પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલામાં 13 સૈનિક માર્યા ગયા

પેશાવર: આતંકવાદને પોષતા પાકિસ્તાનને જ આજે આતંકી હુમલાનો ભોગ બનવું પડ્યું છે. વહેલી સવારે ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં પાકિસ્તાની સેનાના 13 સૈનિકોના મોત થયા છે. સાથોસાથ સ્થાનિકો એક ડઝનથી વધુ મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા છે.
વિસ્ફોટકો ભરેલી ગાડીથી થયો હુમલો
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે વહેલી સવારે 7.40 વાગ્યાની આસપાસ ખૈબર પખ્તુનખ્વા રાજ્યના વજિરિસ્તાન જિલ્લાના મીર અલીના ખાદી માર્કેટમાં એક પાકિસ્તાની સેનાની એમઆરએપી ગાડી બોમ્બ ડિસ્પોઝલ યુનિટની ડ્યુટી પર જઈ રહી હતી. એ સમયે વિસ્ફોટકોથી ભરેલી એક ગાડી તેની સાથે અથડાઈ હતી. જેથી ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો.
આપણ વાંચો: આતંકી હુમલા બાદ પહેલીવાર કાશ્મીરમાં મોટું આયોજન, ખીર ભવાની મેળામાં ઉમટ્યા ભક્તો
13 સેનિકનાં મોત, 35 લોકો ઈજાગ્રસ્ત
બોમ્બ વિસ્ફોટમાં 13 સૈનિકોનું મૃત્યુ નિપજ્યું છે. સાથોસાથ 10 સૈન્ય કર્મચારીઓ અને 19 નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટના કારણે બે ઘરની છત પણ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં છ બાળક ઈજાગ્રસ્ત થયા છે.
આતંકી સંગઠને લીધી હુમલાની જવાબદારી
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જૂથના ઉસૂદ-ઉલ-હર્બએ આ હુમલાની જવાબદારી લીધી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતમાં આતંકી હુમલાઓમાં વધારો થયો છે.