એકસ્ટ્રા અફેર: અમેરિકા સાથે ચર્ચા ચાલુ હોય તો ડેલિગેશન કેમ ના આવ્યું?

- ભરત ભારદ્વાજ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે લાદેલા કમરતોડ ટૅરિફની કોઈ અસર ભારત પર નહીં થાય એવા સરકારી દાવા વચ્ચે પહેલી અસર વર્તાઈ છે અને ભારતે અમેરિકા સાથેની ટપાલ સેવા બંધ કરવી પડી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 30 જુલાઈ, 2025ના રોજ એક ફતવો બહાર પાડીને અમેરિકામાં પોસ્ટલ સર્વિસ દ્વારા મોકલવામાં આવતા માલસામાન પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવાનું એલાન કરેલું.
પહેલાં પોસ્ટલ સર્વિસ દ્વારા અમેરિકા મોકલાતા 800 ડૉલર એટલે કે લગભગ 70 હજાર રૂપિયા સુધીના માલ પર કોઈ ટૅરિફ નહોતો લાગતો પણ ટ્રમ્પના નવા ફતવા પ્રમાણે, 29 ઑગસ્ટથી ફક્ત 100 ડૉલર એટલે કે લગભગ રૂપિયા 8700 સુધીના માલ-સામાનને જ ટૅરિફમાંથી મુક્તિ મળશે જ્યારે બાકીના માલ-સામાન પર 50 ટકા ટૅરિફ લાગુ પડશે. ટ્રમ્પના ફતવાના કારણે 25 ઓગસ્ટ, 2025થી કાગળ અને દસ્તાવેજો સહિતની તમામ પ્રકારની પોસ્ટલ વસ્તુઓનું બુકિગ બંધ કરી દેવાયું છે.
પોસ્ટલ સર્વિસ મારફતે સામાન્ય રીતે પત્રો, દસ્તાવેજો, ગિફ્ટ આર્ટિક્લ વગેરે મોકલાતા હોય છે. તહેવારો વખતે મીઠાઈનાં બોક્સ, ગિફ્ટ વગેરે પોસ્ટલ સર્વિસ મારફતે મોકલીને અમેરિકામાં રહેતાં સ્વજનો કે મિત્રોને શુભેચ્છા પાઠવી શકાતી હતી. ગુજરાતીઓ તો અથાણાં, ખાખરા સહિતના નાસ્તા પોસ્ટ સર્વિસ મારફતે મોકલતા અને તેનો સારો એવો વ્યાપાર થતો હતો પણ હવે એ બધું નહીં મોકલી શકાય. મહત્તમ 100 ડૉલરની વસ્તુ મોકલી શકાય ને તેના પર પણ સામાન્ય પોસ્ટલ ચાર્જ તો લાગવાનો તેથી ઘાટ કરતાં ઘડામણ વધી જાય એવું થઈ ગયું. આ કારણે હવે એકદમ જરૂરી કાગળો કે દસ્તાવેજો સિવાયનું બીજું કશું મોકલી નહીં શકાય.
ભારતની સાથે સાથે ઘણા યુરોપિયન દેશોએ પણ અમેરિકા સાથેની ટપાલ સેવાઓ સ્થગિત કરી દીધી છે. ઇટાલી, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ઑસ્ટ્રિયા સહિતના ઘણા દેશોએ ટપાલ સેવા સ્થગિત કરી કેમ કે ડોનલ્ડ ટ્રમ્પના નવા ટૅરિફ નિયમો હેઠળ યુરોપથી પોસ્ટલ સર્વિસ મારફતે આવતી ચીજો પર પણ ટૅરિફ લાદી દેવાઈ છે. ટ્રમ્પે એલાન તો કરી દીધું પણ નવા નિયમો અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી તેથી યુરોપિયન યુનિયનના પોસ્ટલ સંગઠન પોસ્ટ યુરોપ અને અન્ય પોસ્ટલ વિભાગોએ પોસ્ટ દ્વારા સામાન મોકલવાની સેવાઓ હાલ પૂરતી બંધ કરી છે.
જો કે યુરોપથી જતી ચીજો પર 10 ટકા ટેરિફ છે અને ટ્રમ્પ ગુલાંટ લગાવીને ગમે ત્યારે એ ફતવો પાછો પણ ખેંચી શકે છે તેથી યુરોપ અને અમેરિકાની પોસ્ટલ સેવા પાછી ચાલુ થવાની પૂરી શક્યતા છે પણ ભારત પર 50 ટકા ટૅરિફ છે. આ ટૅરિફનું કોકડું ઉકેલાય નહીં ત્યાં લગી પોસ્ટલ સેવાનું કોકડું પણ નહીં ઉકેલાય એટલે નજીકના ભવિષ્યમાં પોસ્ટલ સેવા ફરી શરૂ થાય એવી આશા રાખવા જેવી નથી. અમેરિકામાં ટેરિફ લાગુ કરવાની અને વસૂલવાની પ્રક્રિયા સ્પષ્ટ નથી તેથી એ સ્પષ્ટતા થાય પછી જ બધું સામાન્ય થાય પણ ટ્રમ્પનો ચડેલો તોબરો જોતાં હમણાં કશું સામાન્ય થાય એવી શક્યતા નથી.
