નેપાળમાં રાજશાહી અને હિન્દુ રાષ્ટ્રના દરજ્જાને મુદ્દે જોરદાર વિરોધ પ્રદર્શન, લોકો રસ્તા પર ઉતર્યા

કાઠમંડુ: ભારતના પડોશી દેશ નેપાળમાં કેપી ઓલી સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો પુન: બહાલ કરવા અને રાજાશાહીના સમર્થનમાં જોરદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન કમલ થાપાની પોલીસે ધરપકડ કરી હતી. કાઠમંડુમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરવા બદલ 6 અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રદર્શનકારીઓ રાજાશાહી પુનઃસ્થાપિત કરવા અને નેપાળને હિન્દુ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે.
કાઠમંડુમાં ધરણા પ્રદર્શનો પર પ્રતિબંધ
આ દરમિયાન નેપાળ સરકારે રાજાશાહી સમર્થકોની હિલચાલને ધ્યાનમાં રાખીને કાઠમંડુના મોટાભાગના ભાગોમાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. કાઠમંડુ જિલ્લા વહીવટી કાર્યાલયના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે કાઠમંડુ રિંગ રોડ વિસ્તારના ત્રણ સ્થળો – કોટેશ્વર, બલ્ખુ અને સિફલ મેદાન સિવાય અન્ય સ્થળોએ ધરણા, ભૂખ હડતાળ, વિરોધ, જાહેર કાર્યક્રમ અને પ્રદર્શન પર પ્રતિબંધ રહેશે.
બે મહિના માટે વિરોધ પ્રદર્શન અમલમાં
આ પ્રતિબંધ 2 જૂનથી આગામી બે મહિના માટે અમલમાં રહેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રદર્શનકારીઓ દ્વારા વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને પરિવહન સેવાઓમાં અવરોધ ટાળવા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે, જિલ્લા વહીવટી કાર્યાલય સાથે સંકલનમાં આયોજિત અન્ય કાર્યક્રમો પર આ સૂચના અમલી નહિ રહે.
હિન્દુ દેશનો દરજ્જો મેળવવાની માંગણી સાથે વિરોધ કાર્યક્રમોનું આયોજન
રાજાશાહી સમર્થકો ગુરુવારથી રાજાશાહી પુનઃસ્થાપિત કરવા અને હિન્દુ દેશનો દરજ્જો મેળવવાની માંગણી સાથે વિરોધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. જેમાં વિરોધીઓએ નેપાળના અંતિમ રાજા જ્ઞાનેન્દ્ર શાહ દેવના ફોટા સાથે રાખ્યા હતા અને વડા પ્રધાન કેપી ઓલીના નેતૃત્વ હેઠળની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધીઓએ કહ્યું હતું કે જ્યાં સુધી રાજાશાહી પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ ચાલુ રાખશે.
આ પણ વાંચો…મુંબ્રામાં ગેરકાયદે વિરોધ પ્રદર્શનો બદલ 100થી વધુ લોકો વિરુદ્ધ ગુનો