સૌરાષ્ટ્ર પછી કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો ક્યાં આવ્યો?

ભુજ: ભૂકંપ ઝોન-5માં સમાવાયેલા કચ્છમાં વિનાશક ધરતીકંપ આવ્યાના 24 વર્ષે પણ ભૂગર્ભીય સળવળાટ સતત જારી રહ્યો છે. 2001માં આવેલો ભૂકંપ સૌને યાદ છે. આ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આચકા અનુભવાતા રહે છે. ત્યારે આજે પણ ભચાઉ પાસે ભૂકંપનો આચકો અનુભવાયો હતો.
3.2ની તીવ્રતાના ભૂકંપનો આંચકો
વરસાદી માહોલ વચ્ચે બુધવારના વહેલી સવારે 6.50 મિનિટે કચ્છની અશાંત ધરા વધુ એકવાર ધ્રુજી હતી. વાગડ ફોલ્ટલાઇનમાં ઉદભવેલા 3.2ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીએ ભૂકંપના આચકાની પુષ્ટી કરી હતી.
ભચાઉથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
મધ્યમ કક્ષાના કંપન અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના જણાવ્યાનુસાર, ભચાઉથી 13 કિલોમીટર દૂર જડસા ગામ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો 3.2ની તીવ્રતાનો આ આંચકો રિક્ટર સ્કેલ પર અંકિત થયો હતો. આંચકાની અનુભૂતિ કેન્દ્રબિંદુ આસપાસના સીમાવર્તી વિસ્તારમાં અનુભવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 23 જૂનની રાત્રે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં 2.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આચંકાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, સદીઓથી કચ્છની અશાંત રહેલી ભૂમિને સતત ધ્રુજાવી રહેલા ધરતીકંપના આંચકાઓના કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટલાઇનની આસપાસના જ રહ્યા છે. જેમાં ભચાઉ, ફતેહગઢ, રાપર, કરમરીયા અને પ્રાચીન નગર ધોળાવીરાનો સમાવેશ થાય છે.