેરુએ નેતાજી મૃત્યુ પામ્યાનું સ્વીકારી લીધું. કેવી રીતે? કારણ કે નેતાજીના સાથી ઐયર તેમને મૃત્યુની તપાસના અહેવાલ સાથે મળ્યા હતા, જેમાં એ સાબિત થતું હતું. નહેરુએ ઐયરની આ વાત માની લીધી પણ તેની (ઐયરની) વિરુદ્ધની રજૂઆતોને કેમ ગંભીરતાથી નહિ લીધી હોય? આટલું જ નહિ, ઐયરને તો નહેરુની પંચવર્ષીય યોજનાના સંકલિત પ્રચાર પ્રોગ્રામના સલાહકાર તરીકે નિમાયા હતા.

આ પણ વાંચો….આ તો સ્કેમ છેઃ ચેટ્ટુરને ગંભીરતાથી લેવાયા હોત તો ખજાનો મળ્યો હોત?

ખજાનાના ભેદ પર કાયમ પડદો પડી ગયો એમ માનીને ઘણાંએ રાહતના શ્ર્વાસ લીધા, પરંતુ 1955માં ટોકિયોસ્થિત ભારતીય રાજદૂત એ. કે. દરે ફરી સનસનાટી મચાવી હતી. તેમણે આઈ. એન. એ.ના ગાયબ થયેલા ખજાના વિશે જાહેર તપાસ યોજવાની માગણી કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે ભલે ખજાનો પાછો ન મળે પણ એને સગેવગે કરનારા કોણ હતા અને તેમણે શું કર્યું એ તો અવશ્ય બહાર આવશે. આ મર્દે તો ખજાનાના મામલામાં દસ વર્ષ ભારત સરકાર ઉદાસીન રહી હોવાનું ય લખીને આપ્યું હતું.

આવી ચેતવણીઓ આવતી રહી, માગણી થતી રહી પણ સરકારે આંખ, કાન અને મગજ બંધ કરી દીધા હતા.

1971માં નેતાજીના મૃત્યુની તપાસ કરી રહેલા જસ્ટિસ જી. ડી. ખોસલા પંચ સમક્ષ જાપાનમાં રહેતા બે ભારતીય આગેવાને ખજાના વિશે મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. ટોકિયોમાં રહેતા પીઢ પત્રકાર કે. વી. નારાયણે દાવો કર્યો હતો કે 1945માં ઐયર ઘરેણા ભરેલી બે બેગ લઈને જાપાન આવ્યા હતા અને એ બેગ રામમૂર્તિને આપી હતી. પોતાના અંતિમ અહેવાલમાં ખોસલા પંચે નોંધ્યું પણ હતું કે ખજાનોનો અમુક ભાગ અદૃશ્ય થવામાં રામમૂર્તિ અને એના ભાઈ જે. મૂર્તિનો હાથ હતો પણ પંચને કોઈ પુરાવા મળ્યા નથી એટલે વધુ તપાસમાં કંઈ ઊપજે એવું લાગ્યું નહિ.

હકીકતમાં ઘણાં તો નેતાજીના ખજાનાને ગાયબ થવાને આઝાદ ભારતનું પ્રથમ કૌભાંડ માને છે, જે 1948ના જીપ કૌભાંડ અગાઉ આચરાયું હતું. નેતાજી પરની ડિકલાસિફાઈડ ફાઈલ જાહેર થયા બાદ શકમંદોના કુટુંબીજનોએ આરોપને નકારી પણ કાઢયા.

નેતાજી સુભાષચંદ્ર બોઝ મહાન નેતા હતા, સ્વાતંત્ર્ય સેનાની હતા અને ચુંબકીય વ્યક્તિત્વના ધણી હતા. આજે ય તેઓ ભૂલાયા નથી. એમના વિશેની પૂરેપૂરી સચ્ચાઈ ક્યારેય બહાર આવશે? એ સત્યને સ્વીકારવાની – પચાવવાની દેશમાં – સરકારમાં તાકત છે.

અને નેતાજીના અદૃશ્ય થયેલા ખજાનાના પ્રકરણના અહીં સમાપન સાથે થોડા સવાલો ઊભા થાય છે. દેશભરમાં નેતાજીના સમર્થકો – સ્વયંસેવકો હતા. ધારો કે ભુવનેશ્ર્વર, કટક, લખનઊ, અમદાવાદ, વડોદરા, વિલેપાર્લે કે બોરીવલીના કોઈ આગેવાન પાસે આઈ. એન. એ. માટે ઉઘરાવેલું ભંડોળ નહિં હોય? અથવા નેતાજીએ જરૂર પડયે વાપરવા માટે આપેલી નોંધપાત્ર રકમ નહિં હોય? એ રકમ પણ સંબંધિતો ઓડકાર ખાધા વગર પચાવી ગયા હશે?
(સંપૂર્ણ)

આ પણ વાંચો….આ તો સ્કેમ છેઃ આઈ.એન.એ.ના ખજાનામાંથી પાકિસ્તાને ભાગ માગ્યો હતો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button