વડોદરામાં 12મી ‘રોબો રથયાત્રા’ નીકળી, જાણો કેવી રીતે ખેંચાય છે તેના રથ

વડોદરા: દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી ખાતે દેશની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. ત્યારબાદ અમદાવાદની રથયાત્રાનો નંબર આવે છે. જેનાથી સૌકોઈ પરિચિત છે. પરંતુ આ સિવાય વડોદરાના એક યુવક દ્વારા છેલ્લા 11 વર્ષથી રોબો રથયાત્રા પણ કાઢવામાં આવે છે. આ રોબો રથયાત્રાની ખાસિયત શું છે? આવો જાણીએ.
વડોદરામાં કોણ કરે છે રોબો રથયાત્રાનું આયોજન
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ફેલક્ટી ઓફ આર્ટસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જય મકવાણાને ટ્રેડિશન અને ટેકનોલોજીનો તથા સાયન્સ અને સંસ્કારનો સમન્વય કરીને રોબો રથયાત્રા શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. 2014માં જય મકવાણાએ મિત્રો સાથે મળીને પહેલી રોબો રથયાત્રાનું આયોજન કર્યું હતું. આમ તેઓ છેલ્લા 11 વર્ષથી રોબો રથયાત્રાનું આયોજન કરે છે. આ વર્ષે જય મકવાણાના ઘરના આંગણે 12મી રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જગન્નાથપુરીની જેમ અહિંયા પણ પહિંદ વિધિ સહિતની પરંપરાનું પાલન કરીને રોબો રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવે છે.

રોબો રથયાત્રાની વિશેષતા શું છે?
જગન્નાથ પુરીની રથયાત્રાની જેમ રોબો રથયાત્રામાં પણ ત્રણ રથ હોય છે. આ રથ લાકડાંમાથી તૈયાર કરવામાં આવે છે. લીલા અને લાલ રંગના શિખરવાળો ભાઈ બલભદ્રનો ‘તાડધ્વજ’ નામનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. કાળા તથા લાલ રંગના શિખર વાળો બહેન સુભદ્રાનો ‘દર્પદલન’ નામનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ પીળા અને લાલ રંગના શિખર વાળો ‘નંદીઘોષ’ નામનો રથ મહાપ્રભુ શ્રી જગન્નાથજી માટે તૈયાર કરવામાં આવ્યો છે. રોબોરથમાં રસ્સી ન હોવાથી, રોબો રથને બ્લુતુથની મદદથી ત્રણ રીમોટ કંટ્રોલ વડે સંચાલિત કરવામાં આવે છે. આ ત્રણે રીમોટ કંટ્રોલના નામ પુરીના રથોની રસ્સીઓના નામ પરથી અનુક્રમે વાસુકી, સ્વર્ણચૂડા તથા શંખચૂડા રાખવમાં આવ્યા છે.

ત્રણ મહિલાઓએ કરી પહિંદ વિધિ
ઉલ્લેખનીય છે કે, જય મકવાણાના નિઝામપુરા સ્થિત ઘરે યોજાયેલી રોબો રથયાત્રામાં 90 વર્ષના બા સહિત ત્રણ મહિલાઓએ પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભજન-કિર્તન સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જય મકવાણાના પરિજનો, સ્નેહીજનો તથા મિત્રો જોડાયા હતા.
આ પણ વાંચો…149મી રથયાત્રામાં શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં નહીં પડે અગવડ, મંદિરનું થઈ રહ્યું છે વિસ્તરણ