સૌર ઉર્જા અને વીજકેબલ પ્રોજે્ક્ટઃ વડા પ્રધાન કચ્છને ઝગમગાવશે

ભુજઃ આગામી ૨૬મી તારીખે કચ્છ પધારનાર સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ સૂકો રણપ્રદેશ સૌર ઊર્જા ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિનો સાક્ષી બનવા જઈ રહ્યો છે.
નરેન્દ્રભાઈના વરદ હસ્તે ભુજથી સૌર ઊર્જાના પ્રકલ્પોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ નવા પ્રકલ્પો પર્યાવરણને અનુકૂળ ઊર્જાના ઉત્પાદન દ્વારા સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય માટેના ભારતના સંકલ્પને પ્રતિબિંબિત કરશે.
વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવનારા પ્રકલ્પોમાં કચ્છ જિલ્લાના બે મુખ્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં ભચાઉના લાકડીયા ખાતે રૂ.૨૦૯ કરોડના ખર્ચે ૩૫ મેગાવોટનો સોલાર પ્રકલ્પ તેમજ નખત્રાણાના મંજલ ખાતે રૂ.૫૯ કરોડના ખર્ચે ૧૦ મેગાવોટનો સોલાર પ્રકલ્પ સામેલ છે.
આપણ વાંચો: આગામી પાંચ-છ વર્ષમાં ભારતમાં ઊર્જા ક્ષેત્રે 67 અબજ ડોલરનું રોકાણ થશે: PM મોદી
આ સોલાર પ્રકલ્પ ખેતી, ગૌચર કે ગામતળ જેવી ફળદ્રુપ જમીનને ઉપયોગમાં લીધા વગર સરકારી જમીન પર વિકસાવવામાં આવ્યા છે, જેનાથી કિંમતી જમીનની બચત થશે સાથે જ વીજળીના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં થતા નુકસાન અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
આ પ્રોજેક્ટથી ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થશે અને તેમને તેમજ અન્ય વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી ઉપલબ્ધ થશે તેમજ પ્રોજેક્ટના દૈનિક સંચાલન અને જાળવણી થકી સ્થાનિક રોજગારીનું સર્જન થશે.
ભાતીગળ પ્રદેશ કચ્છ ઉપરાંત, વડાપ્રધાનના હસ્તે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાંબુડીયા વીડી ખાતે સરકારી ખરાબાની જમીન પર રૂ.૬૯ કરોડના ખર્ચે ૧૧ મેગાવોટનો સોલાર પ્રકલ્પ તેમજ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરઝર ખાતે સરકારી ખરાબાની જમીન પર રૂ.૮૮૭ કરોડના ખર્ચે ૨૧૦ મેગાવોટનો વિશાળ સોલાર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પથી ગુજરાતને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં મદદ કરશે અને વડાપ્રધાનના ’આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આપણ વાંચો: Gujarat રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર, સ્થાપિત ક્ષમતા સાથે દેશમા દ્વિતીય ક્રમે
રૂા.૨૪૭ કરોડના ભૂગર્ભ કેબલ વીજળી વિતરણ પ્રોજેકટનું કરાશે ખાતમુહૂર્ત
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં રૂા.૨૪૭ કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ સમગ્ર માળખાને અંડરગ્રાઉન્ડ કરવાના અત્યંત મહત્વના પ્રકલ્પનું આગામી તા.૨૬મીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે.
ચક્રવાત પ્રતિરોધક ભૂગર્ભ કેબલ વીજળી વિતરણ પ્રોજેકટના અમલીકરણથી ગાંધીધામ શહેરના ૫૩ હજાર વીજગ્રાહકો તથા ઉદ્યોગોને સીધો લાભ થશે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ૧૧ કે.વી. ફીડર, એલ.ટી. લાઇન અને સર્વિસ વાયરિંગમાંથી સમગ્ર ઓવરહેડ વીજળી વિતરણ માળખાને ચક્રવાત-પ્રરોધક ભૂગર્ભ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે.
આપણ વાંચો: વડા પ્રધાનની કુવૈત મુલાકાત ઊર્જા સહિતના ક્ષેત્રો માટે મહત્વની
આ પ્રોજેકટમાં કુલ ૬૫ ચોરસ કિ.મી. વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. તેમજ આ નેટવર્કમાં ૧ હજાર રિંગ મેઇન યુનિટ્સ એટલે કે એક્સચેન્જ સ્થાપિત કરવામાં આવશે તેમજ ૨૩ ફીડરને ભૂગર્ભ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે.
સાથે જ ૧૫૬ કિલોમીટર હાઇ-ટેન્શન તથા ૨૨૩ કિલોમીટર લો-ટેન્શન ઓવરહેડ લાઇનને ભૂગર્ભમાં રૂપાંતરિત કરવામાં આવશે. ૫૩,૦૦૦ ગ્રાહકો માટે ૧,૦૦૦ કિલોમીટરના સર્વિસ વાયરને ભૂગર્ભમાં રૂપાંતરિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં.સૌ પ્રથમ વખત ગાંધીધામ ખાતેથી આ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સંપૂર્ણ ઓવરહેડ-ટુ-અંડરગ્રાઉન્ડ રૂપાંતર પ્રોજેકટનો અમલ કરવામા આવનાર છે. જેનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક નગરી ગાંધીધામ શહેરને ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવાનો છે.
આ પ્રોજેકટ આકાર લીધા બાદ ચક્રવાત પ્રુફ્ર નેટવર્ક, સલામત વીજળી નેટવર્કના લાભ સાથે ફોલ્ટ થવા પર તાત્કાલિક એક સ્ત્રોતથી બીજા સ્ત્રોતમાં વીજ સપ્લાય બદલવાની સુવિધા ઉપલબ્ધ થશે. જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ વીજપુરવઠો જળવાઇ રહેશે.