અમદાવાદ

આઈપીએલ ફાઈનલ પહેલા પંજાબ-બેંગલૂરુનું વધ્યું ટેન્શન, મેચ વિજેતા ખેલાડી થયા ઘાયલ

અમદાવાદઃ ક્રિકેટ કાર્નિવલ આઈપીએલની ફાઈનલને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. બેંગલૂરુ અને પંજાબ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા મેગા મુકાબલો નીહાળવા દેશભરમાંથી ક્રિકેટ ફેંસ શહેરમાં ઉમટી પડ્યા છે. ફાઈનલ પહેલા આરસીબીને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દિગ્ગજ બેટ્સમેન ટિમ ડેવિડની ફિટનેસને લઈ ટીમ ચિંતિત છે. જો તે મેચ રમવા ફિટ હશે તો લિયામ લિવિંગસ્ટોનના સ્થાને ઉતારવામાં આવી શકે છે. પરંતુ જો ફિટ નહીં હોય તો કેપ્ટન રજત પાટીદાર લિવિંગસ્ટોનને ટીમમાં જાળવી રાખી શકે છે. ફિલ સોલ્ટની પત્નીએ બાળકને જન્મ આપ્યો હોવાના કારણે ફાઈનલ મુકાબલામાં ભાગ લેવા શંકા છે. પરંતુ તે હજુ પણ ટીમ સાથે જોડાયેલો છે.

આરસીબીના બે મહત્ત્વના ખેલાડીઓને રમવા પર સસ્પેન્સ છે. જો બંને નહીં રમે તો આરસીબી વિરાટ કોહલીની સાથે ઓપનર તરીકે ટિમ સીફર્ટને ઉતારશે, જ્યારે ફિનિશરની જવાબદારી રોમારિયો શેફર્ડ પર હશે. તેણે ટુર્નામેન્ટની પ્રથમ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે શાનદાર ઈનિંગ રમી હતી.

પંજાબ કિંગ્સને પણ સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની ફિટનેસને લઈ ચિંતિત છે. ત્રણ મેચ ગુમાવ્યા બાદ ચહલે મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલ 2025ની ક્વોલિફાયર-2 રમી હતી. જેમાં તેણે સૂર્યકુમાર યાદવની વિકેટ લીધી હતી. મેચ બાદ આસિસ્ટન્ટ કોચ જેમ્સ હોપ્સે ચહલ 100 ટકા ફિટ ન હોવાનો ખુલાસો કર્યો હતો. જો ફાઈનલ મેચમાં ચહલ નહીં રમે તો પંજાબ પ્લેઈંગ ઈલેવનમાં સ્પિનર હરપ્રીત બરારને સ્થાન આપી શકે છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પિચ રિપોર્ટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે મદદગાર માનવામાં આવે છે. અહીં પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 219 રન છે. આ સીઝનમાં અહીંયા રમાયેલી 16 ઈનિંગમાં ટીમોએ 11 વખત 200 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો છે. ચાલુ વર્ષે પ્રથમ બેટિંગ કરતી ટીમ 8માંથી 6 મેચ જીતી છે. પરંતુ રવિવારે રમાયેલી ક્વોલિફાયર-2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હાર આપી હતી.

આ પણ વાંચો….આજે અમદાવાદમાં આઈપીએલ 2025ની ફાઈનલ, જાણો કેવું રહેશે હવામાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button