કમનસીબી એ છે કે, અમેરિકા આપણી મેથી માર્યા કરે છે ત્યારે આપણી સરકાર હજુય ઓલ ઈઝ વેલની ઘટંડી વગાડ્યા કરે છે. વધારે આઘાતજનત વાત એ કહેવાય કે, સરકાર લોકોને ઉલ્લુ બનાવવા માટે જૂઠાણાં પણ ચલાવી રહી છે. આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે હમણાં જ ડંફાસ મારી છે કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સાવ સામાન્ય છે અને બંને વચ્ચે કોઈ ઝઘડો નથી.
જયશંકરે એવો દાવો પણ કર્યો કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર અંગે હજુ પણ વાતચીત ચાલી રહી છે. વાસ્તવમાં ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે જ કહી દીધેલું કે, હવે ભારત સાથે ટે્રડ ડીલ કરવા માટે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે. અમેરિકાનું ટે્રડ ડેલીગેશન 25 ઑગસ્ટે ભારત આવવાનું હતું, પણ અમેરિકાએ આ મુલાકાત રદ કરી દીધી છે. આ ટે્રડ ડેલીગેશન 29 ઑગસ્ટ સુધી એટલે કે 5 દિવસ ભારતમાં રહેવાનું હતું, પણ ટ્રમ્પનું ફટક્યું તેમાં આખો કાર્યક્રમ અભરાઈ પર ચડી ગયો છતાં જયશંકર એવી વાતો કર્યા કરે છે કે, અમેરિકા સાથે વ્યાપાર અંગે ચર્ચા ચાલુ છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: સાંસદો પાસેથી વસૂલાતની વાત સાચી પણ અમલ કરે કોણ?
મોદી સરકારના જ વ્યાપાર મંત્રી પીયૂષ ગોયલે જયશંકરના જૂઠાણાના એક દિવસ પહેલાં જ કહેલું કે, ભારતે અમેરિકાનો વ્યાપાર અંગે ચર્ચા કરવા સંપર્ક કર્યો છે અને ભારત-અમેરિકા વચ્ચેના વ્યાપારને લગતા મુદ્દાઓનો બહુ સાવચેતીપૂર્વક ઉકેલ લાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. ગોયલે ક્યાંય એવું નહોતું કહ્યું કે, અમેરિકા સાથે ચર્ચા ચાલુ છે જ્યારે જયશંકર છડેચોક જૂઠું બોલી રહ્યા છે.
જયશંકર સહિતના મંત્રીઓ બીજી પણ એક રેકર્ડ વગાડ્યા કરે છે કે, ભારત પોતાના ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના હિતોના ભોગે કશું નહીં કરે. અમેરિકા ભારતનું બજાર પોતાનાં કૃષિ ઉત્પાદનો અને ડરી પ્રોડક્ટ્સ માટે ખોલી દેવાય અને આ ઉત્પાદનો પર કોઈ ટૅરિફ ના લાગે અથવા બહુ સામાન્ય ટેરિફ લાગે એવું ઈચ્છે છે પણ ભારત તેના માટે તૈયાર નથી.
અમેરિકાનાં કૃષિ ઉત્પાદનો અને ડેરી પ્રોડક્ટ્સ માટે ભારતનું બજાર ખોલી દેવાય તો ભારતના પશુપાલકો અને ખેડૂતોએ રાતા પાણીએ રોવું પડે તેથી આ મુદ્દે કોઈ સમાધાન ના થઈ શકે. મોદી સરકાર પશુપાલકો અને ખેડૂતોનાં હિતોના મુદ્દે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી એ સારું કહેવાય. મોદી સરકારના આ મક્કમ વલણની ચોક્કસ સરાહના કરવી જોઈએ પણ પશુપાલકો અને ખેડૂતો સિવાયનાં બીજાં લોકોનાં હિતોનું શું ?
ભારતથી અમેરિકા મોકલવામાં આવતા માલ પર 7 ઑગસ્ટથી 25 ટકા ટૅરિફ લાદવામાં આવ્યો તેના કારણે હજાર નિકાસકારોને અસર થઈ છે. 27 ઑગસ્ટથી વધારાનો 25 ટકા ટૅરિફ લાદવામાં આવશે તેથી બીજા હજારો નિકાસકારોને અસર થશે. પહેલાં ભારતીય માલ પર લગભગ દસ ટકા ટૅરિફ લાગતો હતો પણ નવા ટૅરિફને કારણે અમેરિકન બજારમાં ભારતીય માલ મોંઘો થશે તેથી ભારતીય માલને કોઈ હાથ પણ નહીં લગાડે.
ગ્લોબલ ટે્રડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના કહેવા પ્રમાણે, ટ્રમ્પના ટૅરિફને કારણે યુએસમાં ભારતની નિકાસ 50 ટકા સુધી ઘટી શકે છે. આ ઘટેલી નિકાસના કારણે જેમને ફટકો પડવાનો છે તેમનાં હિતો વિશે પણ સરકારે વિચારવું જોઈએ કે નહીં ? આ નિકાસને બીજા ક્યા દેશો તરફ વાળી શકાય એ વિશે મોદી સરકારના મંત્રીઓ કશું બોલતા નથી કેમ કે તેમની પાસે કોઈ આયોજન નથી તેથી ચર્ચા ચાલુ છે એવાં ઉઠાં ભણાવવાં પડે છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર -વિપક્ષોને ભ્રષ્ટ મંત્રી-મુખ્યમંત્રીઓને દૂર કરવા સામે વાંધો કેમ?