અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં દર મહિને ઉમેરાયા એક લાખ નવા ટુ વ્હીલરઃ જાહેર પરિવહનનો અભાવ કે પછી…

અમદાવાદમાં ફોર વ્હીલ રજિસ્ટ્રેશનમાં દૈનિક 62 ટકાનો ઉછાળો

અમદાવાદઃ ગુજરાતમાં જાહેર પરિવહનના અભાવે રોજબરોજ ખાનગી વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 2024માં 12 લાખ નવા ટુ વ્હીલર અને 3.50 લાખ ફોર વ્હીલરનો ઉમેરો થયો હતો. અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ અને અમદાવાદ વસ્ત્રાલ આરટીઓમાં દૈનિક 560 ટુ વ્હીલર અને 208 ફોર વ્હીલરનું રજિસ્ટ્રેશન થયું હતું, એટલે કે દર ત્રણ મિનિટે ટુ વ્હીલર અને દર સાતમી મિનિટે ફોર વ્હીલરની નોંધણી થઈ હતી.

2012ના જ આંકડા પર નજર કરીએ તો આ સંખ્યા અનુક્રમે 499 અને 128 હતી. જે 12 વર્ષમાં ફોર-વ્હીલરના દૈનિક રજીસ્ટ્રેશનમાં 62.5 ટકા અને ટુ-વ્હીલરમાં 12.2 ટકાનો વધારો દર્શાવે છે. અમદાવાદની સરખામણીમાં સુરતમાં સાધારણ વધારો નોંધાયો હતો. ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતમાં દૈનિક ટુ-વ્હીલર રજીસ્ટ્રેશન 12 વર્ષમાં 335 થી વધીને 384 અને ફોર-વ્હીલર 69થી વધીને 84 થયું હતું.

આ આંકડા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ‘શહેરી આયોજન પર ઉચ્ચ-સ્તરીય સમિતિનો અહેવાલ’ માં ટાંકવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, ગુજરાતમાં 2024માં 18 લાખ નવા વાહનો ઉમેરાયા હતા, જેમાં 12 લાખ ટુ-વ્હીલર અને 3.5 લાખ ફોર-વ્હીલર હતા. 2000ના દાયકાની શરૂઆતમાં એક વર્ષમાં આશરે 41,000 વાહનો ઉમેરાયા હતા.

તેનાથી વિપરીત, ગુજરાતમાં વાર્ષિક ધોરણે માત્ર 4000 બસો ઉમેરવામાં આવે છે, જે ખાનગી અને સાર્વજનિક પરિવહન રોકાણ વચ્ચેની અસમાનતા દર્શાવે છે. ખાનગી વાહનોમાં વધારો હાલના પરિવહન માળખા પર પણ દબાણ વધારે છે. ખાનગી વાહનોની સંખ્યા વધવાની સાથે મુસાફરીનો સમય લાંબો થાય છે, ઉત્સર્જન વધે છે અને શહેરી જીવનની ગુણવત્તા કથળે છે તેમ પણ અહેવાલમાં જણાવાયું હતું.

અહેવાલ શહેરમાં કાર અને બાઇકની આવી વધતી સંખ્યા જાહેર પરિવહનનો અભાવ દર્શાવે છે. જો આ વલણ ચાલુ રહેશે તો આગામી 3-4 વર્ષમાં અમદાવાદમાં આ સંખ્યા બેંગલૂરુમાં (2024માં દૈનિક 300 કાર) નોંધણી જેટલી વધી જશે અને 2031 સુધીમાં દિલ્હીની સંખ્યા (2024માં દૈનિક 500 કાર) જેટલી થઈ જશે.

2024માં કયા શહેરમાં દૈનિક કેટલી ફોર વ્હીલરનો થયો વધારો

સુરતઃ 84
અમદાવાદઃ 200
બેંગલૂરુઃ 300
દિલ્હીઃ 500

વાહનોની વધતી જતી સંખ્યાના અન્ય પરિણામોની સાથે, રિપોર્ટમાં માર્ગ અકસ્માતોમાં વધારો અને હવાની ગુણવત્તામાં બગાડ જેવા મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી કેટલીક ભલામણોમાં શહેરી પરિવહન આયોજનને યોગ્ય બનાવવું અને શહેરો વચ્ચે કનેક્ટિવિટી સુધારવાનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button