યુદ્ધવિરામ પછી પણ ઈરાનની ઇઝરાયલ સાથે દુશ્મની યથાવતઃ ઈરાનની સેન્ટ્રલ બેંકને આતંકી સંગઠન કર્યું જાહેર…

જેરુસલેમ: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થતા મધ્ય-પૂર્વી વિસ્તારના દેશોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ઇઝરાયલ હજુ પણ ઈરાન સાથે દુશ્મનાવટના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ઇઝરાયલે ઈરાનની સેન્ટ્રલ બેંકને આતંકી સંગઠન જાહેર કરી છે. ઇઝરાયલની આ જાહેરાત બંને વચ્ચે ફરી તણાવ ઊભો કરી શકે છે.
ઇઝરાયલના રક્ષા પ્રધાનનો આરોપ
ઈરાનની સેન્ટ્રલ બેંક આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ પૂરૂ પાડે છે. એવો ઈઝરાયલે આરોપ લગાવ્યો છે. ઇઝરાયલના રક્ષા પ્રધાન ઇઝરાયલ કાર્ટ્ઝે એક્સ પર જણાવ્યું કે, “મેં આજે મોસાદ અને રાષ્ટ્રીય આર્થિક યુદ્ધ મુખ્યાલયના આગ્રહથી ઈરાનની સેન્ટ્રલ બેંકને આતંકવાદી સંગઠન જાહેર કરવાના એક વિશેષ આદેશ પર હસ્તાક્ષર કર્યા, જેનો હેતુ ઈરાની આતંકવાદી શાસનની નાણાકીય વ્યવસ્થાના મૂળ પર પ્રહાર કરવાનો છે.”

સેન્ટ્રલ બેંક આતંકવાદ માટે રોકાણ કરે છે
ઇઝરાયલ કાર્ટઝે આગળ જણાવ્યું કે, “સેન્ટ્રલ બેંક એક એવું માધ્યમ છે, જે જીવલેણ આતંકવાદ માટે અરબો ડૉલરનું રોકાણ કરે છે. અમે એ ઠેકાણાઓ પર હુમલો કરીશું જે અયાતુલ્લા શાસનને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. હિજ્બુલ્લાહનો આતંકવાદ, હૌતી, ઈરાકમાં શિયા મિલિશિયા, હમાસ અને રિવોલ્યૂશનરી ગાર્ડસ દ્વારા બેંક ધનરાશિ પહોંચાડે છે.”
ઈરાનની દુષ્ટ કામગીરીને ઉજાગર કરવાનો હેતુ
ઇઝરાયલ કાર્ટઝે વધુમાં જણાવ્યું કે, “આતંકી પ્રવૃત્તિ કરતી ઈરાનની કોઈપણ સરકારી એજન્સીને છૂટ આપવામાં આવશે નહીં. અમે ઈરાનની દૃષ્ટ કામગીરીને દુનિયાની સામે લાવીશું. એ ભલે ગમે ત્યાં કામ કરતી હોય. તેના પર હુમલો કરીને તેનો નાશ કરવાનું ચાલું રાખીશું.”
સેન્ટ્રલ બેંક સાથે નહીં થાય લેવડ-દેવડ
ઉલ્લેખનીય છે કે, ઈરાનની સેન્ટ્રલ બેંકને આતંકી સંગઠન જાહેર કર્યા બાદ હવે ઇઝરાયલની કોઈપણ કંપની તેની સાથે લેવડ-દેવડ કરશે નહી. અમે સૈન્ય દળોને આદેશ આપ્યો છે કે, જો ઈરાન યુદ્ધવિરામનો ભંગ કરે છે, તો પૂરી તાકાત સાથે તેનો જવાબ આપે. એમ પણ ઈઝરાયલના રક્ષા પ્રધાને જણાવ્યું હતું.