Amulના ભાવવધારા પર કોંગ્રેસે કહ્યું “જનતા સાથે આથી મોટો કોઈ વિશ્વાસઘાત ન હોય શકે”

ગાંધીનગર: દેશમાં જેમ એક તરફ ચૂંટણી પૂર્ણ થઈ તે જ રીતે પ્રજા પર મોંઘવારીનો ઘા કરવામાં આવ્યો છે. ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન બાદ દેશની જનતા પર દૂધ અને ટોલટેક્સમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ (Dr. Manish Doshi) સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે હવે મત માંગવાનો કાર્યક્રમ પૂરો થઈ ચૂક્યો છે એટલે હવે ભાજપે મોંઘવારીનો માર આપવાની નીતિ શરૂ કરી દીધી છે. દૂધમાં કરવામાં આવેલ ભાવવધારાથી સામાન્ય માણસને મોંઘવારીની અસર થવાની છે જ્યારે બીજી બાજુ ટોલ ટેક્સમાં કરવામાં આવેલ દરોના વધારાથી જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી થવાની થશે.
આ પણ વાંચો: Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું, આ વિધાનસભ્યએ આપ્યું રાજીનામું
તેમણે વધુમાં જણાવ્યું હતું, જેવુ મતદાન પૂર્ણ થતાં જ ભાજપ સરકારે અચ્છે દિનનો અહેસાસ કરાવ્યો છે. હજુ તો સત્ર ખૂલી રહ્યા છે ત્યાં જ પાઠ્યપુસ્તક સહિતની વસ્તુઓમાં પણ વધારો કરી દીધો છે તો વળી દર વર્ષે ફીમાં તો વધારો આવ્યા જ કરે છે. આ મોંઘવારીથી સામાન્ય માણસને જીવન નિરાવઃ કરવું ઘણું મુશ્કેલ બનશે. ભાજપ સરકાર સત્તામાંથી દૂર થશે તો જ મોંઘવારીથી રાહત મળશે. જનતા સાથે કરવામાં આવેલો આનાથી મોટો કોઈ વિશ્વાસઘાત ન હોય શકે.
દેશમાં એકતરફ મોંઘવારીનો માહોલ છે, જીવન જરૂરી વસ્તુઓના ભાવ પણ હાલ સાતમા આસમાને પહોંચ્યા છે. ત્યારે આ સમયે અમૂલમાં કરવામાં આવેલ ભાવવધારો સામાન્ય લોકો પર નવો માર છે. અમૂલના ભાવ વધારાએ ગૃહિણીઓના બજેટ ખોરવ્યા છે.