ઇન્ટરનેશનલ

ટાઈમ મેગેઝીનના કવર પર બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, સરમુખત્યારશાહીના આરોપ

ટાઈમ મેગેઝીનના આગામી અંકના કવર પેજ પર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના જોવા મળશે. ટાઈમ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં શેખ હસીનાએ કહ્યું હતું કે તેમની સરકારને લોકતાંત્રિક રીતે સત્તા પરથી હટાવવી ખૂબ મુશ્કેલ છે. ઈન્ટરવ્યુમાં શેખ હસીનાએ કહ્યું કે ‘મને પૂરો વિશ્વાસ છે કે મારા લોકો મારી સાથે છે. એ મારી તાકાત છે. મને લોકતાંત્રિક રીતે સત્તા પરથી હટાવવાનું સરળ નથી. મને હટાવવાનો એકમાત્ર વિકલ્પ મને સત્તા પરથી હટાવવાનો છે અને હું મારા લોકો માટે મરવા તૈયાર છું.’

‘શેખ હસીના એન્ડ ધ ફ્યુચર ઓફ ડેમોક્રેસી ઇન બાંગ્લાદેશ’ શીર્ષક સાથે ટાઈમ્સ મેગેઝીનના નવેમ્બર અંકના કવર પેજ પર શેખ હસીનાનો ફોટો જોવા મળશે. ટાઈમ્સ મેગેઝીને આક્ષેપ કર્યો છે કે બાંગ્લાદેશમાં સરકાર શેખ હસીનાના નેતૃત્વમાં તાનાશાહી વલણ અપનાવી રહી છે. છેલ્લી બે ચૂંટણીઓ અંગે અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા પણ ટીકા કરવામાં આવી છે. આરોપ છે કે છેલ્લી બે ચૂંટણીમાં ઘણી ગેરરીતિઓ થઇ હતી. જો કે શેખ હસીના આ આરોપોને નકારી કાઢ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન અને શેખ હસીનાના વિરોધી ખાલિદા જિયા ભ્રષ્ટાચારના કેસમાં દોષિત જાહેર થયા બાદ નજરકેદ છે. દુનિયાના રાજકીય વિશ્લેષકોની નજર બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણી પર છે.

શેખ હસીના 2009થી બાંગ્લાદેશના વડા પ્રધાન છે. આ પહેલા તે 1996 થી 2001 સુધી બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પર પણ રહી ચુક્યા છે. શેખ હસીના એ મહિલા છે જેણે સૌથી વધુ સમય સુધી વડા પ્રધાન પદ સંભાળ્યું છે.

ટાઈમ મેગેઝિન માટે શેખ હસીનાનો ઈન્ટરવ્યુ લેનાર ચાર્લી કેમ્પબેલે લખ્યું છે કે તેમણે માર્ગારેટ થેચર કે ઈન્દિરા ગાંધી કરતાં વધુ ચૂંટણી જીતી છે અને હવે તે જાન્યુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં લડવા તૈયારી કરી રહ્યા છે.

ટાઈમ મેગેઝિનની કવર સ્ટોરી અનુસાર, શેખ હસીના પર 19 વખત જીવલેણ હુમલા થયા છે અને તાજેતરમાં શેખ હસીનાની વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને સુરક્ષા દળોના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હિંસક અથડામણમાં ઘણા લોકો માર્યા ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button