ઈરાનમાં સત્તાનો તખ્તો પલટાય તો ‘સર્વોચ્ચ નેતા’ ખામેનીનો ઉત્તરાધિકારી કોણ?

તહેરાન: ઇઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો એકબીજા પર હુમલા કરવામાં કોઈ કસર બાકી રાખી રહ્યા નથી. ઇઝરાયલે તરફથી થયેલા હુમલાના બદલામાં ઈરાને બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામેનીએ યુદ્ધનો નારો લગાવ્યો હતો અને ઈરાન આત્મસમર્પણ કરશે નહીં એવી જાહેરાત કરી હતી. પરંતુ જો આ યુદ્ધમાં ઈરાનના અયાતુલ્લા ખામેનીને કશું થઈ જાય તો તેમનો ઉત્તરાધિકારી કોણ હશે? એ પ્રશ્ન ઊભો થયો છે.
અયાતુલ્લા ખામેનીના ઉત્તરાધિકારીની યાદી
86 વર્ષીય અયાતુલ્લા ખામેની હાલ ઈરાનના સર્વોચ્ચ નેતા છે. તેઓ ઈરાનન બીજા સર્વોચ્ચ નેતા છે. તેમના બાદ અનેક લોકો તેમના પદના દાવેદાર બની શકે છે. જેમાં પહેલા ક્રમે તેમના દીકરા મોજતબા ખામેનીનું નામ આવે છે. તે આઈઆરજીસી અને ઈરાનના રૂઢિવાદી એલીટ વર્ગ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જોકે વંશીય ઉમેદવારી તરીકે તેઓની ટીકા થઈ રહી છે. મોજતબા ખામેની બાદ વરિષ્ઠ મૌલવી તજજ્ઞોની સભાના સભ્ય અને કોમ સેમિનરીના પ્રમુખ અલીરેજા અરાફીનું નામ આવે છે. તેઓ ગાર્જિયન કાઉંન્સિલમાં પણ કામ કરે છે. પોતાના રૂઢિવાદી વલણ અને ધાર્મિક અને રાજનીતિક બંને સંસ્થાનો પર તેઓનો ઊંડો પ્રભાવ છે.
અલીરેજા અરાફી પછી ત્રીજા ક્રમે અયાતુલ્લા હાશેમ હૌસેની બુશહરીનું નામ આવે છે. તેઓ તજજ્ઞોની સભાના પહેલા ઉપાધ્યક્ષ અને કોમ સેમિનરી સોસાયટીના પ્રમુખ છે. તે ખામેનીના વિશ્વાસપાત્ર વ્યક્તિ છે. તેઓ સર્વોચ્ચ નેતા તરફથી કોમમાં શુક્રવારની નમાજની આગેવાની કરે છે. ચોથા ક્રમે અલી અસગર હેજાજીનું નામ આવે છે. તે એક શક્તિશાળી વ્યક્તિ છે. તેઓ સર્વોચ્ચ નેતાના કાર્યાલયમાં રાજનીતિક સુરક્ષા બાબતોની દેખરેખ રાખે છે. તેઓ ઈરાનના ગુપ્ત નેટવર્ક સાથે જોડાયેલા છે અને પોતાના વ્યુહાત્મક પ્રભાવના કારણે જાણીતા છે.
અસગર હેજાજી બાદ ઈરાનના ન્યાયાલયના વર્તમાન પ્રમુખ ઘોલામ હુસૈન મોહનેસી ઈજેઈનું નામ આવે છે. આ અગાઉ તેઓ ઇન્ટેલિજન્સ મંત્રીના પદે પણ રહી ચૂક્યા છે. તેઓની ગણના ખામેનીના વફાદાર ખાસ વ્યક્તિ તરીકે કરવામાં આવે છે. મહંમદ મહંમદી ગોલપાયેગાની લાંબા સમય સુધી સર્વોચ્ચ નેતાના કાર્યાલયમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે કામ કર્યું છે. સર્વોચ્ચ નેતા સાથેની નિકટતા તેઓને પણ આ પદના દાવેદાર બનાવે છે.
ઉપરોક્ત જાણીતા નામો બાદ ખામેનીના ઉત્તરાધિકારી તરીકે ઈરાનના બે પૂર્વ વિદેશ મંત્રી અને પૂર્વ સાંસદ અધ્યક્ષના નામ આવે છે. અલી અકબર વેલયાતી ખામેનીના વર્તામન વરિષ્ઠ વિદેશ નીતિના સલાહકાર છે. તેઓ કૂટનીતિ અને પરમાણુ વાટાઘાટોના અનુભવી છે. કમલ ખરાજી હાલ ઈરાનની એક્પપીડિંએન્સી કાઉન્સિલ અને સ્ટ્રેટેજિક કાઉન્સિલ ઓન ફોરેન રિલેશનમાં કામ કરે છે. તેઓ વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં માહેર છે. અલી લારીજાની ઈરાનના પૂર્વ સંસદ અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ મુખ્ય પરમાણુ વાટાઘાટકાર છે. તેઓ ઈરાનની રાજનીતિ પર પ્રભાવ ધરાવતા એક રૂઢિવાદી વ્યક્તિ છે. તેઓ પણ સર્વસમ્મતિ સાથે સર્વોચ્ચ નેતાના પદના ઉમેદવાર બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, જો યુદ્ધ બાદ સત્તા પરિવર્તન થાય છે તો રેજા પહલવી ખામેનીની જગ્યા લઈ શક છે. તેઓ ઈરાનના શાહના પુત્ર છે. તેઓ ઈરાની પ્રવાસી અને ઘરેલુ વિપક્ષી જુથો વચ્ચે લોકપ્રિય છે. તેઓ એક ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક ઈરાનના હિમાયતી છે.
આ પણ વાંચો…ઈરાને ઇઝરાયેલની હોસ્પિટલ અને સ્ટોક એક્ષચેન્જ પર હુમલો કર્યો! ઇઝરાયલે ખામેનીની હત્યાની ચેતવણી આપી