ઈન્ટરવલ

તસવીરની આરપારઃ શિહોર શહેરમાં…ઐતિહાસિક લડાઈનાં કમાંગરી શૈલીનાં ભીંતચિત્રો…

  • ભાટી એન.

ભાવનગર (ગોહિલવાડ)નું શિહોર ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. રજવાડાંના સમયમાં શિહોર ગોહિલ વંશના રાજાઓનું મુખ્ય મથક હતું. રાજ્યનું બધું જ સંચાલન અહીંથી થતું હતું. શિહોર ગામની બાંધણી પણ ભવ્ય અને અસાધારણ ભૂતકાલીન સ્મૃતિ ધરાવે છે. ગામની ભાગોળે ડુંગર છે. ત્યાં શિહોરી માતાનાં બેસણાં છે, એટલે જ આ ગામનું નામ શિહોરી' અર્થાત્‌‍શિહોર પડયું હશે. નાના ગામનું મુખ્ય એક જ બજાર છે. તે પણ અતિ સાંકડું! પણ ગામની ફરતા ઊંચા ઊંચા ડુંગરા અને માતાજીનાં મંદિર પણ છે. ગામની ફરતો કિલો હતો તેના અમુક અવશેષો આજે પણ નિહાળવા મળે છે. ગામથી થોડે દૂર અલભ્ય અને અલૌકિક ડિઝાઇનવાળાં પ્રાચીન વાવ મંદિરો છે.

સોળમી સદીમાં વિસાજી ગોહિલે શિહોર જીતી લીધું અને શિહોરમાં પોતાની રાજગાદી સ્થાપી. ત્યાર પછી તેમના વારસદાર તરીકે વખતસિંહજી ઉર્ફે આતાભાઈના સમયમાં ઈ. સ. 1775 માં શિહોર ઘણું ખ્યાતિ પામ્યું. એ સમય દરમિયાન ઠાકોર વખતસિંહજીએ ચિતળના કાઠી ઠાકોર કુંપાવાળા સામેની ખૂનખાર લડાઈમાં જીત મેળવી અને પછી ઈ. સ. 1793માં કુંપાવાળાના પરિવારને ચિતળ પાછું સોંપ્યું. કુંપાવાળા સામે ઐતિહાસિક દિગ્વિજય થવાના હર્ષોલ્લાસનાં સંભારણાંને કાયમી કરવા માટે ઠાકોર વખતસિંહજીએ કચ્છના કમાંગર ચિતારાને તેડાવી શિહોરના દરબારગઢના બીજા મજલાના દીવાનખંડમાં ચિતળ વિજયનાં ભીંત ચિત્રો દોરાવ્યા ને તેનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આ ચિત્રો ઈ. સ. 1773થી ઈ. સ. 1795ની સાલમાં બન્યાં હશે. શ્રેષ્ઠ કમાંગર કારીગરોને આ ચિત્રો બનાવતાં બે વર્ષ જેટલો સમય હશે. ચિત્રો આલેખનાર કમાંગર કલાનો સિદ્ધહસ્ત ચિતારો જણાય છે. ચિત્રોની રચના અને સંયોજનમાં માનવ, પશુઓના ચિત્ર પરિવેશના સમગ્ર આલેખનમાં તેની બાહોશી અને સિદ્ધહસ્તપણાની જોનારને અચૂક ખાતરી થાય છે.

દીવાનખંડની બેઠકના ઓરડામાં આલેખિત આ ચિત્રો જયપુરી ફોસ્કો’ની રીત પ્રમાણે થયાં હોય તેવું નથી લાગતું? ચિત્ર આલેખનની શરૂઆત પૂર્વ દિશાની દીવાલ પર ડાબા હાથ તરફથી શરૂ થાય છે. સૌપ્રથમસિંહુન’ નામની સફેદ ઘોડી પર સવાર થયેલા વખતસિંહજીનું ચિત્રણ કરવામાં આવ્યું છે અને તે પછી તેમના ગિરાસદાર ભાયાતોનાં આબેહૂબ ચિત્રો દોરાયાં છે. તેની નીચેની કંદોરાબંધ પેનલમાં ભાયાતો અને ઊંટની નોબત છે.

