ભારતીય અર્થતંત્ર માટે IMF એ વ્યક્ત કર્યું આશાવાદી અનુમાન, ઝડપથી વૃદ્ધિદર હાંસલ કરશે…

વોશિંગટન ડી.સી.: આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. તેના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (WEO) રિપોર્ટમાં, IMF એ 2025-26 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 6.4 ટકાથી વધારીને 6.6 ટકા કર્યો છે. આ સુધારો દર્શાવે છે કે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ભારતીય નિકાસ પર લાદવામાં આવેલા નવા ટેરિફની અસર છતાં, ભારતનું અર્થતંત્ર મજબૂત ગતિ જાળવી રહ્યું છે.
ભારતની આર્થિક સ્થિતિને લઈને IMFનો રિપોર્ટ
IMF રિપોર્ટ અનુસાર, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતના અર્થતંત્રમાં 7.8 ટકાનો મજબૂત વિકાસ નોંધાયો હતો, જે છેલ્લા પાંચ ક્વાર્ટરમાં શ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતના અર્થતંત્રની આ ગતિએ યુએસ ટેરિફની અસરને ઓછી કરી દીધી છે. ભારતમાં મજબૂત સ્થાનિક માંગ, તેજીમાં રહેલો ઉત્પાદન ક્ષેત્ર અને સરકારની મૂડી ખર્ચ નીતિઓએ આ ગતિ જાળવી રાખી છે. ભારતીય અર્થતંત્રના મજબૂત પ્રદર્શન પાછળ આ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે.
IMF એ જણાવ્યું છે કે, “2025 માટે અમારી આગાહી પહેલા કરતા સારી છે. પ્રથમ ક્વાર્ટરની મજબૂત શરૂઆત ટેરિફની અસરને સરભર કરે છે.” ફક્ત IMF જ નહીં, પરંતુ વિશ્વ બેંકે પણ આ મહિનાની શરૂઆતમાં ચાલુ નાણાકીય વર્ષ (2024-25) માટે ભારતના GDP અનુમાનને 6.3 ટકાથી વધારીને 6.5 ટકા કર્યું હતું. વિશ્વ બેંકના મતે, ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા રહેશે.
જોકે, IMF એ 2026-27 માટે GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.4 ટકાથી ઘટાડીને 6.2 ટકા કર્યો છે. આ થોડો ઘટાડો વૈશ્વિક વેપાર અને અન્ય આર્થિક પડકારોમાં અનિશ્ચિતતાઓને કારણે છે. IMF એ વૈશ્વિક સ્તરે પણ વૃદ્ધિના અંદાજો શેર કર્યા છે. IMFના રિપોર્ટ મુજબ, વૈશ્વિક આર્થિક વૃદ્ધિ 2024માં 3.3 ટકાથી ઘટીને 2025માં 3.2 ટકા અને 2026માં 3.1 ટકા થવાની ધારણા છે. IMF એ આ મંદીને સંરક્ષણવાદી નીતિઓ, વેપાર અનિશ્ચિતતા અને મેક્રોઇકોનોમિક પડકારોને આભારી છે.