‘ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ…’ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

વોશીંગ્ટન ડી સી: પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર હાલ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(USA)ના પ્રવાસે છે, આ દરમિયાન તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં બેઠક (Trump-Munir Meeting) કરી હતી. આ બેઠક દરમિયાન મુનીરે એવી વાત કરી હતી જેની સામે ભારત સખત વાંધો ઉઠાવી શકે છે. મુનીરે ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગણી કરી હતી. અસીમ મુનીરનું માનવું છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવામાં ટ્રમ્પે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આ માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવો જોઈએ.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા એન્ના કેલીએ મુનીરે આ વાત કહી હોવાની પુષ્ટિ કરી છે. એન્ના કેલીએ કહ્યું કે પાકિસ્તાની સેના પ્રમુખે નોબેલ પુરસ્કાર માટે ટ્રમ્પનાં નામની ભલામણ કરવી જોઈએ.
આ બેઠક ગઈ કાલે 18 જૂનના રોજ વ્હાઇટ હાઉસના કેબિનેટ રૂમમાં થઈ હતી, જેમાં મીડિયાને હાજરી આપવાની મંજૂરી નહોતી. ટ્રમ્પે મુનીરે વ્હાઇટ હાઉસમાં લંચ માટે આમંત્રણ આપ્યું હતું.
નોંધનીય છે કે મે મહિનાની શરૂઆતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસના લશ્કરી સંઘર્ષ ચાલ્યો હતો, ત્યાર બાદ બંને દેશના સૈન્ય વડા યુદ્ધ વિરામ માટે સહમત થયા હતાં. એ સમયે ટ્રમ્પે દાવો કર્યો તેમની મધ્યસ્થીથી આ યુદ્ધ વિરામ થયું હતું. જો કે ભારતે આ દાવાનો ફગાવી દીધો હતો, આમ છતાં ટ્રમ્પ વરંવાર પોતે મધ્યસ્થી કરાવી હોવાનો દાવો કરતા રહ્યા.
આપણ વાંચો: ફરી એકવાર ધ્રુજી ઉઠી ધરા જાપાનની ધરા, વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ
વડાપ્રધાન મોદીની સ્પષ્ટતા:
હજુ ગઈ કાલે બુધવારે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદમાં દ્વિપક્ષીય રીતે જ હલ કરવામાં આવશે, કોઈ મધ્યસ્થીનું જરૂર નથી.
મુનીરે પ્રભાવશાળી ભૂમિકા ભજવી:
વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “મેં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવ્યું. મને પાકિસ્તાન પ્રત્યે લાગણી છે. પીએમ મોદી એક શાનદાર વ્યક્તિ છે. મેં ગઈકાલે રાત્રે તેમની સાથે વાત કરી હતી અને અમે ભારત સાથે વેપાર કરાર કરવા જઈ રહ્યા છીએ. પરંતુ આ વ્યક્તિ (મુનીર) એ યુદ્ધ રોકવા માટે પાકિસ્તાન તરફથી પ્રભાવશાળી ભૂમિકા ભજવી હતી.”
મુનીરની આ માંગણી અંગે ભારતે હજુ સુધી કોઈ સત્તાવર નિવેદન આપ્યું નથી. પણ એવી અપેક્ષા છે કે ભારત આનો કડક જવાબ આપી શકે છે.