ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર
શહેરને દુલ્હનની જેમ સજાવાય ત્યારે દુલ્હો ક્યાં જતો હશે?
- બીજે કયાં? ગામડે…
પરસેવે ન્હાય એ જગ પર રાજ કરે પણ, ના ન્હાય તો? - પારકી નોકરી કરે ને પરસેવો પાડે!
પતિ કમાય તોય પત્નીને ગૃહ લક્ષ્મી કેમ કહેવાય? - પત્નીના હાથમાં પગાર જાય એટલે…
જાહેર જીવન અને ખાનગી જીવન વચ્ચે શું તફાવત? - પત્ની સાથે ફરો તો જાહેર જીવન અને પ્રેમિકા સાથે થિયેટરમાં જાવ એ ખાનગી જીવન…
લગ્નમાં કયા વારની બોલબાલા હોય? - જમણવારની… !
યોગ ભગાડે રોગ… પણ, ક્યાં સુધી ભગાડે? - ડોક્ટરને બોલાવો જ પડે ત્યાં સુધી…
પાર્થ ચઢાવે બાણની મોડર્ન વ્યાખ્યા શું? - પાર્થ ફટકાર કોર્ટમાં પિટિશન…!
‘કામ સિવાય બેસવું નહીં’ લખ્યું હોય ત્યાં ઊભા રહેવાય? - ફ્રી હો તો ત્યાં સૂઈ પણ જવાય…!
સુરતમાં ગંદકી ના હોય તો કેવું લાગે? - ખૂબસૂરત…!
સાડીનાં સેલ ના યોજાય તો? - તો પત્નીઓને મૂંઝા- વા ઊપડે…
મંદિરમાં પૂજારી ના હોય તો? - દુર્લભ પ્રભુના દર્શન સુલભ થઈ જાય…
મણી કેટલાં પ્રકારના હોય? - પારસમણી-ચિંતામણી અને અળખામણી!
શિક્ષકની ભૂલ કોણ શોધે? - કોચિંગ ક્લાસનો શિક્ષક…
વાલિયો લૂંટારો આજના યુગમાં જન્મ્યો હોત તો? - એનો ધંધો ન ચાલત…એની પહેલાં નેતા નામના લૂંટારાઓનો ધંધો ધમધોકાર ચાલતો હોત!



