એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : મોદી વિરોધી રોડ શો, કેનેડા હવે ભારતનું મિત્ર ના બની શકે…

-ભરત ભારદ્વાજ

કેનેડામાં જસ્ટિન ટ્રુડોના સ્થાને માર્ક કાર્ની વડા પ્રધાન બનતાં સત્તા પરિવર્તન ભલે થયું પણ ભારત વિરોધી ખાલિસ્તાનવાદીઓને રોકવામાં નવી સરકારને પણ કોઈ રસ નથી તેનો પરચો ફરી એક વાર ભારતને મળી ગયો. સોમવારથી કેનેડાના કનાનાસ્કિસમાં વિશ્વના સૌથી ધનિક દેશોના બનેલા ગ્રુપ ઓફ સેવન એટલે કે G-7નું બે દિવસીય સમિટ શરૂ થઈ છે.

ભારત G-7નું સભ્ય નથી પણ વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તાઓમાંથી એક હોવાથી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ G-7 સમિટમાં હાજરી આપવા નિમંત્રણ મળ્યું છે. મોદી સોમવારે કેનેડા પહોંચ્યા એ પહેલાં ખાલિસ્તાનવાદી સંગઠનના સમર્થકોએ એક જબરદસ્ત રોડ શો કરીને મોદી વિરોધી દેખાવો કર્યા અને ભારત વિરોધી ઝેર ઓક્યું તેના પરથી સ્પષ્ટ થઈ ગયું કે, કેનેડામાં સરકાર કોઈની પણ હોય, ખાલિસ્તાનવાદીઓને રોકવામાં કોઈને રસ નથી અને કેનેડા ફરી ભારતનું મિત્ર બની શકે તેમ નથી.

કેનેડાના કેલગરી પ્રાંતમાં ગુરુદ્વારા દશમેશથી શરૂ થયેલા 200 કરતાં વધારે કાર-ટ્રક સાથેના રોડ શોમાં ખાલિસ્તાનવાદીઓએ નરેન્દ્ર મોદીની કેનેડાની મુલાકાત અને G-7 સમિટમાં મોદીને નિમંત્રણનો વિરોધ કરીને મોદી અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. મોદીને કેનેડાના દુશ્મન ગણાવીને ખાલિસ્તાનવાદીઓએ ધમકી પણ આપી કે, મોદીને ખતમ કરી દેવાશે. આ રોડ શોના આયોજન ખાલિસ્તાનના સમર્થક મનજિંદર સિંહે ફિશિયારી મારી કે, અમે મોદીના રાજકારણને ખતમ કરવા માટે અહીં ભેગા થયા છીએ અને અમે કેનેડાને સુરક્ષિત બનાવવા માગીએ છીએ.

ખાલિસ્તાનવાદીઓએ ભારતીય હિન્દુઓને ગાળાગાળી કરીને એવું કહ્યું કે, મોદી કેનેડામાં રહેશે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે. રોડ શો દરમિયાન ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા અને મોદીનું પૂતળું રસ્તા પર લઈ જઈ હાથકડી પણ પહેરાવવામાં આવી. મોદી સરકાર કેનેડામાં ખાલિસ્તાનની માગણી કરી રહેલા લોકોની હત્યાઓ કરાવી રહી હોવાના આક્ષેપો પણ કરાયા.

ખાલિસ્તાનવાદીઓના આ ઉધામા એ વાતનો પુરાવો છે કે, માર્ક કાર્ની કેનેડાના વડા પ્રધાન બન્યા પછી પણ ખાલિસ્તાનવાદીઓ ફાટીને ધુમાડે ગયેલા જ છે અને કાર્નીની સરકારને તેમને રોકવામાં કોઈ રસ નથી. જસ્ટિન ટ્રુડોના સમયમાં ભારત-કેનેડા સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી અને તેનું કારણ ટ્રુડોનું ખાલિસ્તાનવાદીઓ તરફ નરમ વલણ હતું. જાન્યુઆરી 2025માં જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ 14 માર્ચે માર્ક કાર્ની કેનેડાના નવા વડા પ્રધાન બન્યા અને પછી ચૂંટણી યોજીને તેમણે ફરી સત્તા હાંસલ કરી છે.

કાર્નીએ વડા પ્રધાનપદે બેઠા પછી ભારત સાથેના સંબધો સુધારવાની મોટી મોટી વાતો કરેલી પણ મોદી વિરોધી રોડ શો એ વાતનો પુરાવો છે કે, કાર્ની ખાલી વાતો કરે છે, બાકી તેમને ભારત સાથેના સંબંધો સુધારવામાં કોઈ રસ નથી. રસ હોય તો આ રીતે પોતાની ધરતીનો ઉપયોગ ભારતના વડા પ્રધાન સામે ઝેર ઓકવા માટે કરવા દે ખરા ?

G-7 દુનિયાના સૌથી ધનિક દેશોનું બનેલું સંગઠન છે તેથી આ સંગઠનના સમિટમાં શું બને છે તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી હોય છે. એ જ વખતે ખાલિસ્તાનવાદીઓ મોદીવિરોધી રોડ શો કરે તેથી રોડ શોને આખી દુનિયામાં પબ્લિસિટી મળે એ કહેવાની જરૂર નથી. આ વાત કાર્ની સરકારમાં બેઠેલા લોકોને ના સમજાય એટલા નાદાન એ નથી જ ને છતાં કાર્ની સરકાર તેમને રોકે નહીં તેનો સીધો મતલબ એ થયો કે, ખાલિસ્તાનવાદીઓને કેનેડા સરકારનું પીઠબળ છે અને તેમની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરાય છે.

