ગુજરાતમાં આરોગ્ય સેવા બનશે વધુ સુદ્રઢ: 542 સામાન્ય એમ્બ્યુલન્સ પણ જોડાશે 108ના કાફલામાં

અમદાવાદ: રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજ્યની 542 જેટલી સામાન્ય એમ્બ્યુલન્સોનું સંચાલન 108 એમ્બ્યુલન્સ સેવાને સોંપવાનો નિર્દેશ કર્યો છે. દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ(ઇન્ટર-ફેસિલીટી ટ્રાન્સફર-IFT) ખાતે રેફરલ કરવા તેમજ નજીકના ઇમરજન્સી કેસમાં મદદ કરવા માટે આ તમામ નવીન 542 એમ્બ્યુલન્સનો 108 સેવા દ્વારા સંચાલન થશે.
જેમાં રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની 118, સામુહિક આરોગ્ય કેન્દ્રની 310, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની 59, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની 31 અને મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલની 21 મળીને કુલ 542 જેટલી નવીન એમ્બ્યુલન્સ હવે 108 સેન્ટર દ્વારા કાર્યાન્વિત થશે.
આપણ વાંચો: ભારે વરસાદની આગાહીને કારણે કચ્છ જિલ્લા પ્રશાસન સાવધ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા એલર્ટ
1499 એમ્બ્યુલન્સ આકસ્મિક પરિસ્થિતિમાં ઉપલબ્ધ
અત્રે નોંધનીય બાબત એ છે કે, રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની સેવા હેઠળ કુલ 800 ALS/BLS એમ્બ્યુલન્સ અને 38 આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ ઓન રોડ કાર્યરત છે.
આ વર્ષમાં નવીન 119 જેટલી 108 એમ્બુલન્સનો ઉમેરો થતા કુલ 957 જેટલી 108 એમ્બ્ચુલન્સ પ્રજાજનોની સેવામાં સમર્પિત થશે. આ નવા 542 એમ્બ્યુલન્સોના ઉમેરા સાથે રાજ્યમાં કુલ 1499 એમ્બ્યુલન્સ આકસ્મિક પરિસ્થિતિમાં ઉપલબ્ધ રહેશે.
આપણ વાંચો: ગુજરાતમાં સરહદી વિસ્તારમાં 75 નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી
રિસ્પોન્સ ટાઈમને ઘટાડવાનો લક્ષ્યાંક
રાજ્યમાં 108 સેવા દ્વારા છેલ્લા બે વર્ષમાં 28,69,115 જેટલા લોકોને મેડીકલ સેવાઓ પુરી પાડેલ છે. જેમાં હવે રાજ્યમાં 542 એમ્બ્યુલન્સોનો ઉમેરો થતાં કુલ 1499 એમ્બ્યુલન્સ મેડિકલ ઇમરજન્સીને વધુ સુદ્રઢ બનાવશે.
હાલમાં રિસ્પોન્સ ટાઈમ રૂરલ એરીયામાં 21.04 મિનીટ અને અર્બનમાં 11.26 મિનીટ છે. જેમાં 542 એમ્બ્યુલન્સ ઉમેરાતા રાજ્યના હાલના સરેરાશ 16.5 મિનીટના રિસ્પોન્સ ટાઈમને ઘટાડી સરેરાશ 10.00 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ સિદ્ધ કરવાનો લક્ષ્યાંક છે.
542 એમ્બ્યુલન્સોની સેવાઓ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હતી જેને 108 મારફત સેવામાં મુકવાથી વાહનનો મહત્તમ ઉપયોગ કરી શકાશે, જેનાથી સામાન્ય કે ગંભીર ઈમરજન્સી તેમજ હોસ્પિટલથી અન્ય હોસ્પિટલ ખાતે દર્દીની રેફરલ સુવિધા બંને પ્રકારની જરૂરિયાતો માટે એમ્બ્યુલન્સ-વાહનો સહેલાઈથી ઉપલબ્ધ થશે.