ગાઝામાં હવાઇ હુમલા અને ગોળીબારમાં ૮૨નાં મોત

તેલ અવીવઃ ગાઝામાં રાતભર થયેલા હવાઇ હુમલા અને ગોળીબારમાં ૮૨ પેલેસ્ટિનિયનોના મોત થયા છે. જેમાં ૩૮ લોકો ખૂબ જરૂરી માનવતાવાદી સહાય મેળવવાનો પ્રયાસ કરતી વખતે મોતને ભેટ્યા હતા. આ જાણકારી હોસ્પિટલો અને આરોગ્ય મંત્રાલયે ગુરૂવારે આપી હતી.
જો કે ઇઝરાયલી સેનાએ હુમલાઓ પર તાત્કાલિક કોઇ ટિપ્પણી કરી ન હતી. ગાઝા પટ્ટીની વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે ઇઝરાયલ દ્વારા સમર્થિત એક નવી બનેલી ગુપ્ત અમેરિકન સંસ્થા ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્થળોની બહાર પાંચ લોકો માર્યા ગયા હતા. જ્યારે ગાઝા પટ્ટીના અન્ય સ્થળોએ સહાય ટ્રકની રાહ જોઇ રહેલા ૩૩ અન્ય લોકો મૃત્યુ પામ્યા હતા.
આ પણ વાંચો: ટ્રમ્પે ગાઝામાં યુદ્ધવિરામના આપ્યા સંકેતઃ હમાસને આપી ખતરનાક ધમકી
બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે ગાઝા પર થયેલા હવાઇ હુમલામાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. જેમાં વિશાળ મુવાસી ઝોનમાં તંબુઓ પર થયેલા હુમલામાં ૧૫ લોકો માર્યા ગયા હતા. જ્યાં ઘણા વિસ્થાપિત પેલેસ્ટિનિયનો આશ્રય લઇ રહ્યા છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ગાઝામાં મોતને ભેટેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા ૫૭,૦૦૦થી વધુ થવા પામી છે. જેમાં ૨૨૩ ગુમ થયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. જેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
મૃતકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે. આ મૃત્યુ એવા સમયે થયા છે જ્યારે ઇઝરાયલ અને હમાસ સંભવિત યુદ્ધવિરામની નજીક પહોંચી રહ્યા છે, જે ૨૧ મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવશે.