એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : ભાજપની નેતાગીરીને હિંદીનું વળગણ કેમ છે ?

-ભરત ભારદ્વાજ

મહારાષ્ટ્રમાં હિંદી ભાષા લાદવાના મુદ્દે પાછી બબાલ શરૂ થઈ છે અને રાજકીય પક્ષો પટ્ટાબાજી પર ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ એક થી ધોરણ પાંચના વિદ્યાર્થીઓને હિન્દી ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે એવો આદેશ આપ્યો તેમાંથી કમઠાણ શરૂ થયું. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે તો તેની સામે મેદાનમાં આવ્યા જ પણ સરકારમાં ભાગીદાર એવા અજિત પવારે પણ તેનો વિરોધ કરી નાંખ્યો.

પવારના કહેવા પ્રમાણે, ધોરણ એક થી ધોરણ ચાર સુધી હિન્દી ભાષા ના શીખવવી જોઈએ અને હિંદીનું શિક્ષણ ધોરણ પાંચથી અપાવું જોઈએ. ભાજપના કેટલાક નેતાઓએ પણ ફરજિયાત હિંદી સામે વાંધો લીધો પછી સરકારે સ્પષ્ટતા કરવી પડી કે, હિન્દી ભાષા શીખવી ફરજિયાત નથી પણ કોઈ શાળા હિન્દી સિવાય બીજી ભાષા શીખવવા માગતી હોય તો દરેક વર્ગમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓની સંમતિ જરૂરી રહેશે.

આ આદેશ પછી ભાષાનો વિવાદ ઉકેલાય તો સારું કેમ કે આપણે ત્યાં છેલ્લાં કેટલાંક વરસોથી છાસવારે ભાષાની મોંકાણ મંડાઈ જાય છે ને તેનું કારણ ભાજપની નેતાગીરીનું આખા દેશને હિંદી શીખવી દેવાનું ઝનૂન છે. આ ઝનૂનના કારણે ભાજપના નેતાઓને એ પણ ભાન રહેતું નથી કે, પોતે કહેલી વાતનો જ છેદ ઉડાવી દે છે. ભાજપના નેતા વિદ્યાર્થીઓને માતૃભાષામાં શિક્ષણ આપવાની વાતો જોરશોરથી કરે છે.

હવે મહારાષ્ટ્રમાં હિંદી ત્રીજી ભાષા બને તો ગુજરાતીભાષીઓનાં છોકરાંની માતૃભાષાનું શું ? તેમણે ગુજરાતીને બાજુ પર મૂકીને હિંદી શીખવાની ? BJPvsLangsકે બીજે રહેતાં મરાઠીભાષીઓનાં છોકરાંની માતૃભાષાનું શું ? આ સમસ્યા દરેક ભાષા માટે સર્જાય ને હિંદી શીખવાની લહાયમાં માતૃભાષા કોરાણે મુકાઈ જાય.

ભાજપની નેતાગીરીને હિંદીનું આટલું વળગણ કદાચ એટલા માટે છે કે, ભાજપના મોટા ભાગના ટોચના નેતા સારું અંગ્રેજી જાણતા નથી પણ અંગ્રેજીને અવગણી શકાય તેમ નથી. ભાજપના ગણ્યાગાંઠ્યા નેતા સારું અંગ્રેજી બોલી શકે છે, બાકી મોટા ભાગનાને તો અંગ્રેજીમાં જવાબ આપવો પડે તો પણ ફાંફાં પડી જાય એવી હાલત છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : મોદી વિરોધી રોડ શો, કેનેડા હવે ભારતનું મિત્ર ના બની શકે…

સરકારી કામકાજમાં તો અધિકારીઓના ભરોસે ગાડું ગબડી જાય પણ જાહેરમાં અંગ્રેજી બોલવાનું આવે ત્યારે અધિકારી મદદે ના આવી શકે. તેની સામે હિંદીમાં ગમેતે ઠોકાઠોક કરી દો તો ચાલે તેથી અંગ્રેજીના બદલે હિંદી તેમને વધારે ગમતી હશે.
ભાજપનો પ્રભાવ હિન્દી પટ્ટામાં એટલે કે ઉત્તર અને મધ્ય ભારતમાં વધારે છે તેથી હિંદીની વકીલાત કરવામાં રાજકીય ફાયદો પણ છે તેથી પણ ભાજપના નેતા હિંદીની રેકર્ડ વગાડ્યા કરે છે પણ હિંદી આખા દેશનાં લોકોને આવડતી કે સ્વીકૃત ભાષા નથી એ સ્વીકારવું પડે. હિંદી શીખવાથી કોઈ મોટો ફાયદો નથી એ પણ વાસ્તવિકતા છે. ભાજપની નેતાગીરીને આ વાસ્તવિકતા સ્વીકારવા માં નાનમ આવે છે તેથી છાસવારે હિંદીનું વાજું વગાડવા બેસી જાય છે.

હિંદીની તરફેણ કરવા માટે ભાજપના કેટલાક અબૂધ નેતાઓ એવી દલીલ કરે છે કે ચીન, જાપાન, રશિયા, ફ્રાન્સ, જર્મન વગેરે દેશો અંગ્રેજી જાણતા નથી ને પોતપોતાની જ ભાષામાં જ કોમ્યુનિકેશન કરે છે છતાં દુનિયામાં તેમના ડંકા વાગે જ છે ને? વાત સાચી છે પણ તેના કરતાં વધારે સાચી વાત એ છે કે, ભારત કોઈ રીતે ચીન, રશિયા, જાપાન, જર્મની કે ફ્રાન્સની સમકક્ષ નથી.

ચીન, જાપાન, ફ્રાન્સ, જર્મની ને દુનિયાના બીજા કેટલાક દેશો પાસે પોતાનું જ્ઞાન છે, સાયન્સ અને ટેકનોલોજીમાં અવ્વલ આ દેશો સતત એવી શોધો કર્યા કરે છે કે જેની દુનિયાને ગરજ છે તેથી જખ મારીને આ દેશોનો માતૃભાષા માટેનો પ્રેમ ચલાવી લેવો પડે છે, છૂટકો જ નથી.

ભારતના નામે સાયન્સ અને ટેકનોલોજીમાં જે સિદ્ધિઓ છે એ બધી ઉધારિયા છે. આપણી તમામ સિદ્ધિઓ વિદેશમાં થયેલાં સંશોધનોના આધારે છે ને તેનો આધાર અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે. આપણા સંશોધકો, વિજ્ઞાનીઓએ વિદેશમાં થયેલી શોધો અને સંશોધનો અંગેનું જ્ઞાન અંગ્રેજી ભાષામાં મેળવીને આ દેશને તાકાતવર બનાવ્યો છે તેથી ખરેખર તો હિંદી નહીં પણ અંગ્રેજી પહેલા ધોરણથી ફરજિયાત હોવી જોઈએ.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ઈઝરાયલ-ઈરાન યુદ્ધ લાંબું ચાલે તો હાલત બગડી જાય

અંગ્રેજી વૈશ્વિક ભાષા છે અને જ્ઞાનની ભાષા છે. દુનિયાનું બધું જ્ઞાન અંગ્રેજીમાં જ છે એવું નથી પણ અંગ્રેજીનો વ્યાપ બહુ મોટો છે અને તેમનામાં જ્ઞાન પ્રત્યે સભાનતા પણ છે તેથી નવું કંઈ પણ થાય કે તરત અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ થઈ જ જાય છે. અંગ્રેજી વૈશ્વિક સ્તરે બિઝનેસની પણ ભાષા છે કેમ કે અમેરિકા આજેય બિઝનેસમાં દુનિયામાં સૌથી મોટો દેશ છે.
ભારત પાસે સાયન્સ અને ટેકનોલોજીનું જ્ઞાન નથી પણ બીજું ઘણું જ્ઞાન છે. આધ્યાત્મિકતા, આરોગ્ય, સામાજિક જીવન વિશે ભારત પાસે મોટો ખજાનો છે પણ એ ખજાનો સંસ્કૃતમાં છે, હિન્દીમાં નથી.

ભારતે પોતે પોતાની ભાવિ પેઢીને આ ખજાનાનું મહત્ત્વ સમજે ને દુનિયા સુધી એ પહોંચે એવું ઈચ્છતો હોય તો ભાવિ પેઢીને સંસ્કૃત શીખવવું જોઈએ અને અંગ્રેજી સહિતની વિદેશી ભાષાઓ શીખવવી જોઈએ કે જેથી દુનિયાને તેનો લાભ આપી શકાય ને ભારત પણ તેનો લાભ મેળવી શકે. ભારતના આયંગર કે મહેશ યોગી જેવા યોગાચાર્યો યોગનો પ્રચાર કરી શક્યા કે જિદ્દુ કૃષ્ણમૂર્તિ કે ઓશો રજનીશ જેવા લોકો ભારતીય જીવનદર્શનને દુનિયા સુધી પહોંચાડી શક્યા તેનું કારણ સંસ્કૃત અને અંગ્રેજીનું જ્ઞાન હતું.

બીજી એક વાત પણ વિચારવાની જરૂર છે. ભારતમાં એક વર્ગ અંગ્રેજીમાં શિક્ષણ આપવાની વ્યવસ્થાને અંગ્રેજોની દેન ગણાવીને ગાળો આપે છે. લોર્ડ મેકોલેએ અંગ્રેજ સરકારનો વહીવટ ચાલે એ માટે કારકુનો પેદા કરવા બનાવેલી શિક્ષણ પદ્ધતિ ગણાવીને તેને ફગાવી દેવાની વાતો કરે છે. સવાલ એ છે કે, અંગ્રેજી શીખીને કારકુનો બનતા હોય તો હિંદી શીખીને ક્યા પંડિત પેદા થઈ જવાના છે? હિંદી પણ કારકુનો જ પેદા કરે છે ને ભરોસો ના બેસતો હોય તો ભારતમાં સાયન્સ અને ટેકનોલોજીનો કે ઔદ્યોગિક વિકાસ ક્યાં વધારે થયો છે તેનો ઈતિહાસ જાણી લો. ગુજરાત, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારતનાં રાજ્યો, બંગાળ વગેરે તેમાં આગળ છે, હિંદીભાષી રાજ્યો નહીં.

ભારતમાં જ્ઞાનની ભાષા હિંદી નહીં પણ સંસ્કૃત છે તેથી ભાજપની નેતાગીરીને ભારતીયતાની ચિંતા હોય તો તેમણે સંસ્કૃતને જીવંત કરવી જોઈએ. ભારતીય જ્ઞાન સંસ્કૃત, માગધી, પાલી સહિતની બીજી પ્રાચીન ભાષાઓમાં પણ પડ્યું છે. આ ભાષાઓને જીવંત રખાશે, નવી પેઢીને શીખવાડાશે તો ભારતીય વારસો જળવાશે. હિંદી તો બોલચાલની ભાષા છે તેથી એ જીવતી રહેવાની જ છે પણ ખતરો સંસ્કૃત સહિતની ભાષાઓ સામે છે પણ ભાજપની નેતાગીરીને તેની ચિંતા નથી.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ડૉ. માધવી લતાની પરિપક્વતાને સલામ કરવી જોઈએ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button