ઈન્ટરવલ

પ્રાસંગિક : યુદ્ધવિરામ થયો, પરંતુ વૉરગેમ હજી ચાલુ

  • અમૂલ દવે

અંતે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ કતાર અને રશિયાની મદદથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરવામાં સફળ થયા. અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના અણુ કાર્યક્રમને અટકાવવા ઈરાન પર હુમલા કર્યા, પરંતુ અબજો રૂપિયાના ખર્ચે થયેલા યુદ્ધમાં ઈરાન અને ઈઝરાયલ સાથે શાંતિ, એખલાસ અને ભાઈચારાની જબરદસ્ત શિકસ્ત થઈ છે. ઈરાને સોમવારે અમેરિકના કતાર ખાતેના લશ્કરી મથકનો પ્રતિકાત્મક હુમલો કર્યો ત્યારે તો લાગ્યું કે હવે અમેરિકા ઈરાન પર વળતો હુમલો કરશે તો યુદ્ધનું પરિમાણ અને સ્તર મોટું થઈ જશે, પરંતુ ઈરાનનો એ હુમલો ફિકસ્ડ હતો. ઈરાને હુમલા પહેલાં જ કતાર અને અમેરિકાને આની જાણ કરી હતી. ઈરાનના વિદેશપ્રધાન રશિયાના પ્રમુખ પુતિનને મળ્યા અને પુતિને ટ્રમ્પ અને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરી ત્યારેે યુદ્ધવિરામનો તખતો ગોઠવાયો હતો. આથી જ ઈઝરાયલે પોતાના હેતુને સિદ્ધ કરવાના છેલ્લા પ્રયાસ તરીકે ઈરાનના ફોર્ડો અણુમથક પર બે વાર હુમલા કર્યા હતા. ભારત અને પાકિસ્તાનના મિનીયુદ્ધની જેમ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત ટ્રમ્પે કરી પરંતુ સીઝફાયરની એરેન્જમેન્ટમાં ઘણું ક્ધફ્યુઝન હતું. ઈરાન અને ઈઝરાયલે પહેલાં તો તેનો સ્વીકાર કર્યો નહીં, પરંતુ પછી તેમની સાન ઠેકાણે આવ્યાનું પ્રતીત થાય છે.

આ યુદ્ધવિરામ તકલાદી છે. ગમે ત્યારે ફરી યુદ્ધનો ભડકો થશે. આયાતોલ્લા ખામેનીના સલાહકારે કહ્યું એમ ગૅમ હજી પતી નથી. ઈરાન પાસે 400 કિલો સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો અકબંધ છે. ઈરાન હવે તેનો અણુકાર્યક્રમ પડતો નહીં મૂકે. આથી આ યુદ્ધમાં ેઈઝરાયલ, અમેરિકા અને ઈરાનને કશું હાંસલ થયું નથી. ઈરાન અને ઈઝરાયલને જે નુકસાન થયું છે એમાંથી તેમને બહાર આવતા દાયકા લાગશે.

અમેરિકા આખરે ઈરાન – ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં કૂદી પડ્યું છે. ગયા શનિવાર- 21 જૂનની રાત્રે અમેરિકન સેનાએ બીટુ બોમ્બર દ્વારા ઈરાનના ત્રણ અણુમથક પર બોમ્બમારો કર્યો હતો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ જે રીતે ડિપ્લોમસીનો દગાખોરી કરવા માટે ઉપયોગ કરે છે એનાથી એમની વિશ્વસનીયતા છેક તળિયે પહોંચી ગઈ છે. ઈઝરાયલ અને અમેરિકા બન્ને એક વાત ભૂલી ગયા છે કે દુશ્મનને કદી ઓછો ન આંકવો. આ અગાઉ ઈરાને ઈઝરાયલે આક્રમણ કરીને મિડલઈસ્ટમાં મહાયુદ્ધ થવાના સંજોગો ઊભા કર્યા હતા. ઈરાનના મિસાઈલ પાવર આગળ લાચાર બનેલા ઈઝરાયલે અમેરિકાને હાથ જોડયા કે જો અમેરિકા દરમિયાનગીરી કરવા 15 દિવસ લેશે તો ઈરાન અમને ખતમ કરી નાખશે. જેમને વારંવાર એર પાવરના અતિરેકથી યુદ્ધ કરવાની ચળ ઊપડતી હતી એ સત્તા લાલચુ ુબેન્જામિન નેતન્યાહુ પહેલી વાર સંરક્ષણાત્મક સ્થિતિમાં આવીને ટ્રમ્પને મનાવવા વોશિંગ્ટન પહોંચી ગયા હતા. એક દિવસમાં ઓછામાં ઓછા વીસ વાર ખોટું બોલતા ટ્રમ્પને એમ હતું કે મારા પંદર દિવસના પોઝને ઈરાન ગંભીરતાથી લેશે. ટ્રમ્પે ડિપ્લોમસીનું નાટક કરવા યુરોપના દેશોને આગળ કર્યા હતા, પરંતુ આ વખતે ઈરાન સાવધાન હતું… તેને ગંધ આવી ગઈ હતી અને આથી જ તે દાવો કરે છે કે તેણે અમેરિકાના હુમલા પહેલાં જ સમૃદ્ધ યુરેનિયમને ફોર્દો પ્લાન્ટમાંથી હટાવી દીધું હતું.. જો સમૃદ્ધ યુરેનિયમ સલામત હોય તો અમેરિકા અને ઈઝરાયલના હુમલા અને ચાલુ કરેલું યુદ્ધ નિરર્થક જ રહેશે. ઈઝરાયલ અને અમેરિકા એક વાત હજી સુધી સમજયા નથી કે ઈરાન ન તો ઈરાક છે અને ન તો લિબિયા છે. એ ઈઝરાયલ અને સાઉદી અરેબિયા કરતાં મોટી તાકાત છે.

