પાટણ નજીક ફેક્ટરીમાં આગ: બે મજૂરો દાઝ્યા, સારવાર માટે મહેસાણા ખસેડાયા

પાટણ: રાજ્યમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. સિદ્ધપુર-પાટણ હાઈવે પર નેદરા-કનેસરા રોડ પર આવેલી ઈસબગુલની આતિશ ફેક્ટરીમાં આજે બપોરના સમયે ATO મશીનમાં આગ લાગતા બે મજૂરો દાઝી ગયા હોવાના અહેવાલ છે. તેમને તાત્કાલિક સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ત્રણ જગ્યાએ આગ લાગવાની ઘટના, પણ
ATO મશીનનો દરવાજો ખોલતા લાગી આગ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ફેક્ટરીમાં મજૂરો ATO મશીનમાં સિલિનિયમ નામની ભૂકીની બોરીઓ ભરી રહ્યા હતા. તે દરમિયાન સિલિનિયમની ભૂકીની બોરીઓ ટ્રકમાં ભરવા માટે ATO મશીનનો દરવાજો ખોલવામાં આવતા અજાણ્યા કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠી હતી.
આપણ વાંચો: Jharkhand માં ટ્રેનમાં આગ લાગવાની અફવાએ ચાર લોકોના ભોગ લીધા, જાણો સમગ્ર ઘટના
આ ઘટનામાં 50 વર્ષીય સરદારસિંહ કેસરીલાલ મીણા અને 25 વર્ષીય અજય પરમદેવ પાસવાન નામના બે મજૂરો હાથ, પગ અને શરીરના અન્ય ભાગે દાઝી ગયા હતા. ફેક્ટરીમાં હાજર અન્ય લોકોએ તાત્કાલિક ફાયર સેફ્ટીની બોટલોનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી.
ઈજાગ્રસ્ત બંને મજૂરોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર મળ્યા બાદ તેમની ગંભીર હાલત જોતા વધુ સારવાર અર્થે મહેસાણા રિફર કરવામાં આવ્યા છે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.