અઝરબૈજાને પાકિસ્તાન સાથે કર્યો મોટો કરાર, ભારત સરકારના આ પગલાથી લાગ્યા હતા મરચા

ભારત-આર્મેનિયા આર્મ્સ ડીલને લઈને અઝરબૈજાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે યુરેશિયન દેશે પાકિસ્તાન સાથે એક મોટી હથિયાર ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. અઝરબૈજાને પાકિસ્તાન પાસેથી $1.6 બિલિયનની કિંમતના JF-17 બ્લોક-III ફાઈટર જેટ ખરીદવા માટેના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પાકિસ્તાનના મુખ્ય સંરક્ષણ કોન્ટ્રાક્ટર પાકિસ્તાન એરોનોટિકલ કોમ્પ્લેક્સ અને અઝરબૈજાનની વાયુસેના વચ્ચે થયો છે, જે પાકિસ્તાનના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો નિકાસ કરાર છે. કરારમાં JF-17 ફાઈટર જેટ સાથેની તાલીમ પણ સામેલ છે. પાકિસ્તાન એરોનોટિકલ કોમ્પ્લેક્સ એક મોટી કંપની છે જે પાકિસ્તાન આર્મી માટે એરોપ્લેન અને અન્ય સાધનોનું ઉત્પાદન કરે છે. તેની શરૂઆત પાકિસ્તાન એરફોર્સ દ્વારા વર્ષ 1971માં કરવામાં આવી હતી. પાકિસ્તાની કંપની તેના કેટલાક ઉત્પાદનો માટે તુર્કી અને ચીનની કંપનીઓ સાથે મળીને કામ કરે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે જેવા દુશ્મનાવટના સંબંધો છે, તેવા જ અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેના સંબંધો છે. એવામાં ભારતે આર્મેનિયા સાથે યુદ્ધના હથિયારો આપવા માટે ડીલ કરી છે. ભારત-આર્મેનિયા વચ્ચે સંરક્ષણ સોદાથી અઝરબૈજાન ગુસ્સે ભરાયું હતું. યુરોપ અને એશિયા વચ્ચે સ્થિત અઝરબૈજાન અને તેના પાડોશી દેશ આર્મેનિયા વચ્ચે ઉગ્ર દુશ્મનાવટ છે. બંને દેશો નાગોર્નો-કારાબાખ વિસ્તાર પર પોતાના અધિકારો માટે લડી રહ્યા છે. વર્ષ 2023 માં, અઝરબૈજાને યુદ્ધ જીત્યું અને નાગોર્નો કારાબાખ પ્રદેશ પર કબજો કર્યો.
2023 માં કારાબાખ હારી ગયા બાદ, આર્મેનિયાએ ભારત અને ફ્રાન્સ સાથે એક મોટા શસ્ત્ર સોદા પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં હવાઈ સંરક્ષણ પ્રણાલી, સશસ્ત્ર વાહનો અને અન્ય શસ્ત્રોની ખરીદી કરવાનો સમાવેશ થાય છે.
અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ ભારત-ફ્રાન્સના આર્મેનિયા સાથેના શસ્ત્ર સોદા પર નારાજ હતા. ડિસેમ્બર 2023માં અલીયેવે કહ્યું હતું કે, ‘ફ્રાન્સ અને ભારત જેવા દેશો આર્મેનિયાને હથિયારો આપીને બળતામાં ઘી ઉમેરી રહ્યા છે. આ દેશો આર્મેનિયામાં એવો ભ્રમ પેદા કરી રહ્યા છે કે આ હથિયારોની મદદથી તેઓ કારાબખને પરત લઈ શકે છે.
નોંધનીય છે કે ભારત અને અઝરબૈજાન વચ્ચે ખાસ કંઇ સંબંધો નથી. કાશ્મીરના મુદ્દે અઝરબૈજાન પાકિસ્તાનને સમર્થન કરે છે. યુએનમાં કાશ્મીરના મુદ્દે અઝરબૈજાન ઘણીવાર પાકિસ્તાનની સાથે ઉભું રહ્યું છે. ભારતમાં અઝરબૈજાનના પૂર્વ રાજદૂત અશરફ શિકાલિવે થોડા સમય પહેલા કહ્યું હતું કે તેમનો દેશ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે સહયોગી વલણ જાળવી રાખે છે. પૂર્વ પાકિસ્તાની રાજદૂત અબ્દુલ બાસિતે અઝરબૈજાન સાથે પાકિસ્તાનના સંરક્ષણ સોદા પર ટિપ્પણી કરી છે.
Great news. Azerbaijan will get from Pakistan JF-17 aircraft worth $1.6 billion
— Abdul Basit (@abasitpak1) February 22, 2024
સોશિયલ મીડિયા સાઇટ X પર એક ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, ‘મોટા સમાચાર… અઝરબૈજાન પાકિસ્તાન પાસેથી $1.6 બિલિયનના JF-17 વિમાન ખરીદશે.