શેફાલી જરીવાલાનું આકસ્મિક નિધનઃ શું બ્યુટી ટ્રીટમેન્ટ બની મોતનું કારણ?

મુંબઈઃ ફિલ્મી દુનિયામાં ‘જો દિખતા હૈ વહી બિકતા હૈ’વાળા ઘાટનું નિર્માણ થયું છે અને તેના કારણે કલાકારો, ખાસ કરીને અભિનેત્રીઓ જાતજાતના નુસખા અજમાવીને પણ સતત સુંદર દેખાવાના પ્રયત્નો કરે છે. પરિણામે ઘણી વખત તેની આડઅસરો ભોગવવાનો વારો પણ આવે છે. શેફાલી જરીવાલાના મૃત્યુના કેસમાં પોલીસને આવી જ શંકા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને શંકા છે કે શેફાલી જરીવાલા ઘણા વર્ષોથી ડૉક્ટરની દેખરેખ વિના એન્ટિ-એજિંગ, મલ્ટિ-વિટામિન અને ત્વચાને સફેદ કરતી દવાઓના ભારે ડોઝ લઈ રહી હતી જેનો અર્થ એ થાય કે આ સેલ્ફ મેડિકેશનનો કેસ હોઈ શકે છે. અંબોલી પોલીસને શેફાલીના રૂમના ફ્રિજ, ડ્રોઅર અને ટેબલમાંથી મોટી સંખ્યામાં દવાઓ મળી આવી, જેમાં ગ્લુટાથિઓન જેવી વૃદ્ધત્વ વિરોધી દવાઓનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: પતિ પરાગે શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર કર્યા, અંતિમ ક્ષણોમાં શું બન્યું હતું? પોલીસે કહી આ વાત…
આઠ વર્ષ પહેલાં ડૉક્ટરની સલાહ લીધા પછી, શેફાલીએ જાતે દવાઓ લેવાનું શરૂ કર્યું અને સતત તે ચાલુ રાખ્યું હતું. ખાસ વાત એ છે કે તે આ બધું ડૉક્ટરની નિયમિત દેખરેખ વિના કરી રહી હતી. આ ઉપરાંત મૃત્યુના એક દિવસ પહેલા ઉપવાસ કરવા છતાં શેફાલીએ ફ્રિજમાં રાખેલા વાસી ફ્રાઈડ રાઈસ ખાધા હતા, જેના કારણે ફૂડ પોઇઝનિંગની શંકા છે. ફ્રિજમાંથી ‘પેન્ડી’ નામની એસિડિટી દવાની ઘણી સ્ટ્રીપ્સ પણ મળી આવી હતી, જે દર્શાવે છે કે તેને સતત ગેસ્ટ્રિક અથવા એસિડિટીની ગંભીર સમસ્યા હતી.
શેફાલી જરીવાલાના અંતિમસંસ્કાર ગઈકાલે સાંજે મુંબઈમાં કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના નજીકના પરિવારના સભ્યો અને મિત્રો હાજર રહ્યા હતા. વાયરલ વીડિયોમાં શેફાલી જરીવાલાના પતિ પરાગ ત્યાગી અંતિમસંસ્કારની તૈયારી કરતી વખતે ભાંગી પડ્યો હતો. વીડિયોમાં અંતિમસંસ્કાર દરમિયાન તે પોતાના આંસુ રોકવાનો પ્રયાસ કરતો જોઈ શકાય છે. અભિનેત્રી અને નજીકની મિત્ર આરતી સિંહ પણ અંતિમસંસ્કારમાં હાજર હતી અને ખૂબ ભાવુક દેખાતી હતી.
આ પણ વાંચો: શેફાલી જરીવાલાને લઈને ભાઈએ કર્યો ચોંકાવનારો ખુલાસો, વીડિયો થયો વાઈરલ…
શેફાલીના મૃત્યુનું કારણ જાણવા માટે પોલીસે તેના લોહી અને વિસેરાના નમૂના લીધા છે. હાલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ ખાતરી થશે કે શેફાલીના મૃત્યુ પાછળનું સાચું કારણ શું છે. નિષ્ણાતોના મતે દર્દીને યોગ્ય ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી વૃદ્ધત્વ વિરોધી દવા લેવાનો સંપૂર્ણ અધિકાર છે.
આમાં કોઈ ગેરકાયદે નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેફાલી જરીવાલાના લોહી અને વિસેરાના નમૂનાઓ કાલિનાના પ્રાદેશિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં માઇક્રોસ્કોપિક અને ઝેરના વિશ્લેષણ માટે મોકલવા માટે સાચવવામાં આવ્યા છે જેથી ખાતરી કરી શકાય કે દવાની પ્રતિક્રિયા ખરેખર તેના મૃત્યુનું કારણ હતી કે નહીં.