પાકિસ્તાની સેનાની મોટી કાર્યવાહી, અફઘાનિસ્તાન બોર્ડર પર 14 આતંકીઓ ઠાર માર્યા

પેશાવર: પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં 14 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર 2-3 જૂન, 2025 ના રોજ આતંકવાદીઓ છુપાયા હોવા અંગેની માહિતીના આધારે પાકિસ્તાન સેનાએ ઉત્તર વઝીરિસ્તાન જિલ્લાના દત્તા ખેલમાં કાર્યવાહી શરૂ કરી હતી.
આપણ વાંચો: ‘અમારા સમાજને બચાવો!’ પાકિસ્તાની નેતાની વડાપ્રધાન મોદીને અપીલ, જાણો કોણ છે આ નેતા?
આતંકવાદીઓને નાબૂદ કરવા અભિયાન
ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સના નિવેદન મુજબ સૈનિકોએ આ વિસ્તારમાં એક આતંકવાદી ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. આ ભીષણ ગોળીબાર પછી 14 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
તેમાં કહેવામાં આવ્યું છે કે, આ વિસ્તારમાં અન્ય આતંકવાદીઓને ખતમ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના સુરક્ષા દળો દેશમાં આતંકવાદના ખતરાને દૂર કરવા માટે કામ કરી રહ્યા છે.
આપણ વાંચો: પંજાબ પોલીસે બે પાકિસ્તાની જાસૂસોને ઝડપ્યા, સેનાની ગુપ્ત માહિતી લીક હતા કરતાં હોવાનો આરોપ
મોટાભાગના આતંકવાદીઓ અફઘાન નાગરિકો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે એક એન્કાઉન્ટરમાં તહરીક-એ-તાલિબાન(TTP)પાકિસ્તાનના 41 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર ઉત્તર વઝીરિસ્તાનના આદિવાસી જિલ્લાના બિબાક ઘર વિસ્તાર પાસે થયું હતું. આ માર્યા ગયેલા મોટાભાગના આતંકવાદીઓ અફઘાન નાગરિકો હતા.
આપણ વાંચો: પાકિસ્તાની રેન્જર્સે બીએસએફના જવાનને કસ્ટડીમાં લીધો, ભૂલમાં કરી હતી બોર્ડર પાર, ફ્લેગ મીટિંગ ચાલુ
ટીટીપી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન વિસ્તારોમાં સક્રિય
તહરીક-એ-તાલિબાન (TTP)ના મૂળ અફઘાનિસ્તાનના તાલિબાન ચળવળ સાથે જોડાયેલા છે, પરંતુ આ સંગઠન પાકિસ્તાનમાં સ્વતંત્ર રીતે સક્રિય રહ્યું છે. તેની સ્થાપના બૈતુલ્લાહ મહસુદ દ્વારા કરવામાં આવી હતી, જે દક્ષિણ વઝીરિસ્તાનના પ્રભાવશાળી નેતા હતા.
આ સંગઠન ઘણા નાના અને મોટા જૂથોનું ગઠબંધન છે. વર્ષ 2020 પછી TTP એ ઘણા છૂટાછવાયા જૂથોને ફરીથી ભેગા કર્યા છે. સંગઠને હુમલાઓ વધાર્યા છે. ખાસ કરીને TTP પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન જેવા વિસ્તારોમાં સક્રિય છે.