149મી રથયાત્રામાં શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં નહીં પડે અગવડ, મંદિરનું થઈ રહ્યું છે વિસ્તરણ

અમદાવાદ: જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિર ખાતેથી આજે 148મી રથયાત્રા નીકળી છે. જોકે રથયાત્રા દરમયિાન મંદિર ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમડતું હોય છે. આ ઉપરાંત ભક્તોને ભગવાનના રથના દર્શન કરવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ હવે આવતા વર્ષે 149મી રથયાત્રામાં ભગવાન જગન્નાથના ભક્તોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
જગન્નાથ મંદિરની થશે કાયાપલટ
રથયાત્રા દરમિયાન શ્રદ્ઘાળુઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જગન્નાથ મંદિરની કાયાપલટ કરવામાં આવી રહી છે. મંદિરના મુખ્ય દરવાજાની બહાર 2 હજાર ચોરસ મીટર વિસ્તારમાં જગન્નાથ મંદિર પ્લાઝાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે આવતા વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે. જેથી આ વિસ્તાર વધીને 4 હજાર ચોરસ મીટર થઈ જશે. મંદિરના વિસ્તરણ બાદ 5 હજારથી વધુ શ્રદ્ઘાળુઓ કોઈપણ મુશ્કેલી વગર ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરી શકશે.
રથયાત્રાના રૂટના વિકાસની કામગીરી પૂરજોશમાં
જગન્નાથ મંદિરના વિસ્તરણની કામગીરીની સાથોસાથ હાલ જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધીના માર્ગના વિકાસનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમા રથયાત્રાના રૂટ પર ડેકોરેટિવ સ્ટોનથી ફૂટપાથ બનાવવામાં આવશે તથા જુદી જુદી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રૂ. 20 કરોડનું બજેટ ફાળવાયું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાના રૂટના વિકાસની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
400 વર્ષ કરતાંય વધારે પૌરાણિક જગન્નાથ મંદિર
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ખાતેનું ભગવાન જગન્નાથનું મંદિર 400 વર્ષ કરતાંય વધારે પુરાણું છે. છેલ્લા 148 વર્ષથી અહીંથી રથયાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદમાં પહેલી રથયાત્રાનું મંદિરના મહંત નરસિંહદાસજી મહારાજની પ્રેરણાથી 2 જુલાઈ 1878ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…બોલો શ્રી જય જગન્નાથજી! આ રહી 148મી રથયાત્રાના કાર્યક્રમ અને રૂટની સમગ્ર માહિતી…