નેપાળ હિંસક વિરોધ પ્રદર્શન બાદ પૂર્વ પીએમની પહેલી પ્રકિક્રિયા, શું બોલ્યા કેપી શર્મા ઓલી?

કાઠમંડુ, નેપાળઃ નેપાળમાં 8મી સપ્ટેમ્બરથી હિંસા ભડકેલી છે. આજે આ હિંસક વિરોધ પ્રદર્શન થોડું શાંત થયું હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રદર્શન બાદ 8મી સપ્ટેમ્બરે ગૃહ પ્રધાન રમેશ લેખકે આજીનામું આપી દીધું હતું. એટલું જ નહીં પરંતુ 9 સપ્ટેમ્બરે બપોરે કેપી શર્મા ઓલીએ પણ પીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું. કેપી શર્મા ઓલીએ અત્યારે લેખિત નિવેદન બહાર પાડ્યું છે. સૌપ્રથમ ભૂતપૂર્વ પીએમ ઓલીએ પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા યુવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આમાં ઓલીએ અનેક આરોપ પણ લગાવ્યાં છે.
કોઈ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યું છેઃ નેપાળ પૂર્વ પીએમ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કેપી શર્મા ઓલીએ આરોપ લગાવ્યો કે વર્તમાન આંદોલનો પાછળના પરિબળો યુવાનોને વિનાશક પ્રવૃત્તિઓ માટે ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ સાથે જે પણ સરકારી કચેરીઓમાં આગ લગાડવાની ઘટનાઓ બની છે તે સુનિયોજિત રાજકારણનો ભાગ છે. મહત્વનું છે કે, કેપી શર્મા ઓલીએ આ મોટો આક્ષેપ કર્યો છે. રાજીનામું આપ્યાં બાદ પહેલી વખત તેમનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે.
પૂર્વ પીએમ શર્મા ઓલી અત્યારે શિવપુરીમાં છેઃ સૂત્ર
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પૂર્વ વડાપ્રધાન ઓલીએ 9મી સપ્ટેમ્બરે તેમના પ્રધાનો સાથે કાઠમંડુ છોડી દીધું હતું. આંદોલન શરૂ થયું ત્યારથી પ્રદર્શનકારીઓ કેપી શર્મા ઓલીને શોધી રહ્યાં છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પૂર્વ પીએમ શર્મા ઓલી અત્યારે શિવપુરીમાં છે. ત્યા નેપાળી સેના તેમને સુરક્ષા આપી રહી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારમાં કેપી શર્મા ઓલીને એક દીકરી છે. અત્યારે તેમણે સોશિયલ મીડિયા દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીને સંવેદના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો…નેપાળની જેન ઝી પ્રોટેસ્ટને દુનિયા કઈ રીતે જોઈ રહી છે, જાણો મીડિયા અહેવાલો વિશે