ઠગ લાઈફ ફિલ્મને કર્ણાટકમાં રિલીઝ કરવાનો માર્ગ મોકળો, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
કોઈ ફિલ્મને સીબીએફસીએ સર્ટિફિકેટ આપ્યા પછી પ્રદર્શિત કરતા કોઈ રોકી શકે નહીં

નવી દિલ્હી: 5 જૂનના રોજ કમલ હસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. પરંતુ કન્નડ ભાષાના વિવાદિત નિવેદનના કારણે કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સના નિર્ણયને કારણે ફિલ્મ કર્ણાટકમાં રિલીઝ થવા દેખાવામાં આવી ન હતી. આ બાબતને લઈને કર્ણાટકની વડી અદાલતે કમલ હસનને પોતાના નિવેદન અંગે માફી માગવા કહ્યું હતું. જેને લઈને મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો અને આજે સર્વોચ્ચ અદાલતે ફિલ્મ ‘ઠગ લાઈફ’ને કર્ણાટકમાં રિલીઝ કરવાનો આદેશ આપ્યો છે.
‘ઠગ લાઈફ’ ફિલ્મ કર્ણાટકમાં રિલીઝ કરવાનો આદેશ
‘ઠગ લાઈફ’ ફિલ્મની રીલિઝને મંજૂરી આપવા માટે મહેશ રેડ્ડી દ્વારા એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. જેમા પર આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાન અને મનમોહનની ખંડપીઠે સુનાવણી કરી હતી. ખંડપીઠે ફિલ્મ રિલીઝના “ન્યાયિક પ્રતિબંધ” અંગે ચિંતા કરતા જણાવ્યું હતું કે, “કાયદા પ્રમાણે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનું પ્રમાણપત્ર ધરાવતી કોઈપણ ફિલ્મ રિલીઝ થવી જોઈએ અને તે રિલીઝ થાય એને રાજ્યએ સુનિશ્ચિત કરવું જોઈએ.” સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને રાજ્યમાં ફિલ્મની રિલીઝ અંગે માહિતી આપવા માટે એક દિવસનો સમય આપ્યો છે.
કમલ હસનના નિવેદન અંગે બુદ્ધિજીવીઓએ ચર્ચા કરવી જોઈએ
ખંડપીઠે ફિલ્મ રિલીઝનો આદેશ આપવાની સાથોસાથ કર્ણાટક સરકારની ઝાટકણી કાઢી હતી. ખંડપીઠે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, ફિલ્મ રિલીઝ પર કોઈપણ પ્રકારનો સ્ટે નથી. જો ફિલ્મ રિલીઝ થાય છે, તો રાજ્ય સરકારે તેને સંપૂર્ણ સિક્યોરિટી આપવી પડશે. સરકાર ટોળા અને ગૌરક્ષકોને રસ્તાઓ પર કબજો કરવાની મંજૂરી આપી શકે નહીં.” જોકે ફિલ્મનો વિરોધ કરી રહેલા સંગઠનોએ પણ કહ્યું છે કે તેઓ હિંસાનો સહારો લીધા વગર વિરોધ કરશે.
ખંડપીઠે કર્ણાટક વડી અદાલતે કમલ હસનને માફી માગવા અંગ આપેલી સલાહની ટિપ્પણી અંગે ટીકા પણ કરી હતી. કમલ હસનના નિવેદન અંગે બેન્ચે કહ્યું કે, “જો કમલ હાસને કંઈક અસુવિધાજનક કહ્યું હોય, તો તેને સત્ય તરીકે ન લઈ શકાય. કર્ણાટકના બુદ્ધિજીવીઓએ તેના પર ચર્ચા કરવી જોઈએ અને કહેવું જોઈએ કે તે ખોટા હતા.”
આપણ વાંચો: લો બોલો! આ કારણે અભિષેક બચ્ચનને થવું હતું ગાયબ
ફિલ્મ ‘ઠગ લાઈફ’ એ 1989ની “નાયકન” પછી કમલ હસન અને ફિલ્મ નિર્માતા મણિ રત્નમની બીજી ફિલ્મ છે. પરંતુ ‘કન્નડ ભાષા તમિલમાંથી જન્મી છે’ એવા કમલ હસનના નિવેદનને કારણે ફિલ્મને કર્ણાટકમાં રોષ ફાટી નિકળ્યો હતો અને ફિલ્મ કર્ણાટકમાં રીલિઝ થવા દેવામાં આવી ન હતી.