“ઈઝરાયલનો હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે” UNHRCમાં ઈરાનના વિદેશ મંત્રી બોલ્યા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે નવમો દિવસ છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદની બેઠકમાં ઇઝરાયલ પર આકરા પ્રહારો કર્યા. તેમણે ઇઝરાયલના હુમલાને ગેરકાયદેસર અને જબરજસ્તી થોપાયેલું યુદ્ધ ગણાવ્યું. ઈરાનને શાંતિપ્રિય દેશ ગણાવતા તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને ન્યાય અને માનવતાના સમર્થનમાં ઊભા રહેવા અપીલ કરી.
ઇઝરાયલના ગેરકાયદેસર હુમલાની નિંદા
અરાગચીએ જણાવ્યું કે ઈરાન, જેની વસતી 10 કરોડ છે, તે ઇઝરાયલના આક્રમણનો ભોગ બન્યું છે, જે બે વર્ષથી ફિલિસ્તીનમાં નરસંહાર કરી રહ્યું છે. 13 જૂનથી શરૂ થયેલા આ હુમલામાં ઈરાનના સૈનિકો, પ્રોફેસરો અને નાગરિકો માર્યા ગયા. ઇઝરાયલે રહેણાંક વિસ્તારો, હોસ્પિટલો અને IAEAની દેખરેખ હેઠળની શાંતિપૂર્ણ પરમાણુ સુવિધાઓ પર હુમલા કર્યા, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.
આત્મરક્ષણ અને ન્યાયની માંગ
અરાગચીએ ઇઝરાયલના હુમલાને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના અનુચ્છેદ 2(4)નું ઉલ્લંઘન ગણાવ્યું. તેમણે દાવો કર્યો કે ઈરાન આ યુદ્ધમાં આત્મરક્ષણ કરી રહ્યું છે, જે અનુચ્છેદ 51 હેઠળ તેનો અધિકાર છે. તેમણે ઇઝરાયલની આક્રમકતાને યુદ્ધ અપરાધ ગણાવી અને જે દેશો તેનું સમર્થન કરે છે તેમને પણ જવાબદાર ઠેરવ્યા. ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને ન્યાય અને 1949ના જિનિવા કરારોનું પાલન કરવા હાકલ કરી.
કૂટનીતિ પર હુમલો
અરાગચીએ ખુલાસો કર્યો કે હુમલો ત્યારે થયો જ્યારે ઈરાન 15 જૂને અમેરિકા સાથે પરમાણુ કાર્યક્રમના વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે ચર્ચામાં હતું. આ હુમલાએ કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાને નુકસાન પહોંચાડ્યું. તેમણે ચેતવણી આપી કે આ યુદ્ધની અસર ફક્ત ઈરાન સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ આખો પ્રદેશ અને વિશ્વ પ્રભાવિત થશે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર અને તેની સંસ્થાઓને તાત્કાલિક કાર્યવાહી કરવા અને આક્રમણકારને રોકવા આહ્વાન કર્યું.
આ પણ વાંચો…ઇઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાને ભારતને કરી મોટી અપીલ, પાકિસ્તાનને પણ આપ્યો મેસેજ