ઓબામાને મળેલા નોબલ શાંતિ પારિતોષિક મેળવવાના ટ્રમ્પને અભરખા છે. આથી જ એમણે પોતાના મોભાને અનુરૂપ ન હોવા છતાં પાકિસ્તાની લશ્કરીવડા મુનીરને માટે બે કલાકના ડિનરનું આયોજન કર્યું. પાકિસ્તાન તો ભારત-પાક યુદ્ધ અટકાવવા બદલ પુરસ્કાર માટે ટ્રમ્પના નામની ભલામણ કરવા તૈયાર થઈ ગયું. ઈઝરાયલને ઈરાન પર હુમલો કરવાનું ઈજન આપનાર ટ્રમ્પે ઈરાનના પ્રતિકાત્મક હુમલા બાદ પણ સમાધાન કરાવ્યું એનો શ્રેય આપવો જોઈએ. ઈઝરાયલ અને યહુદી લોબીને ખુશ કરવા અમેરિકાએ ઈરાનના અણુમથકો પર હુમલો તો કરી નાખ્યો પણ પછી કુણું પડી ગયું છે. અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબેરોએ ચીનના વિદેશ પ્રધાન સાથે ફોન પર વાત કરીને ચીનને વિનંતી કરી કે તે ઈરાનને હોર્મુઝ ખાડી બંધ ન કરવા સમજાવે. અમેરિકાના વિદેશ પ્રધાને એવી સૂફિયાણી દલીલ કરી હતી કે જે ઈરાન હોર્મુઝ સામુદ્રધુની બંધ કરી દેશે તો ચીનને જ મોટી તકલીફ થશે, કારણ કે ચીનની આયાત અને નિકાસ આ માર્ગે જ થાય છે. આના જવાબમાં ચીને કહ્યું હતું કે અમારી પાસે રશિયાનો વિકલ્પ છે. ચીને અમેરિકાને એવી પણ તાકીદ કરી હતી કે અમેરિકાએ ઈરાન પર હુમલો કરતાં પહેલા ઈરાનના બદલા વિશે વિચારવું જોઈતું હતું.

રશિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને પુતિનના નિકટના સાથીદારે મેદવેદેવતો કહે છે કે અમેરિકાના હુમલા બાદ આખા વિશ્વમાં ઈરાનને સહાનુભૂતિ મળી છે. અમુક દેશ તો તેને અણુબોમ્બ આપવા પણ તૈયાર છે. એમણે કોઈ દેશનું નામ આપ્યું નથી. અહીં બધાને સુવિદિત છે કે પાકિસ્તાનના વિદેશ પ્રધાને તાજેતરમાં એવું નિવેદન કર્યું હતું કે જો ઈઝરાયલ ઈરાન પર અણુ હુમલો કરશે તો અમે અમારા અણુબોમ્બ ઈરાનને આપીશું. અલબત્ત, પછી પાકિસ્તાન પર દબાણ આવતા એમણે ફેરવી તોળ્યું હતું કે અમારા બોમ્બ તો અમારા માટે છે.

આપણ વાંચો તસવીરની આરપાર: અષાઢી બીજે ભગવાન જગન્નાથની મનો રથયાત્રા

ઉત્તર કોરિયા તો ચીન અને રશિયાનું ટેકેદાર છે. ઉત્તર કોરિયાએ અમેરિકાની આકરી ટીકા કરી છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમજોંગ ઈરાનને અણુબોમ્બ પણ આપી શકે. રશિયાએ ઈરાનના એક અણુ મથક પર ઈઝરાયલ અને અમેરિકાનો હુમલો એમ કહીને અટકાવી દીધો કે અમારા વિજ્ઞાનીઓ એમાં કામ કરે છે અને તેમને આંચ આવી તો જોવા જેવી થશે.

અહીં એક વાત સમજવાની જરૂર છે કે મહત્ત્વ સમૃદ્ધ યુરેનિયમનું છે. જો અમેરિકાનાં હુમલા પહેલાં જ ઈરાને અણુ મથકોમાંથી સમૃદ્ધ યુરેનિયમ હટાવી દીધું હોય તો ઈરાન ગમે ત્યારે બોમ્બ બનાવી શકે છે. અણુ બોમ્બબનાવવા માટે યુરેનિયમને 90 ટકા સમૃદ્ધ બનાવવાની ટેકનોલોજી હોવી જરૂરી છે. ઈરાનને આવી ટેકનોલોજી ઉત્તર કોરિયા કે પાકિસ્તાને આપી હોવાની સંભાવનાને કોઈ નકારી ન શકે.

હુમલા પહેલાં કરવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું હતું કે 60 ટકા અમેરિકન ઈરાન પર હુમલો કરવાની વિરુધ્ધ હતા. પહેલાં ટ્રમ્પે કહ્યું કે ખામેનીને હટાવવાની કે મારી નાખવાની કોઈ વાત નથી. હવે ટ્રમ્પ કહે છે કે અમેરિકાનો હેતુ ખામેનીને હટાવવાનો છે. પુતિને કહી દીધું છે કે અમેરિકાના હુમલા બાદ ખામેનીની લોકપ્રિયતા વધી ગઈ છે. ખામેનીએ સાબિત કરી આપ્યું કે અમેરિકા પણ ઝુકે છે, પરંતુ ઝુકાવા માટે હિંમત અને સાહસ જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button