કેનેડાની સરકાર ખાલિસ્તાનવાદીઓને કેમ છાવરે છે એ ઓપન સિક્રેટ છે. કેનેડાની સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ કોમન્સની 2025ની ચૂંટણીમાં શીખ મતદારોએ કાર્નીની લિબરલ પાર્ટીને ખોબેખોબે મત આપ્યા છે. કેનેડાની 3.70 કરોડની વસતીમાં 16 લાખ એટલે કે લગભગ ચાર ટકા ભારતીય મૂળનાં લોકો છે અને તેમાંથી અડધા એટલે કે 7.70 લાખ શીખ છે.

કેનેડાના 343 સાંસદોમાંથી 22 શીખ છે અને તેમાંથી 12 લિબરલ પાર્ટીના છે. અત્યાર લગી બહુમતી શીખ મતો જગમતસિંહની ન્યુ ડેમોક્રેટિક પાર્ટીને મળતા હતા પણ ટ્રુડોએ ખાલિસ્તાનવાદીઓની ભક્તિ કરી તેમાં શીખ મતદારો લિબરલ પાર્ટી તરફ વળ્યા. તેના કારણે ન્યુ ડેમોક્રેટિક પાર્ટી ધોવાઈ ગઈ ને ફાયદો કાર્નીની લિબરલ પાર્ટીને થયો. ટ્રુડોના સમયમાં લિબરલ પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી નહોતી અને સત્તા ટકાવવા માટે બીજી પાર્ટીઓ પર નિર્ભર હતી. કાર્નીને સ્પષ્ટ બહુમતીમાં માત્ર 3 જ ઓછી બેઠકો મળી તેથી ટ્રુડો કરતાં કાર્ની વધારે મજબૂત સ્થિતિમાં છે. તેનો યશ શીખોને જાય છે તેથી કાર્ની શીખો પર ઓળઘોળ છે.

કેનેડામાં અત્યારે 22 પંજાબી મૂળના સાંસદ છે જ અને બીજી 15 બેઠકો એવી છે કે જ્યાં કોણ જીતશે એ શીખ મતદારો નક્કી કરે છે. કેનેડાની સંસદની 35 એટલે કે 10 ટકા બેઠકો પર શીખોનો પ્રભાવ હોવાથી કોઈ પણ રાજકીય પક્ષ શીખ સમુદાયને નારાજ કરવા માગતો નથી. ટ્રુડોની પાર્ટી તો તેમના પિતાના સમયથી શીખોની પ્રિય હતી તેથી ટ્રુડો ભારતને નારાજ કરીને પણ શીખોને રાજી રાખવા મથ્યા કરતા હતા.

કાર્નીએ પણ એ જ પરંપરા જાળવી છે તેથી કેનેડાની ધરતી પર વિદેશી મહેમાન સામે રોડ શો થાય તેના કારણે કેનેડાની આબરૂનો ધજાગરો થઈ જાય તેની તેમને પરવા નથી. શીખ મતદારો નારાજ ના થવા જોઈએ. રાજકારણીઓ પોતાના સ્વાર્થને સાચવવા જ વર્તતા હોય છે ને કાર્ની પણ અંતે રાજકારણી જ છે તેથી તેમની માનસિકતા અલગ હોય એવી આશા ના રાખી શકાય.

મોદીવિરોધી રોડ શો પછી ભારત સરકાર અને ભારતીયો બંનેએ કેનેડા વિશે વિચારવું જોઈએ. કેનેડામાં રહેતા બધા શીખો ખાલિસ્તાનવાદી નથી કે ભારત વિરોધી પણ નથી પણ ન્યુસન્સ ફેલાવવા માટે બહુમતીની જરૂર નથી હોતી. સો માણસોમાંથી 10 માણસો જ ગુંડાગીરી કરીને બાકીનાં 90 લોકોને પોતાના ઈશારે વર્તવા માટે ફરજ પાડી શકે છે, તેમને દબાવી શકે છે. ખાલિસ્તાનવાદીઓ આ ગુંડા છે તેથી શીખો સામે કોઈ ખાર રાખવાની જરૂર નથી પણ એ પણ સમજી લેવાની જરૂર છે કે, કેનેડામાં બીજા ભારતીયો માટે સાનુકૂળ માહોલ નથી. ખાલિસ્તાનવાદીઓ જાણી જોઈને હિંદુ વિરોધી માહોલ પેદા કરી રહ્યા છે તેથી હિંદુઓ માટે સલામતી પણ નથી. ભવિષ્યમાં સ્થિતિ વણસવાની છે કેમ કે શીખો બહુમતીમાં છે એ જોતાં કેનેડા સેટલ થવાનું નક્કી કરતાં પહેલાં સો વાર વિચારજો.

આપણ વાંચો : કૅનેડા આતંકવાદને પોષે છે ને આપણે ચૂપ કેમ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button