સિંધુ જળ સમજૂતી મોકૂફથી પાકિસ્તાન ઘેરાયું! શાહબાઝ શરીફે કરી ડંફાસ, જાણો શું કહ્યું?

ઈસ્લામાબાદઃ ભારત દ્વારા સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) સ્થગિત કરવાના નિર્ણયથી પાકિસ્તાન કઈ રીતે ભીંસમાં મુકાયું છે, તેનું સૌથી તાજેતરનું ઉદાહરણ તાજિકિસ્તાનમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં જોવા મળ્યું હતું.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે (Shehbaz Sharif) સિંધુ નદીના પાણીને રોકવાના ભારતના પગલાથી પાકિસ્તાનમાં ઊભા થયેલા સંકટને ગાઝા (Gaza)ના જળ સંકટ જેટલું ભયાવહ ગણાવ્યું હતું. જોકે, આ દરમિયાન શાહબાઝે એવી ડંફાસ કરી કે પાકિસ્તાન ભારતને “રેડ લાઇન” પાર કરવા દેશે નહીં.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રાલયનો ખુલાસો: 65 વર્ષ જૂની સિંધુ જળસંધિનું પાલન એ ભારતની સહનશીલતા
પાકિસ્તાનનું જળ સંકટ ગાઝાના જળ સંકટ જેવું જ ભયાવહ
શાહબાઝ શરીફે તાજેતરના તઝાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ગાઝા સંકટનો ઉલ્લેખ કર્યો હતો. પાણી વિના તડપતા પાકિસ્તાનના વડાપ્રધાને વિશ્વ નેતાઓ સમક્ષ આજીજી કરતા કહ્યું કે સિંધુનું પાણી નહીં મળવાને કારણે પાકિસ્તાનમાં ઊભું થયેલું સંકટ ગાઝામાં ચાલી રહેલા જળ સંકટ જેવું જ ભયાવહ છે.
તેમણે ગાઝાના માનવીય સંકટ અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સિંધુ જળ કરારની સ્થિતિને એકસાથે જોડીને જણાવ્યું કે, “જેમ ગાઝામાં પાણીનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, તેમ ભારત પણ પાણીને પાકિસ્તાન વિરુદ્ધ એક વ્યૂહાત્મક હથિયાર તરીકે વાપરી રહ્યું છે.”
આપણ વાંચો: ભારતે સિંધુ નદી જળ સંધિને સ્થગિત કર્યા બાદ પાકિસ્તાનમાં ફફડાટ, આપવા લાગ્યા પરમાણુ બોમ્બની ધમકી…
શા માટે પાકિસ્તાન કરી રહ્યું છે ડંફાસ?
શાહબાઝ શરીફના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારતે સિંધુ જળ સંધિ અંગે કડક વલણ અપનાવીને ઇસ્લામાબાદને સારી રીતે ભીંસમાં લીધું છે.
પાકિસ્તાન હવે દુનિયાના નેતાઓ સમક્ષ પાણી માટે આજીજી કરી રહ્યું છે, જેથી તેની આતંકવાદી પ્રવૃત્તિઓ છતાં કોઈ દેશ તેને દયનીય સ્થિતિમાં જોઈને ભારતને પાણી છોડવા માટે દબાણ કરે. જોકે, શાહબાઝ કદાચ એ વાત ભૂલી ગયા છે કે ભારત પોતાના નિર્ણયો પોતે જાતે જ લેનારો સાર્વભૌમ દેશ છે.
શાહબાઝે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ભારત સિંધુ જળ કરાર હેઠળ મળતા પાણીને રોકીને અથવા તેના પ્રવાહને નિયંત્રિત કરીને તેને એક હથિયારની જેમ ઉપયોગ કરી રહ્યું છે.
આ એક ગંભીર મુદ્દો છે અને પાકિસ્તાન તેને ક્યારેય બરદાસ્ત કરશે નહીં.” તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સિંધુ જળ કરારના ઉલ્લંઘનને લઈને કોઈ સમજૂતી કરશે નહીં અને ભારતને આ કરારની “લાલ રેખા” પાર કરવા દેશે નહીં.