પૂર્વ દિશાની ભીંતની જમણી તરફની પેનલમાં રાજકુમાર બાપાજી રાજ હાથી પર સવાર થયા છે. તેમની સંગાથે લાઠી ઠાકોર છે, તો તેની નીચેની કંદોરાબંધ પટ્ટીમાં તાલબ જમાદાર આરબોની બેરખ તેમજ તોપગાડી લઈને કૂચ કરી રહ્યાં છે. દક્ષિણ દિશાની દીવાલનો વિભાગ મોટો હોવાથી તેમાં ઉપર અને નીચેની બે કંદોરાબંધ પટ્ટીમાં કાઠી-ઠાકોરો અને વખતસિંહજીના સૈન્યનું યુદ્ધ ખૂબ જ ગતિમય રીતે આલેખવામાં આવ્યું છે. પશ્ચિમની દીવાલના ડાબા હાથ તરફની પટ્ટીમાં સૈનિકો કૂચ કરતા જણાય છે તો જમણી તરફની પટ્ટીના ઉપરના ભાગે કુંવર વિજયસિંહ સાથે સિપાહીઓ છે. તો તેની નીચેની પટ્ટીમાં ઘોડા, ઊંટની ફોજ ચાલી આવે છે.જૂનો કળી ચૂનો, ચિરોડી અને આરસની ભૂકી સાથે કડિયોગુંદર અને ગૂગળને ખાંડીને મલામાનું પ્લાસ્ટર બનાવી પછી ભીંત પર ઘૂંટી-લસોટીને અસ્તરને સજ્જડ લપેટીને સુંવાળી બનાવેલી ભીંતની સપાટી પર રેખાંકનો છે, ઈ. સ. 1915=17 નાં અરસામાં દરબારગઢનાં તૈલરંગથી રીપેઇન્ટિંગ કરેલ છે. તેના પર તૈલરંગ હોવાથી નીચે દબાઈ ગયાં છે.

કચ્છ અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં વર્ષોથી આપ-લે થતી હોવાથી બન્નેની કલા અને કારીગરીમાં આદાનપ્રદાનના સંસ્કાર જોઈ શકાય છે. દરબારગઢમાં ચિત્ર કરનાર કમાંગરે કાઠિયાવાડી ઘોડાની ઓલાદ અને કાઠી, રજપૂત તેમ જ અન્ય જાતિ-પાંતિના પુષોનું બહુ સાં આલેખન કર્યું છે. રાજા-ઠાકોર, કાઠી, ગલઢારા, ભાયાતો ઉપરાંત સૈન્યના સામાન્ય થોભિયાં વગેરેના ચિત્રણમાં ચિતારાએ તત્કાલીન પુષ પરિવેશનું દસ્તાવેજી ચિત્રાંકન કર્યું છે.

ગુજરાતમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના શિહોરના દરબારગઢનાં ભીંતચિત્રો અતિ વિવિધતાપૂર્ણ છે. આ ચિત્રો સીધાસાદા અને મનમોહક તથા અતિ ભવ્ય છે. ચિત્રકારોને આ ચિત્રો દોરવામાં સરળતા રહે તેમ છે. કમાંગરી શૈલી અત્યારે લુપ્ત થતી જાય છે. તે સમયમાં માપ-સાઈઝનાં સાધનો પણ હતાં નહિ. ફક્ત કોઠાસૂઝથી જ આબેહૂબ ચિત્રો દોરાતાં. આ ભીંતચિત્રોમાં ઘોડાની તાલબદ્ધ ચાલવાની પદ્ધતિ, લશ્કરની બંદૂકો સાથેની આગેકૂચ, હાથી ઉપર સવાર અને સિંહાસન પર બેઠેલી વ્યક્તિ અને હાથીને શણગારેલાં આભૂષણો, ઠાકોર વખતસિંહજીના દરબારગઢની આગળની ઓસરીમાં લાકડા પર કરેલી કોતરણી સરસ લાગે છે. પુરાતત્ત્વ ખાતાથી રક્ષિત આ સ્મારક છે. ગોહિલવાડનાં ઉત્કૃષ્ટ ચિત્રોનું નજરાણું ઉત્કૃષ્ટ છે. નવીન શૈલીનાં સપ્તરંગી ચિત્રોની શૃંખલા નિહાળવા અને પ્રાકૃતિક રંગોના ચિત્રણ કેમ બનતાં તે જોવા તથા ચિત્રકાર તે સમયમાં સુંદર ચિત્રોથી કેવું ભાવવિશ્વ ખડું કરતા તેવાં અતિ દુર્લભ ચિત્રો નિહાળવા ગોહિલવાડના શિહોરમાં આપનું સુસ્વાગત છે. કલા ગંગોત્રી ગ્રંથ ગુજરાતનો વિસરાતો ભીતચિત્રોનો કલા વૈભવમાં ગુજરાતનાં ભીંત ચિત્રોનો વૈભવ નિહાળવા મળશે, પ્રદીપ ઝવેરી, ડો, પૂર્વી ગોસ્વામી એ ગ્રંથ સુચા આલેખન કરેલ છે, તો રમણીકભાઇ ઝાપડિયા અધ્યક્ષ કલા તીર્થ દ્વારા આવા અસંખ્ય ગ્રંથો સમાજને આપ્યા છે.

આપણ વાંચો : તસવીરની આરપાર : પથ્થરોનું ચર્ચ તરીકે પણ ઓળખાતું પ્રયાગરાજનું ક્લાત્મક ઓલ સેન્ટ્સ કેથેડ્રલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button