યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી, ઓપરેશ સિંધુ યથાવત્

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ દિવસે દિવસે ભયંકર બની રહ્યું છે. ઈઝરાયલ ઈરાનની રાજધાની તહેરાન, પરમાણુ સ્થળો અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે, જ્યારે ઈરાન ઈઝરાયલના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. આ યુદ્ધની વચ્ચે ઈરાન અને ઈઝરાયેલમાં હજારો ભારતીયો ફસાયેલા છે. ભારત સરકારે તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું છે.
110 ભારતીય પહોંચ્યા ભારત
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓનું જૂથ આર્મેનિયા માર્ગે દિલ્હી પહોંચ્યું છે. તમામ ભારતીયોને ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા 3:43 વાગ્યે દિલ્હી પહોંચાડવામાં આવ્યા હતા. આ જૂથમાં 94 વિદ્યાર્થીઓ જમ્મુ-કાશ્મીરના અને 16 અન્ય રાજ્યોના છે, જેમાં 54 છોકરીઓનો સમાવેશ થાય છે. સ્વદેશ પરત ફરેલા આ વિદ્યાર્થીઓએ ભારતની ધરતી પર પગ મુકી રાહતનો શ્વાસ લીધો હતો.
યુદ્ધને સાત દિવસ પૂર્ણ
સતત સાત દિવસથી ઈરાન ઈઝરાયલ યુદ્ધ ચાલી રહ્યું છે. બુધવારે ઈઝરાયલે તહેરાન પર ભિષણ હુમલો કર્યો. 50થી વધુ લડાકુ વિમાનોએ તહેરાન અને કરાજમાં ઈરાનની પરમાણુ સાઈટ્સ પર બોમ્બમારો કર્યો, જ્યાં યુરેનિયમ સંવર્ધન માટે સેન્ટ્રીફ્યુજ બનાવવામાં આવે છે.
આપણ વાંચો: ‘ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ…’ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
ઈઝરાયલી સૈન્યનો દાવો
ઇઝરાયલી સૈન્યએ દાવો કર્યો હતો કે 25 ફાઇટર જેટ્સે પશ્ચિમી શહેર કરમાનશાહમાં પાંચ ઇરાની હુમલાખોર હેલિકોપ્ટરને તોડી પાડ્યા હતા. ઈઝરાયલના હુમલાઓથી ઈરાનમાં અત્યાર સુધી લગભગ 600 લોકોના મોત થયા છે, જ્યારે 1300થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલે ઈરાનની તે સાઈટ્સ પર પણ હુમલા કર્યા, જ્યાંથી ઈઝરાયલ પર મિસાઈલો છોડવામાં આવતી હતી. આ યુદ્ધની તીવ્રતા અને નાગરિકોનુ નુકસાન વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. ભારત સરકાર ફસાયેલા નાગરિકોને સતત બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે.