નેપાળના રાજકારણમાં ધમાલઃ ‘પ્રચંડે’ પૂર્વ વડા પ્રધાનની પાર્ટી સાથે કર્યું જોડાણ

કાઠમંડુ: નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ એ સોમવારે ટોચના નેતૃત્વ વચ્ચેના મતભેદોને કારણે નેપાળી કોંગ્રેસ સાથેની લગભગ ૧૫ મહિનાની ભાગીદારીને સમાપ્ત કર્યા પછી ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની પાર્ટી સાથે નવું જોડાણ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
પાર્ટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રચંડની આગેવાની હેઠળની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓવાદી કેન્દ્ર) અને શેર બહાદુર દેઉબાની આગેવાની હેઠળની નેપાળી કોંગ્રેસ વચ્ચેનું જોડાણ સમાપ્ત કરવામાં આવ્યું છે કારણ કે બે ટોચના નેતાઓ વચ્ચે વધતા મતભેદો પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે.
સીપીએન-માઓવાદીના સેક્રેટરી ગણેશ શાહે કહ્યું કે નેપાળી કોંગ્રેસે વડા પ્રધાનને સહકાર આપ્યો ન હોવાથી અમને (આ) નવા જોડાણની શોધ કરવાની ફરજ પડી છે. પ્રચંડ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ નેપાળી કોંગ્રેસના સમર્થનથી ત્રીજી મુદત માટે વડાપ્રધાન બન્યા હતા.
નેપાળી કોંગ્રેસ સાથે ગઠબંધન તોડ્યા પછી પ્રચંડે ઓલીની આગેવાની હેઠળની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (યુએમએલ) સાથે હાથ મિલાવ્યા છે, જેને પ્રચંડના ટોચના ટીકાકાર તરીકે ગણવામાં આવતા હતા.
ગયા વર્ષે, સિપીએન-યુએમએલએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે મુખ્ય વિપક્ષી દળના ઉમેદવારને સમર્થન આપવા અંગેના અણબનાવને પગલે પ્રચંડની આગેવાની હેઠળની સરકારનો ટેકો પાછો ખેંચી લીધો હતો.