ઉત્તર જાપાનના દરિયાકાંઠે 6.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપઃ સુનામીની ચેતવણી

ટોકિયો: જાપાન વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ભૂકંપ આવે છે. આજે એટલે કે 9 નવેમ્બરને રવિવારના રોજ ઉત્તર જાપાનના દરિયાકાંઠે 6.7 તીવ્રતાનો ખૂબ જ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. દરમિયાન ભારતમાં આંદામાન ખાતે ભૂકંપ આવ્યો હોવાનું જણાવ્યું હતું.
દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટ
જાપાન હવામાન એજન્સી (JMA)ના જણાવ્યાનુસાર, ભૂકંપનું કેન્દ્ર (Epicenter) ઇવાટે પ્રીફેક્ચરના દરિયાકાંઠે સમુદ્ર સપાટીથી માત્ર 10 કિલોમીટર નીચે સ્થિત હતું, જે તેની ઊંચી તીવ્રતા સાથે મળીને વિનાશક હોઈ શકે છે.
શક્તિશાળી ભૂકંપના પગલે જાપાનમાં તાત્કાલિક સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તરીય દરિયાકાંઠાના વિસ્તારમાં એક મીટર (એક મીટર) જેટલા ઊંચા સુનામીના મોજા ઉછળવાની શક્યતા છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે.
મુખ્ય ભૂકંપ પહેલા પણ આવ્યા આંચકા
6.7ની તીવ્રતાના ભૂકંપ સિવાય છેલ્લા 24 કલાકમાં પણ ભૂકંપના 5 આચકા આવ્યા હતા. રાત્રે 12 વાગ્યાની આસપાસ 5.1 ની તીવ્રતાનો, રાત્રે 12:17ની આસપાસ 5.1ની તીવ્રતાનો, સવારે 5.6ની તીવ્રતાનો, સવારના સમયે 5.6ની તીવ્રતાનો, સવારે 7:33 વાગ્યે 5.0 તીવ્રતાનો, સવારે 6:04 વાગ્યે 5.4 તીવ્રતાનો આંચકો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જાપાન પેસિફિક મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત છે. આ એવો વિસ્તાર છે જ્યાં અનેક શક્તિશાળી ટેક્ટોનિક પ્લેટો એકબીજાને મળે છે, જેના પરિણામે જાપાનમાં વારંવાર ભૂકંપ આવે છે. આ ભૌગોલિક સંરચનાને કારણે, જાપાન ભૂકંપ ઉપરાંત સુનામી માટે પણ અત્યંત સંવેદનશીલ છે. સુનામીના મોજાઓએ ભૂતકાળમાં ઘણી વખત જાપાનમાં ભારે વિનાશ વેર્યો છે, જેના કારણે દેશને સતત કુદરતી આફતોનો સામનો કરવો પડે છે.
આંદામાનમાં પણ ધરતીકંપના આંચકા
આંદામાનના દરિયાકિનારા નજીક આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે બપોરના 12.06 વાગ્યાના સુમારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 5.4 રિક્ટર સ્કેલની હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ 90 કિલોમીટર ઊંડું હતું. આ ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી.



