કચ્છી ચોવક : …આંખમાંથી સરતાં આંસુ આવાં હોવા જોઈએ!

-કિશોર વ્યાસ
ઋતુ અને નક્ષત્રોને અતિક્રમી જઈને કચ્છમાં વાવાઝોડાં સાથે એવો વરસાદ પડ્યો કે કેટલાંય નદી-નાળાં અને તળાવો છલકી ગયાં! નર્મદા આવે કે ગંગા, પણ કચ્છની ધરતીને પાણીની હંમેશાં તરસ રહી છે! પણ ધરતી અને એ ધરતીના છોરુ હંમેશાં અધૂરપમાં પણ મધૂરપ માણી લે છે.
હવે તો ઋતુ પ્રમાણે વરસાદનું ચક્ર પણ ચાલતું નથી, પણ વરસાદને નક્ષત્રો સાથે જોડી દઈને પણ પૂર્વજોએ ચોવકો રચી છે. એવું કહેવાય છે કે, ‘અંધી’ નક્ષત્રમાં વરસાદનો કંઈ ભરોસો ન કરાય. એ દર્શાવતી ચોવકો એવી છે કે:
“અંધી ચગઈ ત ચગઈ નેં ફગઈ ન ફગઈ” આ ચોવકમાં ‘ફગઈ’નો અર્થ જ થાય છે ‘ચગી જવું’! અંધે નક્ષત્રમાં જો વરસાદ પડે તો તે જોરદાર પડે, બાકી બીજી ચોવક તો એમ કહે છે કે, “અંધી વસંધે અંધારો” એ નક્ષત્રમાં જો વરસાદ પડે તો વરસ સારું ન જાય! અંધી નક્ષત્રમાં વરસાદ કેવો પડવો જોઈએ? જાહે વિરહિણીની આંખમાંથી સરતાં આંસુ ટપકતાં હોય તેવો! દૂધથી છલકતાં થાનમાંથી ટપકતાં દૂધનાં ટીપાં જેવો! એ અર્થમાં સુંદર ચોવક રચાઈ છે:
આપણ વાંચો: કચ્છી ચોવક: કર્મ કરીએં તો જ સપનાં સાકાર થાય!
“અંધી વિઠી અખીયૂં ત્રિરમાઇંધી” વળી એવા જ અર્થમાં એ જ નક્ષત્રમાં વરસાદ માટે બીજી પણ ચોવક પ્રચલિત છે: “અંધી ભિજાય ગંધી” અંધી નક્ષત્રમાં વસ્ત્રો પણ માંડ ભિંજાય તેવો જ વરસાદ પડે… જે આવકાર્ય છે.
સંબંધિત ઋતુમાં પ્રકૃતિનાં લક્ષણો કેવાં હોય તો વરસાદ પડે? “અગા઼ડ જો આડંગ, પછાડ જો વા, ચોંધલ ચેં તા ડુકારજા ભા” સવારના આકાશ એવું ગોરંભાયેલું હોય કે જાણે હમણાં ધોધમાર વરસાદ તૂટી પડશે, પરંતુ વરસાદ પડે નહીં, માત્ર આભનો આડંબર જોવા મળે. એને કચ્છીમાં ‘આડંગ’ કહેવાય અને બપોર વિતતાં તો પવન ફૂંકાય અને વાદળો વિખેરાઈ જાય… આ દુષ્કાળ પડવાનાં ચિહ્નો ગણાય છે.
એક ચોવક તો એવું બતાવે છે કે, “અભરતો ત મીં મતો” અભ એટલે આકાશ. આકાશમાં રતાશ દેખાય તો વરસાદ સારો પડે! એજ રીતે ઈશાન ખૂણે જો વીજના ચમકારા દેખાય તો પણ એ સારા વરસાદની નિશાની છે. તે અંગે પણ ચોવક છે: “ઈશાની વીજને, અબલ ઘા” ‘અબલ ઘા’નો અર્થ થાય સચોટ ઘા.
આપણ વાંચો: ટ્રાવેલ પ્લસ : નર્મદા જયંતીના પાવન પર્વ પર મા રેવાના પાલવમાં આધ્યાત્મિક ડૂબકી મધ્યપ્રદેશનો રેવા તીર…
આ વર્ષે શ્રાવણ અધિકમાસ છે. જો શ્રાવણ અધિકમાસ હોય તો એ પણ સારું ગણાય છે. કહેવાયું છે કે, “અધિક મેંણૂં શ્રાંણ અચે, ત ચોમાસો મરતો મચે” ‘શ્રાંણ’ એટલે શ્રાવણ. ‘મેંણૂં’ એટલે મહિનો અને ‘મચે’નો અર્થ છે. ‘જામી પડે’! અષાઢ મહિનામાં વરસાદ માટે બે દિવસ બહુ સારા બતાવ્યા છે. “અષાઢની બંડી સારા, આઠમ-પૂનમ ઘોર અંધારા” એ બે દિવસે સારા વરસાદની આશા રાખવામાં આવે છે. બાકી તો કચ્છી નવા વર્ષ ‘અષાઢી બીજ’નાં કચ્છીઓને નભમાં વીજ ઝબુકે તો બળ મળે છે!
વાવાઝોડાં સાથે પડેલો વરસાદ એ જેઠ મહિનામાં પડ્યો છે, જેને પહેલા ખોળાના અવતરેલા પુત્ર સમાન ગણવામાં આવે છે. વર્ષાઋતુમાં રાત્રે આકાશ સ્વચ્છ હોય તો એ પણ સારું લક્ષણ ન ગણાય! એટલે જ એક ચોવક પ્રચલિત છે કે, “ડીં જા વડર રાતજો તારા, ઈ ડુકારજા ચારા” ‘વડર’ એટલે વાદળાં. ‘ડુંકાર’ એટલે દુષ્કાળ અને ‘ચારા’ એટલે લક્ષણ!