બનાસકાંઠા

લાખણી તાલુકામાં થયેલ વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું હતું હત્યાનું કારણ?

પોલીસે 9 ટીમો બનાવી હત્યાનો ભેદ ઉકેલ્યો અને 4 આરોપીઓની ધરપકડ કરી, બનાસકાંઠા એસપીએ આપી ઘટનાની વિગતો

લાખણી, બનાસકાંઠાઃ બનાસકાંઠાના લાખણી તાલુકામાં આવેલા જસરા ગામમાં વૃદ્ધ દંપતીની હત્યા થઈ હતી. લાખણીના જસરા ગામમાં રહેતા વૃદ્ધ દંપતી એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતા હતાં. તેમની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. પીઆઇ એ.વી પટેલના પિતા વર્ધાજી પટેલ અને માતા હોશીબેન પટેલની હત્યાની હત્યા ધનની લાલચે થઈ હોવાનું પોલીસ જણાવ્યું છે. પોલીસે આપેલી વિગતો પ્રમાણે પાડોશીએ દેવું થઈ જતા વૃદ્ધ દંપતી એકલા રહેતા હોવાનો લાભ લઈ હત્યા બાદ 2.50 લાખની લૂંટ કરી કરી હતી. પગમાં પહેરેલા કળા નિકળતા ન હોવાથી પગ પણ કાપી નાખ્યા હતાં.

દંપતીની હત્યાના કેસને ઉકેલવા માટે પોલીસે 9 ટીમો બનાવી હતી

આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી પાડ્યો છે. દંપતીની હત્યાના કેસને ઉકેલવા માટે પોલીસે 9 ટીમો બનાવી હતી. માત્ર 72 કલાકમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલીને હત્યારાઓને દબોચી લીધા છે. આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જસરા ગામમાં હત્યાની આ ઘટના બની હતી. હત્યાના કેસમાં પોલીસે સુરેશભાઇ શામળાભાઇ પટેલ (રહે.જસરા), શામળાભાઇ રૂપાભાઇ પટેલ (રહે.જસરા), ઉમાભાઇ ચેલાજી પટેલ (રહે.રામપુરા, દામા) અને દીલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી (રહે.રામપુરા, દામા)ની ધરપકડ કરી છે. ગઈ કાલે રાત્રે 8 વાગે પ્રેસ કોન્ફરન્સ દ્વારા બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ આ કેસની સંપૂર્ણ વિગતો આપી હતી.

ચાર લોકોએ સાથે મળી હત્યાની ઘટનાને અંજામ આપ્યો

મુખ્ય સૂત્રધારા આરોપી સુરેશભાઇ શામળાભાઇ પટેલ એ બ્લેક મેઝિકનો જાણકાર છે, તેણે પોતાના મામા અને પિતાને સાથે રાખીને આ હત્યાને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ કેસમાં સુરેશના ગુરૂ દીલીપજી મફાજી ઠાકોર જે ભુવો છે, તેણે આ હત્યા કેસમાં સાથ આપ્યો હતો. આરોપીઓએ હત્યા દરમિયાન અવાજ બહાર ના જાય તે માટે ટેક્ટર અને થ્રેસર ચાલુ રાખ્યું હતું. આ હત્યાનું આખુ કાવતરૂ માત્ર ધન માટે જ હતું. કોઈને મારીને તેના દાગીનાની વિધિ કરવામાં આવે તો વધારે ધન લાભ થાય તેવી અંધશ્રદ્ધાથી આ હત્યા કરવામાં આવી હતી. જો કે, હત્યા કર્યી બાદ દાગીના વેચી દીધા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આપણ વાંચો:  ગુજરાતમાં આજે સર્વત્ર મેઘ મંડાણ, 10 વાગ્યા સુધી 12 જિલ્લામાં રેડ એલર્ટ…

રિમાન્ડ દરમિયાન વધારે પૂછપરછ કરવામાં આવશેઃ પોલીસ

પોલીસના જણાવ્યાં પ્રમાણે આરોપી સુરેશ જે બ્લેક મેઝિક જાણે છે અને ભુવો પણ છે. તેના પર દેવું ખૂબ જ વધી ગયું હતું અને રૂપિયાની તંગી પણ ખૂબ વધી ગઈ હતી. પોલીસ હવે આરોપીઓના રિમાન્ડ માંગવાની છે, ત્યારે બાદ રિમાન્ડ દરમિયાન વધારે પૂછપરછ કરવામાં આવશે. તેમાં હજી વધારે ખુલાસા થશે તેવું પોલીસનું કહેવું છે. આગળની તપાસ અને પૂછપરછ પછી વધારે જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button