ઇન્ટરનેશનલ

મુસ્લિમ દેશ મોરોક્કોમાં બકરી ઇદમા કુર્બાની પર લાગ્યો પ્રતિબંધ? કારણ ધર્મ નહીં પરંતુ…

રબાત, મોરક્કો: આફ્રિકાના એક ઇસ્લામિક દેશ મોરોક્કોએ પોતાના બકરી ઇદ પર કુર્બાની પર પ્રતિબંધ મૂક્યો છે. એક મુસ્લિમ દેશે આવો નિર્ણય કેમ લીધો? તે અંગે અત્યારે આખી દુનિયામાં ચર્ચાઓ થઈ રહી છે. ભારતમાં શાકાહારને પ્રોત્સાહન આપતો એક વર્ગ ઘણીવાર બકરી ઇદ પર કુર્બાની બંધ કરવાની અપીલ કરતો રહ્યો છે. એક મુસ્લિમ બહુમતી ધરાવતા મોરોક્કોમાં બકરી ઇદ પર કુર્બાની બંધ કરાવવી, આ એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય છે.

મોરોક્કોના રાજા મોહમ્મદ છઠ્ઠાએ કુર્બાની પર પ્રતિબંધ મૂક્યો

મોરોક્કો દેશની વાત કરવામાં આવે તો, અહીં 99 ટકા મુસ્લિમ વસ્તી છે. હકીકતમાં મોરોક્કોના રાજા મોહમ્મદ છઠ્ઠાએ કુર્બાની પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તેમનું કહેવું છે કે તેના કારણે આર્થિક અને પર્યાવરણીય સંકટ વધુ વધી શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે, મોરક્કો દેશ છેલ્લા 7 વર્ષથી ભીર દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. ખેતીની વાત તો છોડો પશુઓ માટે પણ પૂરતુ પાણી નથી. આના કારણે દેશમાં પશુઓની સંખ્યામાં 38 ટકાનો ઘટાડો થયો છે. સાથે સાથે જળાશયોની ક્ષમતામાં પણ 23 ટકાનો ઘટાડો થયો છે.

મોરક્કો સરકાર નથી ઈચ્છતી કે, બકરી ઈદમાં પશુઓની હત્યા થાય

દેશમાં દુષ્કાળને કારણે, ઘાસચારાના ભાવમાં 50%નો વધારો થયો છે, જેના કારણે પશુપાલકો અને ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો છે. આવી સ્થિતિમાં મોરક્કો સરકારે આ નિર્ણય લીધો છે. સરકાર નથી ઇચ્છતી કે, દુષ્કાળની સ્થિતિમાં બકરી ઈદમાં પશુઓની હત્યા કરવામાં આવે. એક મુસ્લિમ દેશમાં આવો નિર્ણય લેવામાં આવ્યો તે ખરેખર ચર્ચાનો વિષય છે. દરેક ધર્મને માન આપવું જોઈએ. તેની ધાર્મિકતાનું સન્માન કરવું જોઈએ. પરંતુ માસૂમ જીવની હત્યા ના થાય તે મામલે વિચાર કરવો પણ અનિવાર્ય છે. જેથી અનેક લોકોએ મોરક્કો દેશના આ નિર્ણયની સરાહના પણ કરી છે.

ઇસ્લામમાં કુર્બાનીને સારી મનાય છે, પરંતુ ફરજિયાત નથીઃ મોરક્કોના રાજા

મોરક્કો દેશ અત્યારે દરેક રીતે પાયમાલ થઈ ગયો છે. સ્થિતિ એટલી ખરાબ અને ગંભીર બની ગઈ છે. મોરોક્કોના રાજા મોહમ્મદ છઠ્ઠા પણ દેશના ધાર્મિક વડા છે. તેમનું કહેવું છે કે આ વર્ષે બકરી ઇદ પર કુર્બાની ન આપવી એ ઇસ્લામિક સિદ્ધાંતો અનુસાર છે. મોરક્કોના રાજાનું કહેવું છે કે, ઇસ્લામમાં કુર્બાનીને સારી માનવામાં આવે છે, પરંતુ તે ફરજિયાત નથી. જેથી કુર્બાની પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે, તેમના આ નિર્ણયથી જીવદયા પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળશે. કોઈ પણ ધર્મનો અનાદર ક્યારેય ના કરવો જોઈએ, પરંતુ જીવ માત્રની કુર્બાનીના નામે હત્યા કરવી એ પણ યોગ્ય તો નથી જ. જેથી મોરક્કો દેશ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની પ્રશંસા થવી જોઈએ.

આ પણ વાંચો….અમદાવાદમાં બકરી ઇદ પહેલાં પોલીસનું કડક જાહેરનામું: જાહેરમાં કુરબાની પર પ્રતિબંધ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button